સુરત જિલ્લાના માંડવી તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 14 વર્ષની કિશોરીએ આપઘાત કરી લીધો છે. કરંજ ગામના પ્રકાશ ભવન એપાર્ટમેન્ટમાં રહેતી અર્ચના નામની વિદ્યાર્થિની, જે ધોરણ 8માં અભ્યાસ કરતી હતી, તેણે ગઈકાલે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. અર્ચનાના માતા-પિતા રાજેન્દ્રભાઈ રઘુનાથ પ્રસાદ અને તેમની પત્ની જીઆઈડીસીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ઘટનાના સમયે અર્ચના ઘરે એકલી હતી અને તેણે પંખા સાથે સાડી બાંધીને આપઘાત કર્યો હતો. જ્યારે પરિવારજનો ઘરે આવ્યા ત્યારે તેઓએ અર્ચનાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ દુ:ખદ ઘટનાથી સમગ્ર પરિવાર શોકમાં ડૂબી ગયો છે. માંડવી પોલીસે કેસ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. પીએસઆઈ વી.આર. ચોસલાના નેતૃત્વમાં પોલીસ આપઘાતના કારણોની તપાસ કરી રહી છે. સુરત જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, જે ચિંતાનો વિષય બની રહ્યો છે.