ભરૂચ જિલ્લાના ઝઘડિયા વિસ્તારમાં રેતી માફિયાઓની દાદાગીરી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓએ આજે વાહનોની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ ટ્રકના ચાલકે અધિકારીઓને જોતાં જ ગભરાટમાં ટ્રક છોડીને ભાગી ગયો હતો. ચાલક વિનાની ટ્રક આગળ વધીને ઊંડા ખાડામાં પડી ગઈ હતી. આ ઘટનાનો વીડિયો કોઈ વ્યક્તિએ ઉતાર્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. અનેક ફરિયાદોને પગલે તપાસ અભિયાન
ઉલ્લેખનીય છે કે ઝઘડિયા પંથકમાં રેતી માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરવામાં આવતું હોવાની અનેક ફરિયાદો મળી હતી. આ ફરિયાદોના પગલે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓએ તપાસ અભિયાન શરૂ કર્યું હતું. ઝઘડીયાના વણાકપોરમાં રેતી માફિયા સામે લોકરોષ
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામમાં રેતી ભરેલા ઓવરલોડ વાહનોની સમસ્યા ગંભીર બની છે. ગામના સરપંચ રક્ષાબેન અને અન્ય ગ્રામજનોએ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ સમસ્યા અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. મોટી દુર્ઘટના સર્જાવાની દહેશત
ગ્રામજનોની રજૂઆત મુજબ, જૂની તરસાલી અને ભાલોદથી આવતી રેતી ભરેલી ટ્રકો અને અન્ય વાહનો ગામમાંથી બેફામ ગતિએ પસાર થાય છે. ગામના મુખ્ય માર્ગ પર શાળા, આંગણવાડી અને રહેણાંક વિસ્તારો આવેલા હોવાથી મોટી દુર્ઘટના સર્જાવાની દહેશત છે. દિવસ-રાત આ ઓવરલોડ વાહનો નિયમોનું ઉલ્લંઘન કરીને પસાર થતા હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ છે. લોકો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવા મજબૂર
આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે તંત્ર આ ઓવરલોડ વાહનો સામે કડક કાર્યવાહી કરે અને તેમના પર નિયંત્રણ મૂકે. જો યોગ્ય પગલાં નહીં લેવાય તો ગ્રામજનો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવા મજબૂર બનશે. ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં રેતી માફિયા સામે લોકરોષ વધી રહ્યો છે, જેના કારણે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.