વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગરો માનવ વસ્તીની વચ્ચે વસવાટ કરે છે. વિશ્વામિત્રી નદી કિનારે શ્વાનનો એક મહાકાય મગરે શિકાર કર્યો હતો. શ્વાનનો મૃતદેહ નદીમાં તણાતો જઈ રહ્યો હતો ત્યારે મગરે તેનો શિકાર કર્યો હતો. જેથી, મૃતદેહના બે ટુકડા થઈ ગયા હતા. નદી પાસે ઊભેલા યુવાને આ સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઇલના કેમેરામાં કેદ કર્યો હતો. શ્વાનનો મૃતદેહ પાણીમાં તણાઈ રહ્યો હતો
વડોદરા શહેરના કાલાઘોડા પાસે આવેલા યવતેશ્વર ઘાટ પાસે પસાર થતી વિશ્વામિત્રી નદીમાં શ્વાનના મૃતદેહ પર તરાપ મારીને મગરે શ્વાનને પોતાના મુખનો કોળિયો બનાવી દીધો હતો. ગઈકાલે બનેલી આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. વડોદરા શહેરના જીવદયા પ્રેમી અરવિંદ પવારે જણાવ્યું હતું કે, અમે લોકો યવતેશ્વર ઘાટ પર ઉભા હતા તે સમયે આ ઘટના બની હતી. આ સમયે એક શ્વાનનો મૃતદેહ પાણીમાં તણાઈ રહ્યો હતો. ત્યારે મગરે તેના મૃતદેહને ફાડી ખાધો હતો. જેથી શ્વાનનો એક ભાગ મગરના મોઢામાં હતો અને બીજો ભાગ તણાઈને આગળ જવા લાગ્યો હતો. મગરો નદી કિનારાની આસપાસની માનવ વસ્તીમાં આવી જાય છે
ઉલ્લેખનીય છે કે, વિશ્વામિત્રી નદી મગરોનું આશ્રય સ્થાન છે. હાલમાં વડોદરા સ્માર્ટસિટીની આડમાં વિશ્વામિત્રીને ગટર બનાવી દીધી છે. નદીમાં કચરો ઠલવાઇ રહ્યો છે, જેને કારણે નદીમાં વસવાટ કરતા 400થી વધુ મગર, ત્રણ પ્રજાતિના વસવાટ કરતા કાચબાઓ તેમજ પક્ષીઓના જીવને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. પ્રવર્તમાન ચોમાસામાં નદીમાં પાણીની સપાટી વધે ત્યારે મગરો નદી કિનારાની આસપાસની માનવ વસ્તીમાં આવી જાય છે અને પશુ અથવા માણસો ઉપર હુમલા કરે છે. ખાસ કરી હાલ ચોમાસામાં નદી કિનારે રહેતા લોકોને દહેશત હેઠળ દિવસો પસાર કરવા પડે છે. વડોદરા નજીકથી પસાર થતી ઢાઢર, દેવ નદીમાં પણ મગરોનું પ્રમાણ વધુ છે. અવારનવાર મગરો માણસોનો પણ શિકાર કરતાં હોવાના બનાવો સામે આવ્યા છે. શિયાળો પૂર્ણ થતાં મગરનો પ્રજનન કાળ હોય છે અને ત્યારબાદ માર્ચથી જૂન મધ્ય સુધી ઈંડાં મૂકવાનો સમય હોય છે. આ દરમિયાન મગર પોતાનું આશ્રય સ્થાન, ઈંડાં અને બચ્ચાને બચાવવા માટે માનવ પર હુમલો કરતા જ હોય છે. કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે
મગર પહેલાં આજવા ડેમમાં હતા. ત્યાંથી પછી વિશ્વામિત્રી નદીમાં આવ્યા. વેમાલીથી તલસટ સુધીના 25થી 27 કિ.મી.ના વિસ્તારમાં અસંખ્ય મગરો છે અને હવે મગરો માણસો અને કૂતરા સહિતના પ્રાણીઓ સાથે જીવતા શીખી ગયા છે. વર્ષ-1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જો કે, આજે વિશ્વામિત્રી નદીમાં 441 જેટલા મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતાં તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયાં કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી ચાર લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે. નદી કિનારે શું સાવચેતી રાખવી?