ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ અધિકારી કુલભૂષણ જાધવના અપહરણમાં મદદ કરનાર મુફ્તી શાહ મીરનું પાકિસ્તાનના બલુચિસ્તાનમાં મોત થયું છે. શુક્રવારે રાત્રે અજાણ્યા હુમલાખોરોએ તેને ગોળી મારી દીધી હતી. મુફ્તી મીરે ઈરાનથી કુલભૂષણ જાધવનું અપહરણ કરવામાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIને મદદ કરી હતી. શુક્રવારે રાત્રે નમાજ પછી તે મસ્જિદમાંથી બહાર આવી રહ્યો હતો. ત્યારબાદ બાઇક સવાર હુમલાખોરોએ તેના પર હુમલો કર્યો અને ફાયરિંગ કર્યુ હતું. પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલ મુજબ, ગોળી વાગ્યા બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. માનવ તસ્કરી અને હથિયારોની દાણચોરીમાં સંડોવાયેલા મુફ્તી મીર ઇસ્લામિક કટ્ટરવાદી પક્ષ જમિયત ઉલેમા-એ-ઇસ્લામનો સભ્ય હતો. પાકિસ્તાને જાધવની જાસૂસીના આરોપસર ધરપકડ કરી હતી
પાકિસ્તાની સેનાએ 3 માર્ચ 2016ના રોજ કહ્યું હતું કે તેણે કુલભૂષણ જાધવની બલુચિસ્તાનમાંથી ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાને તેમના પર જાસૂસી અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. પાકિસ્તાને એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં જાધવે કથિત રીતે સ્વીકાર્યું હતું કે તે ભારતીય ગુપ્તચર એજન્સી RAW માટે કામ કરતો હતો અને બલુચિસ્તાન અને કરાચીમાં શાંતિ ડહોંળવામાં સામેલ હતો. જો કે, ભારતે તેને ફગાવી દીધું અને તેને બળજબરીથી લેવાયેલું નિવેદન ગણાવ્યું હતું. ભારતે કહ્યું હતું કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓએ જાધવનું ઈરાનથી અપહરણ કર્યું હતું. નિવૃત્તિ પછી જાધવ ઈરાનમાં બિઝનેસ કરી રહ્યા હતા. જાધવને મૃત્યુદંડની સજા, હાલમાં જેલમાં જાધવ પર પાકિસ્તાની સૈન્ય કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો. 10 એપ્રિલ 2017ના રોજ, સૈન્ય કોર્ટે તેમને જાસૂસી, આતંકવાદ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓના આરોપસર મૃત્યુદંડની સજા ફટકારી હતી. ભારતે આ નિર્ણયની સખત નિંદા કરી અને સરકાર પર આ મામલે પારદર્શિતા ન જાળવવાનો આરોપ લગાવ્યો હતો. મે 2017માં, ભારતે આંતરરાષ્ટ્રીય કોર્ટ (ICJ) નો સંપર્ક કર્યો અને પાકિસ્તાન પર વિયેના સંમેલનનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો. ભારતે દલીલ કરી હતી કે જાધવની નિષ્પક્ષ સુનાવણી કરવામાં આવી ન હતી અને તેમના અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. ICJએ જાધવની ફાંસી પર રોક લગાવી દીધી અને અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો. જુલાઈ 2019માં, ICJએ ભારતના પક્ષમાં ચુકાદો આપ્યો અને પાકિસ્તાનને જાધવની સજા પર પુનર્વિચાર કરવાનો નિર્દેશ આપ્યો. ત્યારથી અત્યાર સુધી પાકિસ્તાને આ અંગે કોઈ નિર્ણય લીધો નથી. કુલભૂષણ જાધવ હાલમાં પાકિસ્તાનની જેલમાં બંધ છે.