ગોંડલમાં પૂર્વ MLA જયરાજસિંહ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. તેમના બંગલા પાસે પિતા-પુત્રને માર માર્યો હોવાના આરોપ વચ્ચે હવે પુત્રનો મૃતદેહ રાજકોટથી મળી આવતા પિતાએ આક્ષેપ કર્યા હતા. મૃતકના પિતાએ મીડિયા સમક્ષ જણાવ્યું છે કે મેં જે અગાઉ કીધું હતું તે થયું છે. મારા દીકરા સાથે શું થયું, શું નહીં તેની મને ખબર નથી. મારી સાથે જે બનાવ બન્યો ત્યારથી હું એક જ વાત કહી રહ્યો છું, અમને ન્યાય જોઈએ છીએ. હું 30 વર્ષથી ગોંડલમાં રહું છું પણ આવું પ્રથમ વખત બન્યું છે. મારા દીકરાની હત્યા થઈ હોય તેવી મને શંકા છે, જે પણ હોય અમને બસ ન્યાય જોઈએ છે. રાજકોટ-ગોંડલના યુવકના શંકાસ્પદ મોતના મામલે હવે રાજસ્થાનના સાંસદ હનુમાન બેનિવાલે પણ ટ્વીટ કરી સમગ્ર મામલે સીબીઆઇ તપાસની માગ કરી છે. તેમને કહ્યું છે કે આ ઘટનાને જાટ સમાજ સહન નહી કરે. આ ઘટના સંસદમાં ઉઠાવીશ. પૂર્વ બાહુબલી વિધાયક અને તેના સાગરીતો આ હત્યાકાંડમાં શામેલ છે. પિતાએ 3 માર્ચે પુત્ર ગુમ થયાની અરજી કરી હતી
ગોંડલથી ગત 3 માર્ચે રાજકુમાર રતનલાલ ચૌધરી (જાટ) નામનો યુવક ગુમ થયો હતો. રાજકુમાર ઘરેથી ભેદી રીતે ગુમ થયો હોવાની પિતાએ રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. તેમજ ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને અરજી પણ આપી હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહનાં બંગલા પાસે બાઈક ઉભુ રાખતા પિતા-પુત્રને માર માર્યો હોવાનો આરોપ લગાવાયો હતો. જોકે, આ ઘટનાના બીજા દિવસે રાજકુમાર ગુમ થતા પિતાએ પોલીસમાં અરજી કરતા શહેરના બસ સ્ટેન્ડ સહિતનાં જાહેર સ્થળો ઉપર આ યુવક ગુમ થયો હોવાના પોસ્ટર લાગ્યા હતા. દરમિયાન કોઈ અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા 4 માર્ચ 2025ના રોજ રાત્રિના 3 વાગ્યા આસપાસ યુવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ યુવક રાજકુમાર હોવાની ઓળખ થતા રાજકોટ પોલીસે પરિવારને જાણ કરી છે, જેને લઈને પરિવારે ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માગ કરી છે. હાલ પોલીસે અજાણ્યા વાહનચાલકની શોધખોળ પણ હાથ ધરી છે. યુ.પી.એસ.સી.ની તૈયારી કરતો પુત્ર ગુમ થતા જ પરિવાર ચિંતિત હતો. પરિવારની ફોરેન્સિક પીએમની માગ
મૃતક રાજકુમારનાં પિતા રતનલાલે આ અરજીમાં તેના પુત્રને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના બંગલા નજીક 2 માર્ચના રોજ કેટલાક વ્યક્તિઓએ માર માર્યાનો ઉલ્લેખ પણ કર્યો હતો. બીજી તરફ અજાણ્યા વાહનચાલકે 4 માર્ચનાં રોજ રાત્રે 3 વાગ્યા આસપાસ અડફેટે લેતા યુવકનું મોત નીપજ્યું હતું. જેને લઈને રાજકોટની પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા તપાસ કરવામાં આવી રહી હતી. મૃતક રાજકુમાર ચૌધરી હોવાનું જાણવા મળતા રાજકોટ પોલીસ દ્વારા પરિવારને જાણ કરવામાં આવી હતી. જેને પગલે પરિવારે ફોરેન્સિક પીએમ કરવાની માગ કરી છે. જયરાજસિંહનાં ફાર્મ હાઉસ પાસે મારામારી થઈ હતીઃ અર્જુનભાઈ
મૃતક રાજકુમારનાં બનેવી અર્જુનભાઈએ દિવ્ય ભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, મારો સાળો રાજકુમાર 3 માર્ચથી ગોંડલ ખાતે તેના ઘરેથી ગુમ થયો હતો. રાજકોટમાં તેમનો અકસ્માત થયો હોવાનો કોલ પોલીસ પાસેથી મળ્યો હતો. ગોંડલ ખાતે જયરાજસિંહનાં ફાર્મ હાઉસ પાસેથી પસાર થતા તેને ત્યાં ઉભેલા 5-7 લોકો સાથે નાની-મોટી મારામારી થઈ હતી. એવું કાંઈ ખાસ હતું નહીં. રાજકુમાર મિસિંગ હતો અને તેનો અકસ્માત થયો હોવાનું પોલીસે કહેતા અમે તેનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવાની માગ કરી છે. બેશરમ ‘ગણેશ ગોંડલ’ની હસતા મોઢે જેલમાં એન્ટ્રી:જૂનાગઢમાં NSUI પ્રમુખનું અપહરણ, હત્યાનો પ્રયાસ અને એટ્રોસિટીના કેસમાં પોલીસે કરેલી રિમાન્ડની માગણી નામંજૂર, તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા વાંચો સંપૂર્ણ સમાચાર