અમદાવાદમાં આજે (7 ડિસેમ્બર) નરોડા વિસ્તારમાં ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં એક માતાએ તેના સાત વર્ષના દીકરા સાથે ત્રીજા માળેથી કૂદકો મારીને આત્મહત્યા કરી લીધી છે. આ બનાવની વિગત સામે આવતાં સ્થાનિક પોલીસ બનાવના સ્થળે પહોંચી હતી. જ્યારે બીજી તરફ એવું સામે આવી રહ્યું છે કે મૃતક મહિલાના પતિ હાલ પોલીસમાં ફરજ બજાવે છે. એક તરફ જ્યાં પરિવાર પર માતમ છવાયું છે ત્યારે સોસાયટીના રહીશો પણ આ ઘટનાને લઈને આઘાતમાં સરી પડ્યા છે. મારી બહેન સાથે અનેક વખત મારઝુડ થઈઃ મૃતકનો ભાઈ
આ મામલે મૃતક વિરાજબેનના મોટા ભાઈ વિકેશ સોલંકીએ જણાવ્યું કે, હું આર્મીમાં નોકરી કરું છું. મારી બહેનના લગ્નના દસ વર્ષ થઈ ગયા છે. આ લગ્નગાળામાં મારી બેનને અનેક વખત મારઝુડ કરવામાં આવતી હતી. તેનો પતિ અને સાસરીયા તરફથી ત્રાસ આપવામાં આવતો હતો. હંમેશા શંકા કરીને તેને રૂમમાં ક્યારેક પૂરી દેવામાં આવતી હતી. ‘બહેને કાલે મારી પત્ની સાથે વાત કરી હતી’
વધુમાં ઉમેર્યું કે, ગઈ રક્ષાબંધનને જ્યારે મારી બહેને રાખડી બાંધવા માટેની વાત કરી ત્યારે પણ તેની સાથે મારઝુડ કરવામાં આવી હતી અને મારી બહેનને કેટલા સમયથી અમને મળવા આવવા દેવામાં નથી. ગઈકાલે રાતે મારી બેને મારી પત્ની સાથે વાત કરી હતી અને તે સમયે તે કોઈ ચિંતામાં લાગતી ન હતી. તેને સતત શારીરિક-માનસિક અને પારિવારિક ત્રાસના કારણે તેણે આ પગલું ભર્યું છે. હવે અમે અમારા બહેનના મોતના જવાબદાર લોકો સામે ફરિયાદ કરાવવા માટે છેક સુધી લડી લઈશું. માતા-બાળક ત્રીજા માળેથી પટકાતાં મોત
પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, નરોડા વિસ્તારમાં આવેલા હંસપુરા નજીક એક એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી આજે સવારે એક મહિલાએ તેના પુત્ર સાથે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવમાં વિગત એવી સામી આવી રહી છે કે મરનાર બાળકની ઉંમર સાત વર્ષની છે અને તેનું નામ રીધમ છે, જ્યારે તેની માતાનું નામ વિરાજબેન વાણિયા છે. આજે સવારે અચાનક સોસાયટીમાં ત્રીજા માળથી નીચે કોઈ પટકાવ્યું અને જોરદાર અવાજ આવતાં લોકો ભેગા થઈ ગયા હતા ને જોતાં બંને મૃતકોની લાશ નીચે પડી હતી. નીચે લોહીનાં ખાબોચિયાં ભરાયાં હતાં, જે જોઈને લોકો ચીસો પાડવા લાગ્યા હતા. આસપાસના લોકો ભેગા થતાં 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. થોડીવારમાં પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી. મહિલાનો પતિ પોલીસમાં ફરજ બજાવે છે
સ્થાનિક પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, મરનારના પતિ હાલ હિંમતનગરના ડોગ્સ- સ્ક્વોડમાં ફરજ બજાવે છે. તેમનું નામ મિતેશ વાણિયા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. આત્મહત્યા પાછળ અન્ય કોઈ કારણ છે કે નહીં? એ તપાસવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે. બીજી તરફ મોબાઈલ અથવા કોઈ આત્મહત્યા પહેલાં કોઈ ચિઠ્ઠી લખી હોય અથવા મેસેજ કર્યો હોય એ દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.