એક તરફ જ્યાં પ્રયાગરાજ ખાતે મહાકુંભનું આયોજન થયું છે, ત્યાં સુરત ખાતેની જાણીતી ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા. લી.ની CSR આર્મ SRK નોલેજ ફાઉન્ડેશન દ્વારા મહાકુંભ થીમ પર સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આઉટરિંગ રોડ મોટા વરાછા ખાતે આયોજિત ‘પ્યોર વિવાહ’ શીર્ષક હેઠળ સમૂહ લગ્નોત્સવમાં કન્યાદાનમાં ખાસ મહાકુંભમાંથી લાવવામાં આવેલ ગંગાજળ ઉપરાંત રિયલ ડાયમંડ-સોનાના મંગળસૂત્ર સહિત કરિયાવર આપવામાં આવ્યો હતો. 15 યુગલે કૃષ્ણ-રૂક્ષ્મણીના ગેટઅપમાં ફેરા ફર્યા
આ અંગે આયોજક ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા જાણવામાં આવ્યું હતું કે, SRK ગ્રુપ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે અયોધ્યાત્સવ થીમ પર સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને વર-વધુએ રામ-સીતાના ગેટઅપમાં ફેરા ફર્યા હતાં. તેવી જ રીતે આ વર્ષે પણ 75 યુગલમાંથી 15 યુગલોએ કૃષ્ણ-રૂક્ષ્મણીના ગેટઅપમાં ફેરા ફર્યા હતા. કરિયાવર માટે મહાકુંભથી 2000 લિટર ગંગાજળ લવાયું
કરિયાવરમાં રિયલ ડાયમંડમાંથી બનેલું મંગળસુત્ર, કાનની બુટી, નાકનો દાણો, ચાંદીના ઝાંઝર, ચાંદીની ગાય, કબાટ, ખુરશી, વાસણનો સેટ, ટીપોઈ, નાસ્તાની ડિશ, સહિત 68 વસ્તુઓ ભેંટ સ્વરૂપે આપવામાં આવી હતી. વિશેષ બાબત એ હતી કે કન્યાઓને કરિયાવર તરીકે ભેટ આપવા માટે પ્રયાગરાજ ખાતે યોજાયેલ મહાકુંભમાંથી 2000 લિટર ગંગાજળ લાવવામાં આવ્યું હતું. સમૂહલગ્ન કાર્યક્રમમાં 15 હજારથી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. 2015થી અત્યાર સુધીમાં 900થી વધુ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા
આ પ્રસંગે કાર્યક્રમમાં લોકસભા સાંસદ મુકેશ દલાલ સહિતના રાજકીય નેતાઓ હાજર રહ્યા હતા. સાથે મહેમાનો સહિત તમામ આમંત્રિતનું પવિત્ર ગંગાજળ વડે સન્માન કરવામાં આવ્યું હતું. SRKKF દ્વારા વર્ષ 2015થી યોજાતા આ “પ્યોર વિવાહ”માં અત્યાર સુધી 900થી પણ વધુ યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા છે.