રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે સ્થિત હિરાસરમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ જુલાઇ, 2023 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. જે બાદ સપ્ટેમ્બર, 2023 થી ફલાઇટની ઉડાન શરૂ થઈ હતી. તે વખતે ત્યાં હંગામી ટર્મિનલ હતું. જોકે હવે અહીં આધુનિક ટર્મિનલ પણ ધમધમતું થઈ ગયું છે, ત્યારે આ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના નામે 1 મિલિયન મુસાફરોની અવરજવરનો રેકૉર્ડ પ્રસ્થાપિત થયો છે. જે રાજકોટવાસીઓ માટે પણ ગર્વ રૂપ બાબત છે. શરૂઆતમાં એવી ચર્ચા હતી કે, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ રાજકોટ શહેરથી 35 કિલોમીટર દૂર હોવાથી હવાઇ મુસાફરોની સંખ્યામાં ઘટાડો થશે, પરંતુ મુસાફરોની સંખ્યામાં વધારો થતા ઇન્ટરનેશનલ એરપોર્ટને સારો પ્રતિસાદ મળ્યો હોય તેવું લાગી રહ્યું છે. હજૂ આ એરપોર્ટ ઉપરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ઉડાન ભરે તેવી રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓની માંગણી અધૂરી છે. 10,53,341 મુસાફરોએ અવર જવર કરી
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના નામે 1 મિલિયન મુસાફરોની અવર જવરનો રેકોર્ડ વર્ષ 2024 માં નોંધાયો છે. જેમાં વર્ષ દરમિયાન 5,35,966 મુસાફરો રાજકોટ એરપોર્ટ ઉપર ઊતર્યા તો 5,17,375 મુસાફરોએ રાજકોટથી અમદાવાદ, મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, પુણે, હૈદરાબાદ, ગોવા સહિતના સ્થળો સુધી હવાઇ સફર કરી. આમ વર્ષ 2024 માં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી 10,53,341 મુસાફરોએ અવર જવર કરી છે. જેમાં પણ છેલ્લા 3 માસથી હવે મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે. મહિનામાં 3,17,867 મુસાફરોની હવાઈ સફર થઈ
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર વર્ષ 2024 માં નવેમ્બર માસમાં 1.01 લાખ મુસાફરોની અવરજવર હતી. જે ડિસેમ્બર માસમાં વધીને 1.05 લાખ થઈ તો વર્ષ 2025 ની શરૂઆતમાં એટ્લે કે જાન્યુઆરી માસમાં 1.10 લાખ મુસાફરોની અવર જવર થઈ હોવાના આંકડા સામે આવ્યા છે. ત્રણ મહિનામાં 3,17,867 મુસાફરોની હવાઈ સફર થઈ છે. જેમાં નવેમ્બર માસ કરતા ડિસેમ્બરમાં હવાઇ મુસાફરોની સંખ્યામાં 4,129 નો વધારો થયો છે તો ડિસેમ્બર માસ કરતા જાન્યુઆરી માસમાં હવાઇ મુસાફરોમાં 4,149 નો વધારો થયો છે. એટ્લે કે દર મહીને નવા 4 હજારથી વધુ મુસાફરો ઉમેરાઈ રહ્યા છે.