પંચમહાલ જિલ્લાના પાવાગઢ ડુંગર ઉપર આવેલા શક્તિપીઠ મહાકાળી મંદિરને આજે સાંજે દર્શનર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. મંદિરના ગર્ભગૃહમાં ચોર પ્રવેશ્યો હતો અને માતાજીના શૃંગારના આભૂષણોની ચોરી કરી ફરાર થઇ ગયો હતો, જે અંગે ફરિયાદ બાદ પંચમહાલ જિલ્લા પોલીસે ચોરને ઝડપી પાડી ગઈ કાલે ચોરને મંદિરમાં લઇ જઇ રિકન્ટ્રક્શનની કામગીરી પૂર્ણ કરતા શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસર અને ગર્ભગૃહને શાસ્ત્રોક્ત વિધિ મુજબ શુદ્ધ કરવાની કામગીરી કરવામાં આવી હતી. સાંજે 4 વાગ્યે મંદિર દર્શનર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું અને મંદિર પરિસર અને મંદિરને પાણી છાંટી ધોવામાં આવ્યા હતા. તો મંદિરના ગર્ભગૃહને પણ ગંગાજળથી ધોવામાં આવ્યા હતા, શાસ્ત્રોક્ત વિધિથી મંત્રોચ્ચાર સાથે શરૂ કરવામાં આવેલી પૂજા મોડી સાંજ સુધી ચાલી હતી. મહાકાળી માતાજી મંદિરની સાથે ગર્ભગૃહમાં રાખવામાં આવેલી તમામ ચીજ વસ્તુઓને ગંગાજળ વાળા પાણીથી શુદ્ધ કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, શક્તિપીઠ અને યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે ગત 27મી ઓક્ટોબર 24ની મોડી રાત્રે ઘરફોડિયા દ્વારા કડી સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં મંદિરમાં ઘૂસીને મહાકાળી માતાજીના આભૂષણોની કરવામાં આવેલી ચોરીની ઘટનામાં શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા પાવાગઢ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ બાદ પોલીસે ઊંડી તાપસના અંતે લાભ પાંચમના દિવસે મંદિરમાંથી ચોરી થયેલા 78 લાખ જેટલી રકમના સોનાના 6 હાર અને સોનાના ઢાળ ચડાવેલા બે મુગુટ સાથે એકની ધરપકડ કરી હતી. જે બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આરોપીને મંદિરમાં લઈ જઈ રિકન્ટ્રક્શનની કામગીરી કરી દેવામાં આવતા આજે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરને શુદ્ધ કરવાની કામગીરી કરવામાં આવી હતી.