કચ્છ કોંગ્રેસના અગ્રણી મરહૂમ મંધરા અબ્દુલ્લા હાજી ઈબ્રાહિમને આજથી 40 વર્ષ પૂર્વે જિલ્લા પોલીસવડાની કચેરીમા મુલાકાત વેળાએ તત્કાલીન પોલીસવડા કુલદીપ શર્માએ અપમાનિત કરી અપશબ્દ બોલીને સાથી અધિકારીને બોલાવી માર માર્યો હોવાની ફરિયાદ દાખલ થઈ હતી. આ કેસની સુનાવણી આખરે ગઈકાલે (9 ફેબ્રુઆરી)અંતિમ તબક્કે પહોંચી હતી. આ કેસનો આજે (10 ફેબ્રુઆરીએ) ભુજ સેશન્સ કોર્ટમાં ચુકાદો આવ્યો છે, જેમાં કુલદીપ શર્મા અને સાથીકર્મચારી ગિરીશ વસાવડા દોષી જાહેર થયા છે. બંને ગુનેગારોને કોર્ટે ત્રણ માસની કેદ અને દંડ ફટકાર્યો છે. સહઆરોપી પીએસઆઇ બિશ્નોઈ અને બીએન ચૌહાણ મૃત્યુ પામ્યા છે, જ્યારે ત્રીજા પોલીસકર્મી ગિરીશ વસાવડા દોષમુક્ત જાહેર થયા છે. સરકારી કચેરીમાં તત્કાલીન ઉચ્ચ અધિકારી અને પોલીસકર્મીઓએ દ્વારા માર મારવા અને અપમાનિત કરવાના કેસમાં લાંબી લડત બાદ આખરે ભુજની સેશન્સ કોર્ટમાં ચુકાદો આવતાં આ કેસના ફરિયાદી મરહૂમ ઇભલા શેઠના પુત્ર ઇકબાલ મંધરાએ કોર્ટ પરિસરમાં ન્યાયકોર્ટના આદેશને આવકારી ખુશી જાહેર કરી હતી અને ઉપસ્થિત સ્નેહીજનોમાં મીઠાઈ વહેંચી આનંદ વ્યક્ત કર્યો હતો. આ તકે તેમણે કહ્યું હતું કે 40 વર્ષ જૂના કેસમાં ખૂબ લાંબી કોર્ટ પ્રક્રિયાના અંતે આરોપીઓને કસૂરવાર ઠેરવવામાં આવ્યા એનાથી સંતોષ થયો છે. એસપી કચેરી મળવા ગયા ને માર મરાયાનો આક્ષેપ હતો
આ કેસની હકીકત એવી છે કે અબડાસાના મંધરા અબ્દુલ્લા હાજી ઇબ્રાહિમ ઉર્ફે ઇભલા શેઠ નલિયામાં નોંધાયેલા કેસ મામલે તત્કાલીન ધારાસભ્ય ખરાશંકર જોષી, માંડવીના ધારાસભ્ય જયકુમાર સંઘવી, ગાભુભા જાડેજા, શંકર ગોવિંદજી જોષી સહિતના આગેવાનો સાથે એસપી કચેરીએ મળવા માટે આવ્યા હતા. એ દરમિયાન જે-તે વખતના એસપી કુલદીપ શર્માએ તેમનું અપમાન કરી અપશબ્દ બોલીને સાથી અધિકારીઓને બોલાવી માર મરાયાનો આક્ષેપ કરાયો હતો અને આ બાબતે જે-તે વખતે ઈભલા શેઠને ઇજા પહોંચી હોઈ તેમની સાથે ડેલિગેશનમાં આવેલા શંકર ગોવિંદજી જોષીએ કચ્છના એડવોકેટ એમ.બી. સરદારને રોકી ભુજની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં એસપી સહિત ચાર આરોપી સામે ફરિયાદ દાખલ કરી હતી. 28 જાન્યુઆરીએ આખરી સુનાવણી પૂરી થઈ હતી
એ બાદ વર્ષ 2020માં ફરિયાદીના વકીલ એમ.બી.સરદારનું અવસાન થતાં આ કેસમાં ફરિયાદીના મુખ્ય એડવોકેટ તરીકે આર.એસ.ગઢવી હાજર રહ્યા હતા. અગાઉ આ કેસમાં ચાર આરોપી હતા, જેમાંથી બી.એન.ચૌહાણ તથા પી.એસ.બિશ્નોઇ ચાલુ પ્રોસિડિંગ દરમિયાન મૃત્યુ પામ્યા હતા, જ્યારે અન્ય બે આરોપી કુલદીપ શર્મા તથા ગિરીશ વસાવડા સામે આ કેસ એડિશનલ ચીફ કોર્ટમાં ચાર્જ ફેમ કર્યા હતા. આરોપીના સ્ટેટમેન્ટ બાદ ગત 28 જાન્યુઆરીના રોજ આખરી સુનાવણી પૂરી થઈ છે. અને કેસ 40 વર્ષ બાદ આજે 10 ફ્રેબ્રુઆરીના જજમેન્ટ પર આવ્યો છે. આ કેસમાં ઇભલા શેઠના પક્ષ તથા મૂળ ફરિયાદી વતી આર.એસ.ગઢવીએ દલીલો કરી હતી. સરકારી વકીલ આરોપીનો બચાવ ન કરી શકે
આરોપી કુલદીપ શર્મા તથા અન્ય આરોપીઓ માટે જે વખતે સરકારી વકીલ બચાવ કરતા એડવોકેટ એમ.બી. સરદારે એવી દલીલ કરી હતી કે સરકારી વકીલનું કામ ફરિયાદ પક્ષનો કેસ પુરવાર કરવાનો છે, નહીં કે આરોપીનો બચાવ કરવાનો. પછી આરોપી ભલેને જિલ્લાના પોલીસવડા હોય, જ્યારે તે આરોપી તરીકે આવે છે ત્યારે તે એક આરોપી જ છે અને દરેક આરોપીની જેમ તેણે પોતાનો બચાવ જાતે અથવા પોતાના એડવોકેટ મારફત કરવો જોઈએ. એમાં કોર્ટ સહમત થયેલી અને કુલદીપ શર્મા સહિત અન્ય આરોપીઓએ પ્રાઈવેટ વકીલ રાખી પોતાનો બચાવ કર્યો હતો.