નોટબંધીના 8 વર્ષ બાદ પણ દેશના 90 ટકા નાગરિકો હજુ એવું માને છે કે રિયલ એસ્ટેટ સેક્ટરમાં કાળા નાણાનો નિરંકુશ ઉપયોગ થઈ રહ્યો છે. જમીન અને સંપત્તિઓ માટે કેન્દ્રીય ડેટા બેઝ તૈયાર કરવાના સરકારના પ્રયાસને હજુ ઘણી લાંબી મજલ કાપવી પડશે કારણ કે 62 ટકા પ્રોપર્ટીધારકોએ હજુ પણ આધાર સાથે સંપત્તિ લિંક કરી નથી. લોકલસર્કલ્સ હાથ દેશના 372 જિલ્લામાં વસતા 46 હજારથી વધુ નાગરિકો સાથે હાથ ધરેલા સરવેમાં આ વિગતો સામે આવી છે. સરવેમાં સામેલ માત્ર 20 ટકાએ જ તેમની સંપત્તિને આધાર સાથે લિંક કરી હોવાનું જણાવ્યું. રિયલ એસ્ટેટ અને બાંધકામ ક્ષેત્રને કાળા નાણાનું મુખ્ય સ્રોત અથવા તો સમાંતર અર્થવ્યવસ્થાના સ્તંભ રૂપે ટાંકવામાં આવે છે ત્યારે 67 ટકા લોકોએ એવો મત વ્યક્ત કર્યો કે સંપત્તિ જાહેર ન કરનારા મંત્રીઓ અને સરકારી અધિકારીઓને ફાઈનલ નોટિસ આપીને ટર્મિનેટ કરવા જોઈએ. નોંધનીય છે કે, 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધી જાહેર કરીને 500 અને 1000 રૂપિયાની નોટ ચલણમાંથી હટાવવામાં આવી હતી. દેશમાં કાળા નાણા અને ભ્રષ્ટાચારને નાથવાના મુખ્ય ઉદ્દેશ્યો પૈકી નોટબંધી લાગુ કરવામાં આવી હતી.
બ્લેકમની રોકવા રિયલ એસ્ટેટમાં સઘન ઓડિટની જરૂર
સરવેમાં લોકોને પૂછવામાં આવ્યું કે, એ જાણીતી વાત છે કે કેટલાક રાજકીય નેતાઓ, સરકારી કર્મચારીઓ અને અન્ય લોકોનું કાળું નાણું રિયલ એસ્ટેટ અને બાંધકામ ક્ષેત્રમાં લાગેલું છે અને મોટાભાગના વ્યવહારો રોકડમાં થાય છે. બિલ્ડરો અને પેટા કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતી ખરીદી જીએસટી રસીદ સાથે થવી જોઈએ અને તેનું નિયમિત ઓડિટ થવું જોઈએ? 90 ટકા લોકોએ આ વાત સાથે સહમતિ દર્શાવી હતી, જ્યારે 5 ટકાએ નકારમાં જવાબ આપ્યો. 5 ટકાએ અભિપ્રાય આપવાનું ટાળ્યું હતું. નોટબંધીના એક વર્ષ બાદ લોકોએ શું કહ્યું હતું?
નોટબંધીના એક વર્ષ બાદ લોકલસર્કલ્સ દ્વારા હાથ ધરવામાં આવેલા સરવેમાં 41 ટકા લોકોએ કહ્યું હતું કે ડિમોનેટાઇઝેશન બાદ પણ પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શનમાં રોકડથી ચૂકવણી કરવી પડે છે. આમાં 26 ટકા એવા હતા જેમણે ખરીદીની રકમ પૈકી 40 ટકાથી વધુ ચુકવણી રોકડથી કરી હતી. 15 ટકાએ 40 ટકાથી ઓછી રકમની ચુકવણી રોકડથી કરી હતી.