આણંદ જિલ્લાના ઉમરેઠમાં રામ તળાવ પાસેથી શનિવારે ત્યજી દીધેલી હાલતમાં નવજાત બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું. જેની તપાસ દરમિયાન એક માનસિક દિવ્યાંગ યુવતીએ બાળકને જન્મ આપ્યો હોવાનું સામે આવ્યું છે. યુવતીના પિતાએ ઉમરેઠ BAPS મંદિરના પૂજારીએ દુષ્કર્મ ગુજારી પોતાની પુત્રીને ગર્ભવતી બનાવી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ યુવતીને હાલ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી છે. તો બીજી તરફ પિતાના ગંભીર આક્ષેપ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જે પૂજારી પર દુષ્કર્મનો આક્ષેપ કરવામાં આવ્યો છે તે પૂજારીએ જણાવ્યું હતું કે, આ મને ફસાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. નવજાત બાળક મૃત હાલતમાં મળ્યા બાદ તપાસમાં નવો વળાંક
આણંદ જિલ્લાના ઉમરેઠ ગામમાં લાલ દરવાજા નજીક રામ તળાવ આવેલું છે. આ તળાવ નજીક શનિવારે ત્યજી દીધેલી હાલતમાં એક મૃત બાળક મળી આવ્યું હતું. ઉમરેઠમાં રહેતી યુવતી ગતરોજ સવારના સમયે ઘરની બહાર શૌચાલય જવા ગઈ ત્યાં બાળક જન્મી ગયું હતું. જે બાદ પરિવારજનોએ આ નવજાતને કોથળામાં ભરી ત્યાં નજીકમાં જ મુકી દીધું હતું અને યુવતીને સારવાર અર્થે સૌપ્રથમ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં અને ત્યારબાદ અમદાવાદની હોસ્પિટલમાં લઈ ગયાં હતાં. હોસ્પિટલની વર્દીને આધારે ઉમરેઠ પોલીસને આ અંગેની જાણ થઇ હતી. જેથી પોલીસે સૌપ્રથમ આ ત્યજી દેવાયેલા નવજાત બાળકની શોધખોળ હાથ ધરી હતી. એકાદ-બે કલાકની ભારે જહેમત બાદ પોલીસને તળાવ નજીકથી આ નવજાત બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં આ યુવતીએ મૃત બાળકને જન્મ આપ્યો હોવાનું જણાઈ આવ્યું છે. મંદબુદ્ધિની યુવતીના પિતાએ ન્યાયની માગ કરી
બીજી બાજુ બાળકને જન્મ આપનાર યુવતીના પિતાએ BAPS સ્વામિનારાયણ મંદિરના પૂજારી ઉપર દુષ્કર્મના આરોપ મુકતાં જણાવ્યું છે કે, જ્યારથી આ સ્વામિનારાયણ મંદિરની ઈંટ મુકાઈ ત્યારથી મારા બા આ મંદિરમાં કામ કરતાં હતાં. મારા બા ના અવસાન બાદ મારી પત્ની અને પુત્રી મંદિરમાં કામ કરતાં હતાં. મારી પુત્રી મંદબુદ્ધિની છે અને બપોરે ટીફીન લેવા મંદિર જતી હતી. દરમિયાન મંદિરના પૂજારીએ બળાત્કાર કરી મારી પુત્રીને ગર્ભવતી બનાવી હતી અને તે ગઈકાલે સવારે ઘરની બહાર શૌચાલય જવા ગઈ ત્યાં બાળક જન્મી પડ્યું હતું. મારી પુત્રીને બ્લિડીંગ વધુ થતું હોવાથી સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયાં હતાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હાલ, મારી પુત્રી સારવાર હેઠળ છે. મંદિરના પુજારીએ મારી પુત્રીને ચપ્પું મારી જાનથી મારી નાંખીશ તેવી ધમકીઓ આપી હતી. એટલે મારી પુત્રીએ કોઈને જણાવ્યું ન હતું. અમને ન્યાય મળે અને આવું કૃત્ય કરનાર સજા થાય તેવી અમારી માંગ છે. મને ફસાવવા માટે આ બધું કર્યું છે – મંદિરના પૂજારી
ઉમરેઠ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરના પૂજારીએ આ અંગે જણાવ્યું હતું કે,મને ફસાવવા માટે આ બધું કર્યું છે. આ છોકરી અહીં ખાવા લેવા માટે આવતી હતી. કોઈક દિવસ ન મળે એટલે આવું કર્યું. છેલ્લે ત્રણ મહિના પહેલાં તે ખાવા લેવા આવી હતી, પછી આવી જ નથી. પુછપરછમાં યુવતી કાંઈ બોલી નથી – પી.એસ.આઈ
આ અંગે ઉમરેઠના પી.એસ.આઈ પાવરા જણાવે છે કે, ત્યજી દેવાયેલ હાલતમાં મળી આવેલ મૃત બાળકીને જન્મ આપનાર યુવતી હાલ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ યુવતીના પિતાએ મંદિરના પુજારી ઉપર દુષ્કર્મના આક્ષેપ મુક્યો છે. આ આક્ષેપના આધારે અમે બાળકને જન્મ આપનાર યુવતીની પુછપરછ કરી હતી. પરંતુ, યુવતી કાંઈ બોલી નથી. હાલ, તપાસ ચાલુ છે.