સૈફ અલી ખાન પર હુમલો કરવાના આરોપી શરીફુલ ઇસ્લામના કેટલાક ફિંગરપ્રિન્ટ્સ એક્ટરના ઘરેથી લેવામાં આવેલા નમૂનાઓ સાથે મેચ થયા છે. 15 જાન્યુઆરીની મોડી રાત્રે સૈફ પર હુમલો થયો હતો. 22 જાન્યુઆરીના રોજ, મુંબઈ પોલીસે ફિંગરપ્રિન્ટ્સ અને અન્ય નમૂના લીધા અને તપાસ માટે CID લેબમાં મોકલ્યા. મુંબઈ પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, સૈફ અલી ખાન પર હુમલો કરવાના આરોપી શરીફુલ ઇસ્લામના ફિંગરપ્રિન્ટ ટેસ્ટ માટે મોકલવામાં આવેલા કેટલાક નમૂનાઓના રિપોર્ટ આવી ગયા છે. આમાં કેટલાક ફિંગરપ્રિન્ટ્સ મેચ થયા છે. જોકે, હજુ પોલીસના ફાઈનલ રિપોર્ટની રાહ છે. બીજી તરફ, સૈફના બે મહિલા સ્ટાફ સભ્યોએ ગુરુવારે (6 ફેબ્રુઆરી) આરોપી શરીફુલની ઓળખની પુષ્ટિ કરી. હુમલા સમયે બાળકોના રૂમમાં હાજર એરિયાના ફિલિપ અને જૂનુને તાજેતરમાં મુંબઈની આર્થર રોડ જેલમાં બોલાવવામાં આવ્યા હતા. અહીં આરોપી શરીફુલ ઇસ્લામની ઓળખ પરેડ યોજાઈ હતી, જે દરમિયાન બંનેએ તેની ઓળખની પુષ્ટિ કરી હતી. ઘટનાના દિવસના 2 ફોટા .શરીફુલના પિતાનો દાવો – સીસીટીવીમાં દેખાતી વ્યક્તિ અલગ છે
આરોપીના પિતા મોહમ્મદ રોહુલ અમીનનો દાવો છે કે સીસીટીવી ફૂટેજમાં દેખાતી વ્યક્તિ તેમનો પુત્ર નથી. આરોપીના પિતાએ કહ્યું, મારા પુત્રના વાળ હંમેશાં ટૂંકા હોય છે અને તે તેના વાળ પાછળની તરફ ઓળે કરે છે.’ જે ફૂટેજ દેખાય છે તે કોઈપણ દૃષ્ટિકોણથી મારા પુત્રનો નથી. તેણે 30 વર્ષથી એક જ હેરસ્ટાઇલ રાખી છે. શરીફુલના પિતા રાહુલ અમીનના કહેવા પ્રમાણે, મુંબઈ પોલીસે ખોટી ધરપકડ કરી છે. વધુમાં તેણે કહ્યું હતું કે અમે ગરીબ હોઈ શકીએ, પણ ગુનેગાર નહીં. પોલીસે કહ્યું- અમારી પાસે નક્કર પુરાવા છે
આ કેસ વિશે માહિતી આપતાં, એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘ચહેરાની ઓળખ રિપોર્ટ ઉપરાંત, અમારી પાસે સીસીટીવી ફૂટેજ, મોબાઇલ ફોન લોકેશન અને ઇન્ટરનેટ પ્રોટોકોલ વિગતો રિપોર્ટ જેવા ટેકનિકલ પુરાવા છે, જે સાબિત કરે છે કે શરીફુલ જ સાચો આરોપી છે.’ આરોપી શરીફુલ 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે આરોપી શરીફુલ ઇસ્લામને બુધવારે (29 જાન્યુઆરી) પોલીસ કસ્ટડી પૂરી થયા બાદ બાંદ્રા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. એ દિવસે પોલીસે કહ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ ઘટના પહેલાં સ્થળની તપાસ કરી હતી અને સંપૂર્ણ તૈયારીઓ કરી હતી. આરોપીના વધુ કેટલાક સહયોગી હોઈ શકે છે, જેની તપાસ ચાલુ છે. આ ઉપરાંત શરીફુલના સંબંધીઓને પૈસા મોકલવાના મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે. અહીં મંગળવારે મુંબઈ પોલીસે સૈફ અલી ખાન પર થયેલા હુમલાને લઈને પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. અધિક પોલીસ કમિશનર પરમજિત સિંહ દહિયાએ કહ્યું હતું કે ‘અમે આ કેસમાં શરીફુલ ઈસ્લામની ધરપકડ કરી છે, તે સાચો આરોપી છે.’ તેમણે કહ્યું કે અમારી પાસે આ આરોપી વિરુદ્ધ ઘણા મજબૂત પુરાવા છે. દહિયાએ એમ પણ કહ્યું હતું કે કેટલાક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સૈફના ઘરેથી મળેલાં ફિંગરપ્રિન્ટ્સ શરીફુલના ફિંગરપ્રિન્ટ્સ સાથે મેળ ખાતા નથી. અમે ફિંગરપ્રિન્ટ્સની તપાસ કરી રહ્યા છીએ, હજુ સુધી અમે કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યા નથી. 16 જાન્યુઆરીએ સવારે 2 વાગ્યે સૈફ અલી ખાનના ઘર પર હુમલો થયો હતો. તેને હાથ, કરોડરજ્જુ અને પીઠ પર ઈજાઓ થઈ હતી. મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં 5 દિવસ સુધી તેની સારવાર કરવામાં આવી હતી. મુંબઈ પોલીસની પ્રેસ-કોન્ફરન્સ વિશે 6 મોટી વાત- 1. ‘ સૈફે નહીં, હોસ્પિટલે હુમલાની માહિતી આપી હતી.’ 2. ફિંગરપ્રિન્ટ રિપોર્ટ હજુ સુધી પોલીસને સુપરત કરવામાં આવ્યો નથી. ફિંગરપ્રિન્ટનાં સેમ્પલ CIDને આપવામાં આવ્યાં છે. 3. આરોપી શરીફુલ જેમના સંપર્કમાં હતો તે તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. 4. ખોટી વ્યક્તિની ધરપકડ કરવાના સવાલ પર તેમણે કહ્યું, ધરપકડ કરાયેલ શરીફુલ આરોપી છે, પોલીસને એમાં કોઈ શંકા નથી કે તેની ધરપકડ શારીરિક, ટેક્નિકલ અને મૌખિક પુરાવાઓ હેઠળ કરવામાં આવી હતી. 5. સૈફ અલી ખાન 4.11 નહીં, પરંતુ રાત્રે 3 વાગ્યે પહોંચ્યો હતો. લીલાવતી હોસ્પિટલના સીસીટીવી કેમેરાથી આ વાતની પુષ્ટિ થઈ છે. 6. આરોપી શરીફુલ બાંગ્લાદેશનો છે. મુંબઈ આવતાં પહેલાં તે કોલકાતામાં પણ રહેતો હતો. પશ્ચિમ બંગાળમાં પણ એક ટીમ તપાસ કરી રહી છે. અગાઉ એવા અહેવાલ હતા કે પોલીસને શંકા છે કે સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં એકથી વધુ આરોપીઓ સામેલ હોઈ શકે છે. હવે આ ઘટના સંબંધિત 4 નિવેદનો વાંચો…