ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં શ્રી રંગ નેનો સિટી-1માં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આર્થિક સંકળામણના કારણે પતિએ પોતાની પત્ની અને પુત્રની કરપીણ હત્યા કરી અને પછી પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પેનલ પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું છે કે, આ હત્યા સવારના 10થી 11 વાગ્યાના ગાળામાં થઈ હતી, પરંતુ પાડોશીઓને સાંજે આ ઘટનાની જાણ થઈ હતી. એટલે કે દીકરા અને પત્ની લાશ પડી રહી છતાં એણે અડધો દિવસ ઘરમાં કાઢ્યો હતો. આઠેક કલાક તે ઘરમાં જ હતો. પોલીસે સુસાઇડ નોટ કબજે કરી છે, પરંતુ તેમાં લખેલી હકીકત પર શંકા વ્યક્ત કરી છે. પતિ-પત્નીના મોબાઈલ FSLમાં મોકલાયા, CDR પણ મંગાવાયા
પોલીસે પતિ અને મૃત પત્નીના મોબાઇલ ફોન પણ એફએસએલમાં તપાસ અર્થે મોકલી આપ્યા છે. ઉપરાંત બંનેના મોબાઈલના CDR પણ મંગાવવામાં આવ્યા છે. છેલ્લા 48 કલાકમાં બંનેએ કોની સાથે વાત કરી, ખાસ કરીને હરેશે હત્યાકાંડને અંજામ આપ્યા પછી કોઈને ફોન કર્યા કે નહીં એ જાણવા પણ પોલીસે કવાયત હાથ ધરી છે.
આ પણ વાંચો, 4 વર્ષના દીકરાનું તિજોરીએ માથું પછાડી અને પત્નીની ટૂંપો દઈ હત્યા હત્યારા પતિને અમદાવાદ સિવિલ ખસેડાયો
ગાંધીનગરનાં સરગાસણમાં શ્રી રંગ નેનો સિટી-1માં આર્થિક સંકળામણમાં ડબલ મર્ડર અને આપઘાતના પ્રયાસનો બનાવ બન્યો છે. જેમાં પત્ની અને પુત્રની કરપીણ હત્યા કરી આપઘાતનો પ્રયાસ કરનાર હત્યારા પતિને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામા આવ્યો છે. બીજી તરફ માતા-પુત્રનું આજે સવારે પેનલથી પોસ્ટમોર્ટમ કરાવતા બંનેની હત્યા સવારના સમયે જ કરી દેવામાં આવી હોવાનું ઈન્ફોસિટી પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. બબ્બે હત્યા કરી પછી સુસાઈડ નોટ લખી આપઘાતનો પ્રયાસ!
પોલીસની તપાસમાં હરેશે પત્નીને ગળે ટૂંપો તેમજ પુત્રનું બોથડ પદાર્થ મારી બેડરૂમની તિજોરીના અરીસાએ માથું ભટકાવી નિર્મમ હત્યા કરી હતી. બાદમાં સુસાઇડ નોટ લખીને પોતે પણ હાથની નસ કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ડીવાયએસપી ડી ટી ગોહિલે જણાવ્યું કે, હરેશે લખેલી સુસાઇડ નોટ કબજે લેવામાં આવી છે. જેમાં તેણે ઉલ્લેખ કર્યો છે કે, મારે સુરેન્દ્રનગર મકાન લેવાનું હતું. સાળાના મકાનમાં રહીએ છીએ, શેરબજારમાં દેવું વધી જતાં મેં આ પગલું ભર્યું છે. મારાં સાસુ-સસરાને હેરાન કરતા નહીં. નોકરી સ્થળેથી પૈસા લેવાના હોવાથી એ પૈસાથી પત્ની-દીકરાનાં અંતિમ સંસ્કાર કરજો. હત્યારો આખો દિવસ ઘરમાં જ રહ્યો પોલીસે સીસીટીવી ફંફોસ્યા
