back to top
Homeગુજરાતમોદીને ગઢમાં પડકારવા ગાંધી સજ્જ:અમદાવાદની હયાત હોટલમાં રોકાશે, સાંજ પછી કોઈ સ્થળે...

મોદીને ગઢમાં પડકારવા ગાંધી સજ્જ:અમદાવાદની હયાત હોટલમાં રોકાશે, સાંજ પછી કોઈ સ્થળે સરપ્રાઇઝ વિઝિટ કરી શકે; જાણો રાહુલ ગાંધીનો સંપૂર્ણ કાર્યક્રમ

લગભગ 8 મહિના પહેલાં સંસદ સત્રના છઠ્ઠા દિવસે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહની સામે જોઇને કહ્યું કે અમે તમને ગુજરાતમાં હરાવીશું, લખી લો. ઈન્ડિયા ગઠબંધન એનડીએને ગુજરાતમાં હરાવવા જઈ રહ્યું છે. રાહુલના આ નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો. ગુજરાત કોંગ્રેસની સ્થિતિ જોઈ રાજકીય વિશ્લેષકો પણ ગોથે ચડ્યા કે આ કેવી રીતે શક્ય છે અને થયું પણ કઇંક એવું.. તાજેતરમાં આવેલા નગરપાલિકાનાં પરિણામો અને ગુજરાત કોંગ્રેસની નિષ્ક્રિયતા જોઈને રાજકીય વિશ્લેષકોની વાત પણ ખરી સાબિત થતી હોય તેમ લાગી રહ્યું છે. આ બધા વચ્ચે અચાનક જ કોંગ્રેસે જાહેરાત કરી કે 8 અને 9 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં કોંગ્રેસનું મહાઅધિવેશન મળશે. છેલ્લે આ પહેલાં 1961માં ભાવનગરમાં કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું. એટલે કે 64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન યોજાશે. બસ પછી શું મૃત:પાય બનેલી ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાયા છે. અચાનક કોંગ્રેસમાં નવી ઊર્જા જોવા મળી રહી છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ આળસ ખંખેરી પાછા બેઠા થયા છે અને સોશિયલ મીડિયામાં પણ છેલ્લા ઘણા સમય બાદ ફરી એકવાર કોંગ્રેસ અને રાહુલ ફિવર જોવા મળી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસ અને કોંગ્રેસના સિનિયર નેતાઓના ટ્વિટર હેંડલ પર રાહુલ ગાંધીને આવકારતી પોસ્ટ જોવા મળી રહી છે. કોંગ્રેસના સિનિયર નેતાઓ એક બાદ એક ગુજરાત આવી રહ્યા છે. પહેલાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક આવ્યા ને પછી AICC સંગઠન મહાસચિવ કે.સી.વેણુગોપાલ તૈયારીઓની સમીક્ષા કરવા આવ્યા. હવે રાહુલ ગાંધી આવતીકાલથી 7-8 માર્ચે ગુજરાત આવી રહ્યા છે. એરપોર્ટ પર રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. બે દિવસના ગુજરાત પ્રવાસમાં રાહુલ ગાંધી કોંગ્રેસના સિનિયર નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક કરશે અને મૃત:પાય બનેલી કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કરશે. તો આવો સૌપ્રથમ રાહુલ ગાંધીના ગુજરાતના બે દિવસના કાર્યક્રમ વિશે જાણીએ… હયાત હોટલમાં રોકાશે
