મોબાઈલ ઈયર ફોન રોજિંદા જીવનનો એક ભાગ બની ગયા છે. સતત 7 દિવસ 8 કલાકથી વધુ સમય 60 ડેસિબલથી વધુ અવાજ કાનમાં ફેંકાય તો અંશત: કે સંપૂર્ણ બહેરાશનું જોખમ છે. ઈયર ફોનમાંથી 80થી 120 ડેસિબલ અવાજ ફેંકાતો હોય છે. સોલા સિવિલના ઈએનટી વિભાગના વડા ડો. નીના ભાલોડિયાનું કહેવું છે કે, 60 ડેસિબલ સુધીનો અવાજ કમ્ફર્ટ લેવલ ગણાય છે. સોલા સિવિલમાં આવતાં કેસની વાત કરીએ તો દર 100માંથી 30 લોકોને એક કે બંને કાને વધતે ઓછે અંશે બહેરાશ આવી છે. નિદાનમાં ખબર પડી કે, આ 30 ટકા લોકો કાનમાં ઈયર ફોન ભરવી ફુલ વોલ્યુમથી સાંભળતા હતા. 20 ટકા લોકોને તો ખબર પણ નથી હોતી કે, તેમની સાંભળવાની શક્તિ પર અસર થઈ છે. દરેક અવાજ ધ્વનિ તરંગો કે સ્પંદનો તરીકે શરૂ થાય છે, જે કાનની નહેરમાં પ્રવેશી આંતરિક કાનના નાજુક વાળના કોષને અસર કરે છે, ધ્વનિ તરંગોનું વિદ્યુત સંકેતમાં રૂપાંતર થાય છે અને માણસનું મગજ ચોક્કસ ફ્રિકવન્સીમાં અર્થઘટન કરે છે. જો અવાજ 85 ડેસિબલથી વધુ હોય અને લાંબો સમય સુધી સાંભળવામાં આવે તો બહેરાશનું જોખમ રહે છે. ડો.નીના ભાલોડિયા, ઈએનટી વિભાગના વડા, સોલા સિવિલ 15 વર્ષનો કિશોર રમતી વખતે પણ ઈયર ફોન ભરવી ફુલ વોલ્યુમથી ગીતો સાંભળતો. શરૂઆતમાં માથામાં દુ:ખાવાની સમસ્યા થયેલી એ પછી ઓછું સંભળાતા ઓડિયોલોજી તપાસમાં ખબર પડી કે કાનના પડદાને નુકસાન થયું છે. 30 વર્ષનો યુવક રોજ ઈયર ફોન ભરવી ફિલ્મો જોતો હતો. સતત ઉપયોગને કારણે માથામાં દુ:ખાવાની તકલીફ ચાલુ થઈ હતી. કોઈ સામાન્ય અવાજે બોલે તો પણ સંભળાતું ન હતું, અવાજ ક્યાંથી આવે છે તે ખબર પડતી ન હતી. કાન, નાક, ગળાના ડોક્ટરને બતાવ્યું તો ખબર પડી કે, સતત મોટા અવાજે સાંભળવાથી બંને કાનની સાંભળવાની શક્તિ 40થી 50 ટકા જતી રહી છે.