નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા 26 ફેબ્રુઆરીએ નીકળશે. ભદ્રકાળી મંદિરથી શરૂ થનારી આ યાત્રા લગભગ 6.25 કિમીના રૂટ પર ફરશે અને બપોર 1 વાગે પુર્ણાહૂતિ થશે. પહેલીવાર નીકળનારી આ યાત્રાની પહિંદ વિધિ પણ થશે. અત્યાર સુધી ભગવાન જગન્નાથની યાત્રામાં પહિંદ વિધિ થતી હોય છે. હવે દર વર્ષે 2 રથયાત્રા નીકળશે. 10 વર્ષથી નગરદેવીની યાત્રા અંગે ચાલતી વિચારણા અંતે સફળ થઈ છે. ટ્રસ્ટીઓ છેલ્લા 10 વર્ષથી મા ભદ્રકાળીની નગરયાત્રા કાઢવા વિચારી રહ્યા હતા. આખરે સંકલ્પ પૂરો થયો છે. યાત્રામાં માતાજીની મૂર્તિની જગ્યાએ 6 ફૂટના ફોટા સાથે પાદુકા નગરચર્યા કરશે. મંદિરમાં આવતા ભક્તોની લાગણી હતી કે, ભગવાન જગન્નાથ નગરદેવ છે તો મા ભદ્રકાળી નગરદેવી છે. માટે દર વર્ષે તેમની યાત્રા નીકળવી જોઈએ. આ યાત્રા પહેલા પહિંદ વિધિ કરવી અનિવાર્ય છે. બની શકે કે મુખ્યમંત્રી, મેયર કે ઉચ્ચ અધિકારી માતાજીની પાદુકા રથમાં બિરાજિત કરશે. એ પછી સવારે 7 વાગ્યે મોરપીંછથી રસ્તો સાફ કરી પહિંદવિધિ થશે. પહેલીવખત આ યાત્રા નીકળતી હોવાથી તેની સંપૂર્ણ જવાબદારી એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને સોંપવામાં આવી છે. હવે પછીનાં વર્ષોમાં નગરયાત્રાનું મોટાપાયે આયોજન કરવામાં આવશે. જોકે યાત્રામાં હાથી-ઘોડાને પરમિશન આપવામાં આવી નથી. યાત્રાની પૂર્ણાહૂતિ પછી મંદિરમાં એક પડીનો હવન અને ભંડારાનું આયોજન ટ્રસ્ટ તરફથી કરવામાં આવ્યું છે. મંદિરના પૂજારીના જણાવ્યા અનુસાર, નગર દેવી ભદ્રકાળી માતાનો ઈતિહાસ કાઢવો શક્ય નથી. જો મરાઠાકાળમાં મંદિર બન્યું હોત તો નામ તુળજા ભવાની કે મહાલક્ષ્મી હોત. પરંતુ રાજા કર્ણદેવ સોલંકીએ 1 હજાર વર્ષ પહેલા 3 મંદિરનું નિર્માણ કર્યું હતું. તેથી મંદિર 1 હજાર વર્ષ જૂનું હોવાનું કહી શકાય. – શશિકાંત તિવારી ચેરમેન, શ્રી રામબલિ પ્રાગ તિવારી ટ્રસ્ટ, ભદ્રકાળી મંદિર માતાજીને સુવર્ણ શણગાર થશે, ભક્તોને ફરાળી ભોજન પીરસાશે
મંદિરના ટ્રસ્ટોઓના જણાવ્યા અનુસાર નગરયાત્રા પરત નીજ મંદિરે આવશે ત્યારે ભક્તો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે ભંડારામાં ભક્તોને માત્ર ફરાળી ભોજન પીરસવામાં આવશે. આ ઉપરાંત સાંજે 6 વાગે મા ભદ્રકાળીની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. 26 ફેબ્રુઆરીએ માતાજીને સુવર્ણ શણગાર કરવામાં આવશે જ્યારે મંદિર અને તેના પરિસરને ફૂલોથી શણગારવામાં આવશે. 15 સ્થળે યાત્રાનું સ્વાગત કરવામાં આવશે
માતા ભદ્રકાળીની નગરયાત્રાનું 15 સ્થળે સ્વાગત કરવામાં આવશે. યાત્રાના 6.25 કિલોમીટરના રૂટ પર પ્રસાદ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રામાં 10 હજારથી વધુ ભક્તો જોડાય તેવી શક્યતા છે. માતા ભદ્રકાળી 5 કલાકમાં નગરયાત્રા પૂરી કરશે. એ પછી મહાઆરતી કરવામાં આવશે.