સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં રણવીર અલ્હાબાદિયાએ માતા-પિતા પર કરેલી અભદ્ર કોમેન્ટ બાદ તે ખૂબ જ મોટો વિવાદ બની ગયો છે. તેમના કન્ટેન્ટ પર પ્રતિબંધ મૂકવાની માગ થઈ રહી છે. આ દરમિયાન કપિલ શર્માનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેને જોઈને ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયો ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’નો છે જેમાં કોમેડિયન ક્રિકેટ અને ફિલ્મો વિશે વાત કરે છે. કપિલ શર્માનો ડબલ મિનિંગ જોક્સ!
કપિલ મજાકમાં કહે છે કે ભારતમાં બે જ વસ્તુનો ક્રેઝ છે ક્રિકેટ અને ફિલ્મો. બોર્ડની પરિક્ષા માટે છોકરાઓ ક્યારે 4 વાગ્યે નહીં ઊઠે પણ ક્રિકેટ મેચ સવારે 4 વાગ્યે ઊઠીને જશે. અમૂક લોકો એટલાં શોખીન હોય છે કે રાતે 2 વાગ્યે જ ઊઠી જાય છે, પછી ક્રિકેટના બદલે માતા-પિતાની કબડ્ડી જોઈ પાછા સૂઈ જાય છે. જોકે, કપિલ પાછળથી સ્પષ્ટતા કરે છે કે તેનો અર્થ એ છે કે માતા-પિતા લડતાં હોય છે લોકોએ શું કીધું?
આ વીડિયો વાઈરલ થયા પછી, સોશિયલ મીડિયા પર યુઝર્સ કપિલથી નિરાશ છે કે તેણે ખોટા શબ્દોનો ઉપયોગ કર્યો છે. લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે કપિલે આવું નહતું કહેવાની જરૂર. તે જ સમયે, કેટલાક કહી રહ્યા છે કે કપિલ સ્માર્ટ છે અને તે કહી રહ્યા છે કે તે માતા-પિતા વચ્ચેના ઝઘડા વિશે વાત કરી રહ્યો છે. કોઈએ લખ્યું કે મજાક અને અશ્લીલતા વચ્ચે તફાવત હોવો જોઈએ. કેસમાં અત્યાર સુધીનું અપડેટ
આ કેસમાં રણવીર, સમય રૈના અને બાકીના જજો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રણવીરે સોશિયલ મીડિયા પર બધાની માફી માગી છે અને કહ્યું છે કે તે આ અંગે કોઈ સ્પષ્ટતા નહીં આપે, પરંતુ એટલું જ કહેશે કે તેણે આવું નહોતું બોલવું જોઈતું હતું અને તે ફક્ત આ માટે માફી માગે છે. સમય રૈનાએ તેની ચેનલમાંથી ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટના બધા વીડિયો ડિલીટ કરી દીધા છે. તેમણે કહ્યું કે તેમનો હેતુ ફક્ત લોકોનું મનોરંજન કરવાનો હતો અને તેઓ તપાસમાં તમામ એજન્સીઓને સહયોગ કરશે.
શું છે આખો મામલો?
‘બિયર બાઇસેપ્સ’ તરીકે જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને પોડકાસ્ટર રણવીર અલ્લાહાબાદિયા તાજેતરમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં દેખાયા હતા. આ શો તેના વિવાદાસ્પદ અને બોલ્ડ કોમેડી કન્ટેન્ટ માટે જાણીતો છે, પરંતુ આ વખતે શોમાં કંઈક એવું બન્યું, જેનાથી સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સે થયા. રણવીરે શોમાં એક કન્ટેસ્ટન્ટને વાંધાજનક પ્રશ્નો પૂછ્યા હતા. રણવીરે એક સ્પર્ધકને એવો ગંદો સવાલ પૂછી નાખ્યો, જેનો અર્થ એવો થતો હતો કે ‘શું તમે તમારાં માતા-પિતા સાથે અંગત પળો માણશો?’ આ અને આ સિવાય પણ શોમાં ભરપૂર ગંદી કમેન્ટ્સ હતી. એને લીધે ખાસ કરીને યંગસ્ટર્સમાં આ સુપરહિટ શો અત્યારે વિવાદમાં આવ્યો છે. આ શો સામે હવે મુંબઈ હાઇકોર્ટના એડવોકેટ આશિષ રાય અને પંકજ રાયે મહિલા આયોગને પણ ફરિયાદ મોકલી છે.