ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીઓની ખોટી સર્જરી કરીને મૃત્યુ નીપજવા મામલે વસ્ત્રાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ તેની તપાસ સરકારે ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી. આ તપાસમાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે પૈકી આરોપીઓ વિરુદ્ધ ખ્યાતિકાંડના 88 દિવસ બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતે ચાર્જશીટ મોકલી આપવામાં આવી છે. જ્યારે મુખ્ય આરોપી કાર્તિક પટેલ વિરૂદ્ધ તપાસ ચાલુ છે, જેની પુરવણી ચાર્જશીટ આગામી સમયમાં કરવામાં આવશે. મેજિસ્ટ્રેટ સમક્ષ 7 સાહેદોના નિવેદનો લેવડાવવામા આવ્યા
ચાર્જશીટ મુજબ આ ગુનાના કામે કુલ 105 વ્યક્તિઓની પૂછપરછ કરી નિવેદનો લેવામાં આવ્યા છે. BNSSની કલમ 183 એટલે કે CRPC-164 મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ કુલ 7 સાહેદોના નિવેદનો લેવડાવવામાં આવ્યા છે. તપાસ દરમિયાનમાં કુલ-19 ઇલેકટ્રોનિક્સ પુરાવા, 36 ફાઇલો કબ્જે કરવામાં આવી છે અને કુલ 11 રજીસ્ટરો કબ્જે કરવામાં આવ્યા છે. ROCમાંથી માહિતી મેળવવામાં આવી છે. આરોપીઓ સામે 5670 પાનાની ચાર્જશીટ કરવામાં આવી
PMJAY યોજના કૌભાંડમાં ગાંધીનગરથી SOP તથા દસ્તાવેજો સાથે બજાજ એલીયાન્સ ઇન્સયોરન્સ કંપનીમાંથી SOP તથા દસ્તાવેજો મેળવવામાં આવ્યા છે. જ્યારે સરકાર તરફથી રચના કરેલી ડોકટરોની તપાસ કમિટી પાસેથી પણ જરૂરી દસ્તાવેજી પૂરાવા મેળવાયા છે. હોસ્પિટલના ઓડિટ રિપોર્ટ મેળવી કુલ 34 બેન્કના ખાતાની માહિતી મેળવવામાં આવી છે. આરોપીઓની મિલકત સબંધિત માહિતી નોંધણી નિરીક્ષકની કચેરી ગાંધીનગર ખાતેથી મેળવવામાં આવી છે. કેમ્પના દર્દીઓની યુ.એન મહેતા હોસ્પિટલમાં સારવાર કરાવવામાં આવી છે. દર્દીઓના કુલ 37 હિસ્ટ્રી ફોર્મ કબ્જે કરવામા આવ્યા છે. આમ કુલ મળી 5670 પાનાની ચાર્જશીટ કરવામાં આવી છે. મુખ્ય આરોપીની 17 જાન્યુઆરીએ ધરપકડ કરાઈ હતી
ખ્યાતિકાંડમાં મુખ્ય આરોપી અને હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલની 17 જાન્યુઆરીની મોડીરાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે તબક્કાવાર આઠ આરોપીને ઝડપી પાડ્યા હતા. આ કેસમાં નવમો અને મુખ્ય આરોપી કાર્તિક પટેલ જ ફરાર હતો, જે એક દેશથી બીજા દેશમાં ભાગતો ફરતો હતો. બીમાર પત્નીની સારવાર માટે કાર્તિક પટેલ 3 નવેમ્બરે અમદાવાદથી ઓસ્ટ્રેલિયા ગયો હતો અને 11 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ ગયો અને 12 નવેમ્બરે ખ્યાતિકાંડ થતાં તે દુબઈ ભાગ્યો હતો. જ્યાં તે 2 મહિના હોટલમાં રોકાયો હતો, પરંતુ પત્નીની તબિયત બગડતાં તે દુબઈથી પાછો ફર્યો અને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો હતો. શું હતો સમગ્ર મામલો?
અમદાવાદના એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં 11 નવેમ્બરના રોજ કડીના બોરીસણા ગામના 19 લોકોની એન્જિયોગ્રાફી અને એ પૈકીના 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જેમાંથી બે દર્દીનાં મોત થતાં હોસ્પિટલ પર હોબાળો થયો હતો. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને તબીબો દ્વારા PMJAY યોજનાનો લાભ લેવા માટે લોકોને ઓપરેશનની જરૂર ન હોવા છતાં ખોટી રીતે કરી નાખ્યાં હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પ્રથમ તમામ લોકોના ઓપરેશન કરનારા ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરવામાં આવી હતી. તેના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો હતો. એ બાદ ક્રાઈમ બ્રાન્ચે એક બાદ એક એમ સાત લોકોને દબોચી લીધા છે, જ્યારે બે આરોપી રાજશ્રી કોઠારી અને કાર્તિક પટેલ ફરાર હતા, જેમાં ક્રાઈમ બ્રાન્ચે રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી અને કાર્તિક પટેલની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે.