સુરતના લસકાણા ચાર રસ્તા પાસે 23 ફેબ્રુઆરીની સાંજના પૂરપાટ હંકારતા કારચાલકે વારા ફરતી બે બાઈકને ટક્કર માર્યા બાદ કાર બીઆરટીએસ રોડમાં ઘૂસીને પલ્ટી થતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે બાઇકચાલક યુવકને હોસ્પિટલે ખસેડાતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતાં. જ્યારે એક યુવતીને ગંભીર ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જેનું આજે મોત નીપજ્યું છે. અમરેલીના સગા ભાઈ-બહેનના મોતથી પરિવારમાં ભારે શોક છે. જ્યારે અન્ય યુવકના મોતથી ત્રણ સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલ આ મામલે લસકાણા પોલીસે કારચાલક વિરુદ્ધમાં સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. ચાલકે પૂરપાટ કાર હંકારી બે બાઈટને અડફેટે લીદી
મળતી માહિતી પ્રમાણે, કામરેજમાં નનસાડ રોડ ઓપેરા હાઉસમાં રહેતા 35 વર્ષીય રાજેશ મનસુખભાઇ ગજેરા અને તેની બહેન શોભા સાથે સાંજે બાઇક પર કામ અર્થે જવા નીકળ્યા હતા. તે સમયે લસકાણા ચાર રસ્તા પાસે એક કારના ચાલેક પૂરપાટ ઝડપે કાર હંકારી રાજેશની બાઈકને ટક્કર મારી હતી. ત્યારબાદ બીજી બાઇકના ચાલક 48 વર્ષીય મહેશભાઈ નાનજીભાઈ લાઠીયાને પણ કારે અડફેટે લીધા હતા. ટૂંકી સારવારમાં બેના મોત
બે બાઈકને અડફેટે લીધા બાદમાં કાર બીઆરટીએસ રોડમાં ઘૂસી ગઈ હતી અને ત્યાં પલ્ટી થઈને ડીવાઈડર સાથે ભટકાઈ હતી. જેમાં ગંભીર ઈજા પામેલા રાજેશ ગજેરા અને મહેશભાઇ લાઠીયાને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં વારા ફરતી બંને યુવકોના ટૂંકી સારવારમાં મૃત જાહેર કર્યા હતા. જયારે ગંભીર ઇજાગ્રસ્ત રાજેશની બહેન શોભાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. કારચાલક વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો
કારચાલકે અકસ્માત કર્યા બાદ બીઆરટીએસ રૂટમાં ઘૂસી કાર પલટી મારી ગઈ હતી. આસપાસથી દોડી આવેલા લોકો દ્વારા કારચાલકની કારમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. કારચાલક અકાઉન્ટની નોકરી કરતો અર્જુન બાલુભાઈ વિરાણી (ઉં.વ.34 રહે. મમતા પાર્ક સોસાયટી, કાપોદ્રા) હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે લસકાણા પોલીસે કારચાલક વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો દાખલ કરી તેની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. ભાઈનું મોત બાદ બહેને પણ સારવારમાં દમ તોડ્યો
રાજેશભાઈ મુળ અમરેલી સાવરકુંડલાના વતની હતા. રાજેશભાઈ તેની બહેન શોભા સાથે કામરેજથી મોટા વરાછા કામ અર્થે જવા નીકળ્યા હતા. તે સમયે રાજેશને રસ્તામાં કાળ ભેટી ગયો હતો. તેની બહેન શોભાને ગતરોજ ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી, જેનું પણ આજે મોત નીપજ્યું છે. રાજેશભાઈ અપરિણીત હતા અને જોબવર્કનું કામ કરતા હતા. ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
મુળ ભાવનગર જિલ્લાના બગદાણાના વતની મહેશભાઇ લાઠીયા રવિવારે સાંજે લસકાણા ડાયમંડ નગર ખાતે ખાતા પરથી બાઈક લઈને ઘરે જતા હતા. ત્યારે લસકાણા ચાર રસ્તા પર તેઓને અકસ્માત નડ્યો હતો. મહેશભાઈને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. જ્યારે ત્રણેય સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. બ્રેકને બદલે એક્સિલેટર દબાઈ ગયું હોવાનો દાવો
આ અકસ્માત બાદ કારચાલકને કારમાંથી બહાર કાઢીને લોકોએ લસકાણા પોલીસને સોંપ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કારચાલક અર્જુન વિરાણીએ ભૂલથી બ્રેકને બદલે એક્સિલેટર દબાઈ ગયું હોવાનો દાવો કર્યો છે, પરંતુ આ ગંભીર બેદરકારીને ધ્યાનમાં રાખીને મોડી રાત્રે પોલીસે તેના વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે. કારચાલકની બેદરકારીથી બેનો જીવ ગયો
સુરત શહેરમાં હાલ સિગ્નલનો કડક રીતે અમલ થઈ રહ્યો છે. દરમિયાન સિગ્નલ પર એક વાર પીળી લાઇટ થયા પછી પાંચ સેકન્ડ પીળી લાઇટ રહેતી હોવાથી સિગ્નલ પાર કરવાની લ્હાયમાં ધણા વાહન ચાલકો પૂરઝડપે વાહન ચલાવતા હોય છે. ત્યારે જે અકસ્માત સર્જાયો થયો તેમા કારચાલક અમુક જ સેકન્ડ બંધ થવામાં બાકી હોવાથી પૂરઝડપે પસાર થવાની લ્હાયમાં કે બ્રેકની જગ્યાએ એક્સીલેટર પર પગ દબાઈ ગયો હોવાની શક્યતા છે. આવા સંજોગોમાં બે બાઈકચાલકને અડફેટે લેતાં બે સગા ભાઈ-બહેન સહિત ત્રણ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.