સુરતના કતારગામ GIDC વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એમ્બ્રોઈડરી મશીનમાં કામ કરતો એક કારીગર મશીનમાં ફસાઈ ગયો. ફેક્ટરીમાં તેના એક સિવાય કોઈ જ ન હોવાના કારણે તે એક કલાક આમ જ ફસાયેલો રહ્યો. તેનું ફક્ત માથું જ મશીનની બહાર હતું. આ દુર્ઘટનાને કારણે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. વિશ્વકર્મા સોસાયટીમાં ગભરાટનો માહોલ ઊભો થયો
આ દુર્ઘટના કતારગામની વિશ્વકર્મા સોસાયટીના ઘર નંબર-17માં બની હતી, જ્યાં પરવેઝ એકલો એમ્બ્રોઈડરી મશીન પર કામ કરી રહ્યો હતો. ફેક્ટરીમાં કોઈને તેની હાલતની જાણ નહોતી અને તે અંદરથી બૂમો પાડી રહ્યો હતો. જોકે પાડોશીઓએ અવાજ સાંભળ્યા બાદ દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો અને ફાયર વિભાગને જાણ કરી. ફાયરબ્રિગેડનું કલાકો સુધી ઓપરેશન ચાલ્યું
પ્રાપ્ત માહિતી અનુસાર, ફાયર વિભાગને માહિતી મળતાંની સાથે જ રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. લોકોએ ઘરની અંદર ઘૂસીને કારીગર પરવેઝ આલમને ફસાયેલો જોઈ તરત જ ફાયરબ્રિગેડને જાણ કરી. ફાયરબ્રિગેડકર્મીઓએ ઘટનાસ્થળે પહોંચીને પેન્ટોગ્રાફ કાપીને અને કટરની મદદથી કારીગરને બચાવવામાં આવ્યો. એક કલાક ફસાયેલા રહેલા પરવેઝને બેભાન હાલતમાં બહાર લાવવામાં આવ્યો અને તાત્કાલિક સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં ગળાના ભાગે 10 ટાંકા લાગ્યા. હાલ તેની તબિયત સ્થિર છે અને સજાગ અવસ્થામાં આવ્યા બાદ તેનું અધિકૃત નિવેદન લેવામાં આવશે. પોલીસ તપાસ શરૂ, જવાબદાર કોણ?
પોલીસે મકાનમાલિક દિનેશ કાપડિયા અને કારખાના-સંચાલક દિનેશભાઈ પાલડિયાનાં નિવેદન લઈ વધુ તપાસ શરૂ કરી છે, જોકે હજુ સુધી કેટલીક મહત્ત્વની બાબતો વણઉકેલી છે. આ દુર્ઘટના કેવી રીતે બની? મજૂરોની સલામતી પર ગંભીર પ્રશ્ન
આ દુર્ઘટના ફક્ત એક દુર્ઘટના નથી, કારીગરોની સલામતી માટે શું જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યાં છે? ફેક્ટરીઓમાં કામદારો માટે જરૂરી સલામતી સાધનો અને ઈમર્જન્સી માટે કેવી તૈયારી છે? એના વિશે ઊંડાણપૂર્વકની તપાસ કરવાની જરૂર છે. પોલીસ હાલ ઘટનાની હકીકત ઉકેલવા માટે તપાસમાં લાગી ગઈ છે.