રાહુલ ગાંધી 2 દિવસની મુલાકાત દરમિયાન આશ્રમ રોડ ખાતેની હયાત હોટલમાં રોકાશે. બપોરે લંચ માટે હયાત હોટલમાં જશે. રાહુલ ગાંધીનો સવારે 10થી સાંજે 7 વાગ્યા સુધીનો સત્તાવાર કાર્યક્રમ છે. સાંજે 7 બાદ તેઓ અમદાવાદમાં કોઈ સ્થળે સરપ્રાઈઝ મુલાકાત માટે જઈ શકે છે. કોંગ્રેસ ભવનમાં 4 અલગ અલગ બેઠક
કોંગ્રેસ ભવનમાં સવારે 10થી સાંજે 7 વાગ્યા દરમિયાન કુલ 4 અલગ અલગ બેઠક મળશે. આ તમામ બેઠક અલગ અલગ સ્થળે મળશે. પ્રથમ બેઠક પ્રદેશ નેતા, વિપક્ષ નેતા અને પૂર્વ પ્રદેશના પ્રમુખ તથા પૂર્વ વિપક્ષના નેતા સાથે થશે. કોન્ફરન્સ હોલમાં પ્રથમ બેઠક મળશે. જેમાં 10થી વધુ હોદ્દેદારો હાજર રહેશે. ત્યારબાદ બીજા માળે પોલિટિકલ અફેર કમિટીની બેઠક મળશે. જેમાં 25થી વધુ લોકો હાજર રહેશે તથા જિલ્લા તથા શહેર પ્રમુખ સાથે મિટિંગ કરશે જેમાં 50થી વધુ લોકો હાજર રહેશે. બપોર બાદ ચોથા માળે તાલુકા અને નગરપાલિકાના પ્રમુખ સાથે બેઠક થશે. જેમાં 300થી વધુ લોકો હાજર રહેશે. આમ એક જ દિવસમાં કોંગ્રેસ કાર્યાલયમાં 3 અલગ અલગ જગ્યાએ 4 બેઠક કરશે. સાંજે 5 વાગ્યા બાદ નક્કી કરેલા હોદ્દેદારો અને વ્યક્તિઓ સાથે અલગથી બેઠક કરવામાં આવશે. કાર્યક્રમનો મૂળ હેતુ કાર્યકરો સાથે સીધા સંવાદનો છે
કાર્યકર્તા સંમેલનમાં પ્રદેશ, જિલ્લા, શહેર અને સેલના તમામ હોદ્દેદારો હાજર રહેશે. રાહુલ ગાંધીના કાર્યક્રમનો મૂળ હેતુ કાર્યકરો સાથે સીધા સંવાદનો છે. પક્ષ માટે શું કરી શકાય અને શું બદલી શકાય તે રાહુલ ગાંધી જાણશે.
તમામ સિનિયર લીડર, આગેવાન, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, સાંસદ, પૂર્વ સાંસદ સહિત તમામને રાહુલ ગાંધી વન ટુ વન મળશે. આ પ્રથમ વખત હશે જ્યારે તાલુકા અને વોર્ડના આગેવાન સાથે કોઈ રાષ્ટ્રીય નેતા મુલાકાત કરશે. લોકોના પ્રશ્નો જાણીને લોકો સુધી સાચી વાત પહોચાડવાનો પ્રયાસ કરાશે. આ મુલાકાત દરમિયાન આગામી રણનીતિ તૈયાર કરવામાં આવશે. મહિનામાં બે વાર ગુજરાત આવશે રાહુલ ગાંધી
આમ આવતીકાલની બે દિવસની મુલાકાત અને કોંગ્રેસ અધિવેશન એમ મહિનામાં બે વાર રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અહીંથી જ તેઓ ગુજરાતમાં સંગઠન તૈયાર કરવા માટે નવું મોડલ આપશે. અને જે બાદમાં સમગ્ર દેશમાં લાગુ કરાશે. આમ રાહુલ ગાંધીની અચાનક સક્રિયતા જોઇ ગુજરાત કોંગ્રેસમાં નવો જોમ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ રાહુલ ગાંધી લગભગ 8 મહિના પહેલાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પથ્થરમારાની ઘટના બાદ અમદાવાદ આવ્યા હતા. ત્યારે તેમણે કોંગ્રેસ કાર્યકરો સાથે મુલાકાત બાદ ગુજરાતના દુર્ઘટના પીડિતોને પણ મળ્યા હતા. અને બોટકાંડ, અગ્નિકાંડના મુદ્દાને સંસદમાં ઉઠાવાની ખાતરી આપી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર આ પણ વાંચો: કોંગ્રેસને બેઠી કરવા અને 2027ની ચૂંટણીની તૈયારી!:રાહુલ ગાંધીની મુલાકાતના ચોથા દિવસે પ્રભારી અમદાવાદમાં, કોંગી કાર્યકરની નારાજગી મુદ્દે કહ્યું- પક્ષ પર આંગળી ચીંધી એ અયોગ્ય અધિવેશન માટે 4 સ્થળની મુલાકાત બાદ રિવરફ્રન્ટ ફાઈનલ
