હાલ ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં “ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક -2025” રજૂ કર્યું હતું. જે સર્વાનુમત્તે પસાર કરાયું છે. ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક-2025 હેઠળ રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજિસ્ટ્રેશન માટેની અરજી કરવાનો સમય છ માસ એટલે કે 12 સપ્ટેમ્બર, 2025 સુધી વધારવામાં આવ્યો છે. અગાઉ 12 માર્ચ, 2025 સુધી રજિસ્ટ્રેશન કરાવવાનું હતું. આરોગ્ય સંસ્થાઓને રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા કામચલાઉ નોંધણી આપવા કે રિન્યૂ કરવાનો સમય દોઢ વર્ષ એટલે કે 12 સપ્ટેમ્બર, 2026 સુધીનો કરાયો છે. અત્યાર સુધીમાં રાજ્યને પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન માટે 27 હજાર જેટલી અરજીઓ મળી છે. જેમાંથી 20 હજાર જેટલી સંસ્થાઓનું સફળ રજિસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયું છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં નાના ક્લિનિકથી લઇ મોટી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ , લેબોરેટરી અને ઇમેજિંગ સેન્ટર્સ સહિતની તમામ આરોગ્ય સંસ્થાઓની ડિજીટલી રજીસ્ટ્રી પ્રજાલક્ષી પોલિસી બનાવવા અને આપત્તિ સમયે કારગત સાબિત થશે. કોણે કોણે કરાવવું પડશે રજિસ્ટ્રેશન?
આ કાયદા હેઠળ રાજ્યની હોસ્પિટલ, પ્રસુતિગૃહ, નર્સિંગ હોમ, ડિસ્પેન્સરી, ક્લિનિક, સેનિટોરીયમ, ઉપરાંત લેબોરેટરી, તબીબી સાધનોની મદદથી જ્યાં પેથોલોજિકલ, બેકટેરીયોલોજિકલ, જીનેટિક, રેડિયોલોજિકલ, કેમિકલ, બાયોલોજિકલ તપાસ અથવા તપાસ વિષયક સેવાઓ આપવામા આવતી હોય તેવી સંસ્થાઓએ ફરજીયાત રજિસ્ટ્રેશન કરવાનું રહે છે સુધારા વિધેયકના મુખ્ય અંશો :- આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ સુધારા વિધેયકના મુખ્ય ઉદ્દેશ અને જોગવાઈઓ સંદર્ભે જણાવ્યું હતું કે, રાજ્યમાં નાના ક્લિનિકથી લઇ મોટી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ , લેબોરેટરી અને ઇમેજીંગ સેન્ટર્સ સહિતની તમામ આરોગ્ય સંસ્થાઓ ,તેમજ આ સંસ્થાઓમાં કામ કરતા મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની વિગતો , તેમાં ઉપલ્બધ બેડ, ICU, ઇમરજન્સી સેવાઓ વિગેરેની સચોટ માહિતી મળી રહે તે ઉદ્દેશથી રાજય સરકારે 13 સપ્ટેમ્બર, 2022ના રોજ જાહેરનામું પ્રસિધ્ધ કરીને “ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) એક્ટ-2021 સમગ્ર રાજયમાં અમલમાં મૂકેલ છે. ડિજિટલી રજીસ્ટ્રી ઇમર્જન્સીમાં કારગત સાબિત થશે: આરોગ્ય મંત્રી
તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં કઈ હોસ્પિટલ કયા પ્રકારની સેવા આપી રહી છે, હોસ્પિટલમાં કે ક્લિનિકમાં કયા કયા પ્રકારની સુવિધાઓ, સાધનો, કઇ સ્પેશ્યાલિટીના તબીબો છે તેનું ડેટા મેનેજમેન્ટ અને નિયમન કરીને ડિજિટલી રજીસ્ટ્રી પ્રજાલક્ષી પોલિસી બનાવવા અને આપત્તિ સમયે કારગત સાબિત થશે. આ તમામ ઉદ્દેશોને કેન્દ્રમાં રાખીને આ સુધારા વિધેયક દ્વારા, કાયદાની કલમ–9 (4) માં “કાયમી” શબ્દ નહીં, પરંતુ “કામચલાઉ” શબ્દની જોગવાઇ કરાઈ છે. યોગ અને નેચરોપથીને માન્યતાપ્રાપ્ત ચિકિત્સા પદ્ધતિમાંથી બાકાત રાખ્યા
આ સુધારા વિધેયકની અન્ય મહત્વની જોગવાઈઓ વિશેની વિગતો ગૃહ સમક્ષ રજુ કરતા મંત્રીએ કહ્યું હતું કે, નિયમનકારી માળખાને ધ્યાનમાં રાખીને “યોગ અને નેચરોપથી (નિસર્ગોપચાર પદ્ધતિ)”ને માન્યતાપ્રાપ્ત ચિકિત્સા પદ્ધતિની વ્યાખ્યામાંથી બાકાત કરાઇ છે. જિલ્લા રજિસ્ટ્રેશન સત્તામંડળના આદેશો સામેની અપીલ સાંભળવા માટે રાજ્ય કાઉન્સિલને તેના સભ્યો પૈકી કોઈ એક વ્યક્તિને નિયુક્ત કરવાની સત્તા આપવામાં આવી છે. ચિકિત્સા સંસ્થા માટેની રાજ્ય કાઉન્સિલમાં ડેન્ટલ, હોમિયોપથી અને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ માટે જે તે ચિકિત્સા પદ્ધતિની કાઉન્સિલ કે બોર્ડના એક એક સભ્યની નિમણુંક માટે જોગવાઈ કરી તે ચિકિત્સા પદ્ધતિની સંસ્થાઓનું પ્રતિનિધિત્વ પૂરું પાડવામાં આવ્યું છે. આ સુધારા વિધેયક સંદર્ભે ગૃહના વિવિધ સભ્યોએ વિગતવાર ચર્ચા કરી હતી અને ચર્ચાના અંતે આ વિધેયકને સર્વાનુમત્તે પસાર કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ-2021 13 સપ્ટેમ્બર 2022થી રાજયમાં અમલમાં આવેલ છે. આ કાયદા હેઠળના નિયમો 26 સપ્ટેમબર, 2022થી અમલમાં આવેલ છે. કાયદાના ઉલ્લંઘન બદલ આટલો થશે દંડ
કાયદા હેઠળના સુધારા નિયમો એટલે કે તબીબી સંસ્થાઓ માટેના સ્ટાન્ડર્ડસ 13 માર્ચ 2024 અમલમાં આવ્યા છે. કાયદાની જોગવાઇઓના ઉલ્લંઘન બદલ દંડાત્મક જોગવાઇઓ છે. જે પ્રમાણે કાયદા કે નિયમોની કોઇ જોગવાઇના ભંગના કિસ્સામાં રજિસ્ટ્રેશનને રદ્દ કરવાની તેમજ રૂ.10 હજારથી રૂ.1 લાખ સુધીના દંડની જોગવાઇ , રજિસ્ટ્રેશન વગર ક્લિનિક ચલાવવાના કિસ્સામાં રૂ. 25 હજારથી લઇ રૂ. 1 લાખ સુધીના દંડની જોગવાઇ અને અધિકૃત વ્યક્તિ / ઓથોરીટીના નિર્દેશોનું પાલન ન કરવાના / માહિતી આપવાના ઇન્કાર કરવા વિગેરે કિસ્સામાં રૂ. 5 લાખ સુધીના દંડની જોગવાઈ છે.