બીજી તરફ સુસાઇડ નોટમાં લખેલી હકીકત પોલીસના ગળે ઊતરી રહી નથી. જેથી હરેશની પૂછતાછ કર્યા પછી જ સત્ય હકીકત બહાર આવી શકે એમ છે. કેમ કે, પોલીસ તપાસમાં બંનેની હત્યા હરેશે સવારના 10થી 11 વાગ્યાના ગાળામાં કરી હોવાનું સામે આવ્યું છે. જ્યારે પાડોશીને સાંજે ખબર પડતાં સમગ્ મામલો સામે આવ્યો છે. એટલે મર્ડર કર્યા પછી હરેશ આખો દિવસ ઘરમાં પત્ની-પુત્રની લાશ જોડે રહ્યો હતો. જે બહાર ગયેલો કે નહીં એ જાણવા પોલીસે સીસીટીવી પણ ચેક કરવાનું શરૂ કર્યું છે. પતિ-પત્ની બંને કામધંધે જતાં નહીં, આવતા મહિને દીકરાની બાબરી હતી
દિવ્ય ભાસ્કરની તપાસમાં હરેશ બે-ત્રણ દિવસથી નોકરીએ પણ જતો ન હતો. તેમજ તેને શેરબજારની પણ કોઈ ખાસ ખબર પડતી ન હતી. ઉપરાંત ગત રવિવારે હરેશને કોઈની સાથે ટેલિફોનિક માથાકૂટ થઇ હતી. જે પછી તે નોકરીએ જતો ન હતો. તેમજ તેની પત્ની પણ રસોઇ બનાવવા જતી ન હતી. આવતાં મહિને બંને જણાં પુત્ર ધ્રુવની બાબરીની વિધિ કરવાનાં હતાં. જ્યારે બુધવારે પતિ-પત્ની એકલાં બાધા કરવા ધાર્મિક સ્થળે ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે. જો કે, હરેશનું પોલીસ દ્વારા વિગતવાર નિવેદન લેવામાં આવે પછી જ સમગ્ર હત્યાકાંડની સાચી હકીકત સામે આવશે. હાલમાં પરિવારજનો માતા-પુત્રની અંતિમ ક્રિયાની તૈયારીઓ કરી રહ્યાં છે. ભાઈએ બહેન-બનેવીને રહેવા ઘર આપ્યું હતું
ગાંધીનગરના કુડાસણ ઓમ એન્કલેવમાં રહેતા મૂળ ચૂડા તાલુકાના મોરવાડના વતની કિશોર મનસુખભાઈ વાળંદની બહેન આશાબેનનાં લગ્ન આજથી નવ વર્ષ અગાઉ સુરેન્દ્રનગરનાં અને હાલમાં સરગાસણ શ્રીરંગ નેનો સિટી-1 મકાન નંબર – આઇ/303 માં રહેતા હરેશ કનુભાઈ વાધેલા સાથે થયા હતા. આ લગ્નજીવનથી દંપતીને ચાર વર્ષનો દીકરો ધ્રુવ હતો. જ્યારે હરેશ સેક્ટર- 11 સુમન ટાવરમાં આવેલા એમ્પાયર હેર સલૂનમાં નોકરી કરતો હતો. તેમજ આશાબેન અલગ અલગ જગ્યાએ રસોઇકામ કરતાં હતાં. પાડોશી ચાર્જિંગ બલ્બ લેવા જતાં ઘટના બહાર આવી
ગઈકાલે સાંજના પોણા છ-એક વાગે પાડોશમાં રહેતાં નયન મોગડિયા ચાર્જિંગવાળો બલ્બ લેવા ગયા હતા અને ઘરનો દરવાજો ખોલતા જ અંદરનું દૃશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. આશાબેન અને તેમનો પુત્ર ધ્રુવ લોહીનાં ખાબોચિયામાં લથપથ હાલતમાં મૃત અવસ્થામાં પડ્યાં હતાં. જ્યારે હરેશ હાથે નસ કાપેલી બેભાન હાલતમાં હતો. જેને સારવાર અર્થે ખસેડવામાં સિવિલ લઈ જવાયો હતો. આ બનાવની જાણ થતાં જ એસપી રવિ તેજા વાસમશેટ્ટી, ડીવાયએસપી ડી. ટી. ગોહિલ, પીઆઈ વી. આર. ખેર સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.