આ અધિવેશન માટે સ્થળ પસંદગી કરવા કોંગ્રેસના કાર્યકારી સંગઠન મહામંત્રી કે. સી. વેણુગોપાલ ગુજરાત આવ્યા હતા. તેમણે કોંગ્રેસના અધિવેશન માટે રિવરફ્રન્ટ, કલબ ઓ સેવન, શાહીબાગનું સરદાર સ્મારક અને અન્ય એક સ્થળની મુલાકાત લીધી હતી. જો કે ટ્રાફિકની સુગમતા અને કોંગ્રેસ કાર્યાલય નજીક હોવાથી રિવરફ્રન્ટને અધિવેશનના સ્થળ તરીકે ફાઈનલ કરાયું છે. આ અધિવેશનમાં સમગ્ર દેશમાંથી કોંગ્રેસના નેતાઓ ગુજરાત આવશે. 8-9 એપ્રિલે 64 વર્ષ બાદ ગુજરાતમાં અધિવેશન
AICC અધિવેશનમાં દેશભરના AICC પ્રતિનિધિઓ એકત્રિત થશે, જ્યાં બંધારણ તેમજ તેનાં મૂલ્યો પર થતા સતત હુમલાઓ અને ભાજપની જનવિરોધી નીતિઓ અંગે ચર્ચા થશે અને પક્ષની આગામી કામગીરી અંગે માર્ગદર્શન નિર્ધારિત કરવામાં આવશે. કોંગ્રેસ લગભગ 30 વર્ષથી ગુજરાત પર કબજો કરી શકી નથી અને પાર્ટીએ અનેક પ્રયાસ કર્યા છતાં દર ચૂંટણીમાં એ સફળ થઈ શકી નથી. તાજેતરમાં જ ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, એમાં પણ કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે. હવે કોંગ્રેસે મિશન-2027 હેઠળ અત્યારથી જ ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે. ભાવનગરનો એ યોગાનુયોગ અને શક્તિસિંહ
આ પહેલાં 1961માં ભાવનગરમાં અધિવેશન યોજાયું હતું. આમ, 64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન યોજાશે. એમાં પણ યોગાનુયોગ 1961માં ભાવનગરમાં અધિવેશન મળ્યું હતું અને આ વખતે ભાવનગરના વતની એવા શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખપદે છે. એ અધિવેશન સમયે વર્તમાન પ્રદેશ પ્રમુખ માત્ર 1 વર્ષના હતા. ગુજરાતમાં ભાજપને હરાવવાનો રાહુલનો પડકાર
લોકસભા ચૂંટણી-2024 બાદ રાહુલ ગાંધી જુલાઈ, 2024માં ગુજરાત મુલાકાતે આવ્યા હતા. તેમણે કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધતાં કહ્યું હતું કે આપણે જે રીતે ભાજપને અયોધ્યામાં હરાવ્યો એ રીતે ગુજરાતમાં પણ હરાવીશું. કોંગ્રેસના ટોચના નેતાઓની પણ ગુજરાત મુલાકાત વધી ગઈ છે. ગુજરાત કોંગ્રેસના નેતા કહેતા હોય છે કે રાહુલ ગાંધીએ ગુજરાતમાં ભાજપને હરાવવાનો ગત વર્ષે જ પડકાર ફેંક્યો હતો. એ વખતે તેમણે સંસદમાં કહ્યું હતું કે તમે લખીને રાખો, આ વખતે અમે તમને ગુજરાતમાં હરાવીશું. વિપક્ષ ઈન્ડી ગઠબંધન ભાજપને ગુજરાતમાં હરાવશે. કોંગ્રેસ-અધ્યક્ષ બેઠકની અધ્યક્ષતા કરશે
