ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થયા બાદ ટિકિટ ફાળવણી થતાં જ ખાસ કરીને ભાજપમાં અસંતોષની આગ ભભૂકી ઉઠી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેમાં રાજકોટ જિલ્લામાં મહત્વપૂર્ણ ગણાતી જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં સ્થાનિકથી લઈને છેક પ્રદેશ લેવલ સુધીનો જૂથવાદ ઉઘાડો પડ્યો છે. ધારાસભ્ય જયેશ રાદડિયાનાં જુથનો હોવાથી પ્રદેશ કક્ષાએ વગ વાપરીને યુવા પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટે ટિકિટ કપાવી હોવાનો પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલીયાએ ગંભીર આક્ષેપ કરીને અન્ય 42 ઉમેદવારોના ટેકાથી ભાજપમાં સામુહિક ઉમેદવારી પત્ર પરત ખેંચવા અને રાજીનામાં આપી દેવાની ચીમકી આપતા ઉહાપોહ મચી ગયો છે. જો કે, ગઇકાલે આખો દિવસ બેઠકનો દોર ચલાવીને ધારાસભ્ય જયેશ રાદડિયાએ મનામણાં કરી ડેમેજ કંટ્રોલ કર્યો હતો. જયેશ રાદડિયાએ ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ શરૂ કર્યો હતો
જેતપુરમાં ગઈકાલથી ભાજપમાં અપસેટ સર્જાયો હતો અને ભાજપમાં ભંગાણ સર્જાવાની સ્થિતિ ઉભી થઈ હતી. શનિવારે ભાજપના 44 સભ્યોએ ફોર્મ ભર્યું હતું અને જેની સામે ભાજપ દ્વારા 42ના જ મેન્ડેટ આપ્યા હતા. જેમાં પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલીયા અને કલ્પેશ રાંકનું નામ કપાયું હતું. જે બાદ પક્ષના 42 ઉમેદવારોએ સખરેલીયાને સમર્થન જાહેર કરી પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની ચીમકી ઉચ્ચારી હતી. એ પરિસ્થિતિને કાબૂમાં લેવા ધારાસભ્ય જયેશ રાદડિયાએ ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ શરૂ કર્યો હતો. તેમણે પોતાના નિવાસ સ્થાન બાદ પટેલ સમાજ વાડી ખાતે અસંતુષ્ટો અને અન્ય આગેવાનો સાથે બંધ બારણે બેઠક યોજી હતી. જેમાં ડ્રેમેજ કંટોલ કર્યો હતો. ‘જેતપુરમાં ભાજપને નુકસાન પહોંચાડવાનો ખેલ રચાયો છે’
આ બેઠક બાદ ધારાસભ્ય જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, જેતપુરમાં ભાજપ પૂરા ખતથી ચૂંટણી લડશે. પ્રદેશ કક્ષાએથી મેન્ડેન્ટ આપવામાં આવેલા તમામ ઉમેદવારો ચૂંટણી લડશે અને તેને જીત સુધી પહોંચાડશું. પૂર્વ પ્રમુખની ટિકિટ કપાવાનો નિર્ણય પ્રદેશ લેવલે લેવાયો છે. જ્યારે આ મામલે ગંભીર આરોપ લગાવતાં અસંતુષ્ટ પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલીયાએ જણાવ્યું કે “ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટે અંગત રસ લઈ મારી ટિકિટ કપાવી નાખી છે. ધારાસભ્ય જયેશ રાદડિયા સાથેના મારા નજીકના સંબંધોને કારણે પ્રદેશ નેતૃત્વને ખટકીએ છીએ. આગામી દિવસોમાં ચૂંટણી બાદ પ્રદેશ લેવલે જેતપુરમાં ભાજપને નુકસાન પહોંચાડવા માટે આ ખેલ રચવામાં આવ્યો છે, જેની ફરિયાદ કરીશું.’ કોરાટ અને રાદડિયા જૂથ વચ્ચે મતભેદ સર્જાયો હતો
આ ઘટનાક્રમે જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાવો લાવી દીધો છે અને આ વાત પ્રદેશ સુધી પહોંચી છે. રાજકીય સુત્રો કહે છે કે, અગાઉ સાંસદની ચૂંટણી સમયે પોરબંદર બેઠક માટે દાવેદારી કરાતા કોરાટ અને રાદડિયા જૂથ વચ્ચે મતભેદ સર્જાયો હતો. બાદમાં ગત વિધાનસભાની ચૂંટણી સમયે જેતપુર બેઠક પર પ્રશાંત કોરાટને ટિકિટ જોઈતી હતી, પણ પ્રદેશ લેવલેથી જયેશ રાદડિયા જ ટિકિટ ખેંચી લાવ્યા હતા. જેથી ધારાસભ્ય જયેશ રાદડિયા વિરૂદ્ધ કેટલીક પ્રવૃતિઓ ચાલુ થઈ હતી અને વારંવાર જાહેર મંચ પરથી તેઓ વિરોધીઓને શાબ્દિક ચાબખા મારી રહ્યા છે. હવે તેમના રાદડિયા જૂથના પૂર્વ સુધરાઈ પ્રમુખની ટિકિટ કપાતા પ્રદેશ લેવલે કોરાટ જૂથે તરકટ રચ્યાનો આક્ષેપ થયો છે.