દાહોદમાં નકલી બિનખેતી પ્રકરણમાં નવો વળાંક સામે આવ્યો છે, જેમાં દાહોદ પોલીસ પોલીસ તંત્ર દ્વારા કોર્ટની મંજુરી લઈ આરોપી તરીકે સામેલ કરવામાં આવેલા કુત્બુદ્દીન રાવત અને રામુ પંજાબી સમક્ષ કલમ 70 અને 82 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. એટલે કે, તેઓને ભાગેડુ જાહેર કરવામાં આવ્યાં હતાં અને તેઓની મિલકતો ટાંચમાં લઈ પોલીસ તંત્ર દ્વારા દાહોદમાં જાહેર સ્થળોએ તેઓના પોસ્ટરો ચોંટાડ્યા હતા અને માઈકમાં તેઓના મામલે આ કાર્યવાહી કરવામાં આવી હતી. દાહોદની નામદાર કોર્ટ દ્વારા જરૂરી પુરાવાઓ અને દલીલોને ધ્યાનમાં રાખી કુત્બુદ્દીન રાવત સામેની કલમ 70 અને 82 હેઠળની કલમ હેઠળ કરેલા હુકમો તાત્કાલિક ધોરણે રદ્દ કરવામાં આવતાં દાહોદમાં પોલીસ તંત્ર સમેત સરકારી આલમમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો છે. દાહોદના ઈતિહાસમાં આ પ્રથમ એવો કિસ્સો બન્યો હશે, જેમાં જે કોર્ટ દ્વારા કલમ 70 અને 82 હેઠળ કાર્યવાહી કરવા હુકમ કર્યો હતો, તે જ કોર્ટે રીકોલ કરી કરવામાં આવેલા હુકમો રદ કરવાનો હુકમ કર્યો હતો. નકલી બિનખેતી કૌભાંડમાં ભેજાબાજ જાહેર કરાયો
દાહોદમાં નકલી બિનખેતીએ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી મુકી છે. પોલીસ તંત્ર દ્વારા એક પછી એક આરોપીઓને પકડી પાડી જેલ ભેગા પણ કરવામાં આવ્યાં છે. ત્યારે એકાદ મહિના પહેલા દાહોદ પોલીસ દ્વારા આ કૌભાંડમાં મુખ્ય ભેજાબાજ તરીકે જાહેર કરવામાં આવેલા કુત્બુદ્દીન રાવત અને રામુ પંજાબી સામે દાહોદ નામદાર કોર્ટમાંથી કલમ 70 અને 82 હેઠળનો હુકમ મેળવી કુત્બદ્દીન રાવત અને રામુ પંજાબી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ બંને આરોપીઓને જાહેર કરી તેઓના પોસ્ટરો દાહોદ શહેરમાં ઠેકઠેકાણે લગાડી અને માઈકો દ્વારા જાહેર કરી કોર્ટમાં હાજર થવા અને તેઓની મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી કરી હતી. કુત્બુદ્દીને સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા
થોડા દિવસો પહેલા આ મામલે કુત્બુદ્દીન રાવતને દેશની સુપ્રીમ અદાલત દ્વારા દેશમાં પરત આવવાના હુકમ સાથે તેની ધરપકડ નહીં કરવા માટે સરકાર અને પોલીસ તંત્રને આપવામાં આવેલા આદેશો બાદ સમગ્ર ગુજરાત રાજ્ય સરકાર અને પોલીસ તંત્રમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો છે. ત્યારે આ મહાકૌંભાંડમાં જાણે નવો વળાંક આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. દાહોદની નામદાર કોર્ટ દ્વારા તુત્બુદ્દીન રાવત સામેની કલમ 70 અને 82 હેઠળની કલમ રદ્દ કરવામાં આવી છે. ત્યારે હવે નકલી એન.એ. પ્રકરણની તપાસ કરતા પોલીસ અધિકારીની કામગીરી સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે. કલેક્ટર કક્ષાના મોટા અધિકારીઓની ભૂમિકાની તપાસ થવી જોઈએ: ઉત્કર્ષ દવે
આ સમગ્ર મામલે આરોપીઓ તરફે કેસ લડતા ધારાશાસ્ત્રી એવા ઉત્કર્ષ દવેએ જણાવ્યુ હતુ કે, દાહોદના આ નકલી બિનખેતી હુકમ પ્રકરણમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી મામલતદાર અને ટીડીઓ સંડોવણી વાહીયાત છે. આટલા નાના સરકારી કર્મચારીઓથી આટલું મોટું કૌભાંડ શક્ય જ નથી. આટલા મોટા મહાકૌભાંડમાં કલેક્ટર કક્ષાના મોટા અધિકારીઓની સંડોવણી હોઈ શકે છે, જે તે સમયના કલેક્ટર અને અન્ય મોટા સરકારી અધિકારીઓને બચાવવા માટે કવાયતો ચાલુ છે. તેઓની ધરપકડની જગ્યાએ પોલીસ દ્વારા માત્ર નાના સરકારી કર્મચારીઓને પકડી સંતોષ માની લેવામાં આવે છે. પરંતુ આ નકલી બિનખેતી પ્રકરણમાં મોટા અધિકારીઓ પણ સામેલ હોય શકે છે, પોલીસ તંત્ર દ્વારા આવા મોટા સરકારી અધિકારીઓ સામે સકંજો કસે તે અતિઆવશ્યક છે. પરંતુ પોલીસ તંત્ર પણ આવા મોટા અધિકારીઓને બચાવી રહી છે તેમ લાગી રહ્યું છે તેમ જણાવ્યુ હતુ.