અધિવેશન 8 એપ્રિલે વિસ્તૃત કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક સાથે શરૂ થશે, જે પછી 9 એપ્રિલેના રોજ AICC પ્રતિનિધિઓની બેઠક યોજાશે. આ બંને બેઠકમાં માનનીય કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અધ્યક્ષતા કરશે તેમજ કોંગ્રેસ સંસદીય પક્ષની અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસશાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ, રાષ્ટ્રીય પદાધિકારીઓ, વરિષ્ઠ નેતાઓ અને અન્ય AICC પ્રતિનિધિઓ હાજર રહેશે. આ AICC અધિવેશન બેલગાવીમાં યોજાયેલી વિસ્તૃત CWC બેઠક (નવા સત્યાગ્રહ બેઠક)માં અપાયેલા ઠરાવની ચાલુ પ્રક્રિયા તરીકે યોજાઈ રહ્યું છે, જે 1924માં મહાત્મા ગાંધી દ્વારા અધ્યક્ષપદ સંભાળવામાં આવેલા કોંગ્રેસ અધિવેશનની 100મી વર્ષગાંઠની યાદમાં યોજાઈ હતી. કોંગ્રેસ માટે ગુજરાત કેમ મહત્ત્વનું?
ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગૃહરાજ્ય હોવાના કારણે અહીંની દરેક ચૂંટણી મહત્ત્વની હોય છે. આવી સ્થિતિમાં કોંગ્રેસને લાગે છે કે જો આગળ વધવું હોય તો BJPને ગુજરાતમાં હરાવવી પડશે. કોંગ્રેસ એક-બે મહિનામાં આગામી બે વર્ષનો કાર્યક્રમ તૈયાર કરી લેશે. ભાવનગરના અધિવેશનમાં નહેરુ સહિત ટોચના કોંગ્રેસના નેતાઓ આવ્યા હતા
1961માં ભાવનગરમાં યોજાયેલા કોંગ્રેસ અધિવેશનમાં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, વાય.બી. ચવ્હાણ, જ્ઞાની ઝૈલસિંહ, શ્રવણસિંહ વગેરે દેશના મોટા ગજાના આગેવાનો આવ્યા હતા. એ વખતે સરદારનગર વિસ્તારમાં ખુલ્લી જમીન હોવાથી આ અધિવેશનનો મંડપ ત્યાં બનાવાયો હતો. અધિવેશન પૂરું થયા પછી સરદારનગરમાં જમીનના પ્લોટો પાડીને રહેણાક વિસ્તાર બનાવાયો હતો અને રૂપાણી સર્કલથી ભરતનગર સુધીનો વિસ્તાર રહેણાકી બની ગયો હતો. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલે સ્વામિનારાયણ ગુરુકુળના સ્થાપક નારાયણ પ્રિયદાસજીને જમીન આપી હતી અને ત્યાં ધીમે ધીમે સેંકડો વિદ્યાર્થીઓનું એક મોટું સંકુલ ઊભું કર્યું હતું અને એનો વહીવટ તેના શિષ્ય કે.પી. સ્વામીને સોંપ્યો હતો. નારાયણપ્રિયદાસજીએ આ સંકુલમાં એક મોટો હોલ, જેમાં વચમાં એકપણ થાંભલો ન હોય એવો બનાવ્યો હતો. કોંગ્રેસ 1995થી ગુજરાતની સત્તાથી દૂર
રાજ્યમાં 1995, 1998, 2002, 2007, 2012 અને 2017, 2022 એમ 7 વિધાનસભા ચૂંટણી યોજાઈ ચૂકી છે અને આ તમામ ચૂંટણીમાં કોંગ્રેસને પછડાટ મળી છે. માત્ર એટલું જ નહીં, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં તો કોંગ્રેસનો તમામ 26 લોકસભા બેઠક પર પરાજય થયો હતો, જોકે 2024ની લોકસભા ચૂંટણીમાં સમ ખાવા પૂરતી એક સીટ મળી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments