કર્ણાટક સરકારે સોનાની દાણચોરીના કેસમાં કન્નડ અભિનેત્રી રાન્યા રાવ ઉર્ફે હર્ષ વર્ધિની પર VIP એરપોર્ટ પ્રોટોકોલ વિશેષાધિકારોનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવતા નવેસરથી તપાસ કરવાનો આદેશ આપ્યો છે. તપાસમાં તેના સાવકા પિતા (ડીજીપી) ડૉ. કે. રામચંદ્ર રાવની સંભવિત ભૂમિકાની પણ તપાસ કરવામાં આવશે. રાન્યા રાવની 3 માર્ચે દુબઈથી પરત ફરતી વખતે બેંગલુરુના કેમ્પાગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 14.2 કિલો સોના સાથે ધરપકડ કરવામાં આવી હતી. રાન્યા તેના બેલ્ટમાં છુપાવીને સોનું લઈને આવી હતી. સુરક્ષા તપાસથી બચવા માટે, રાન્યાએ તેના પિતાના નામ અને પદનો દુરુપયોગ કર્યો અને વરિષ્ઠ અધિકારીઓને આપવામાં આવતી એરપોર્ટ સુવિધાઓનો ઉપયોગ કર્યો હતો. રાજ્ય સરકારે IAS, અધિક મુખ્ય સચિવ ગૌરવ ગુપ્તાને તપાસ અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. તેનો અંતિમ રિપોર્ટ એક અઠવાડિયામાં આવવાની અપેક્ષા છે. આ મામલે કર્ણાટકમાં રાજકીય ચર્ચા તેજ બની સોનાની દાણચોરીના મામલાએ કર્ણાટકમાં રાજકીય ચર્ચા તેજ બની છે, શાસક કોંગ્રેસ અને વિપક્ષ ભાજપ એકબીજા પર ખોટા કામોનો આરોપ લગાવી રહ્યા છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ રાન્યા રાવને તપાસથી બચાવી રહી છે. તેમજ, કોંગ્રેસે ભાજપ પર શંકાસ્પદ સંજોગોમાં અભિનેત્રી સાથે સંકળાયેલી કંપનીને જમીન આપવાનો આરોપ લગાવ્યો છે. કર્ણાટક ભાજપના અધ્યક્ષ બીવાય વિજયેન્દ્રએ સોશિયલ મીડિયા પર સરકારની ટીકા કરતા કહ્યું, “કૌભાંડોની નવીન પદ્ધતિઓનો આશરો લેવાના આ સરકારના ટ્રેક રેકોર્ડને જોતાં, હાલના સમયમાં સોનાની દાણચોરીના સૌથી મોટા કેસમાં સિદ્ધારમૈયા સરકારના એક અગ્રણી મંત્રીની સંડોવણી અંગેના મીડિયા અહેવાલો પર કોઈ આશ્ચર્યની વાત નથી.” તેમણે આરોપ લગાવ્યો કે 12 કરોડ રૂપિયાથી વધુના સોનાની દાણચોરી માટે સરકારી પ્રોટોકોલનો દુરુપયોગ ઉચ્ચ સ્તરીય રાજકીય સમર્થન વિના થઈ શકે નહીં રાજ્યના ગૃહમંત્રી જી પરમેશ્વરે જણાવ્યું હતું કે તપાસ ચાલુ છે અને જ્યાં સુધી તારણો સ્પષ્ટ ન થાય ત્યાં સુધી સરકાર હસ્તક્ષેપ કરશે નહીં. તેમણે કહ્યું, “જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી અમે કંઈ કહી શકીએ નહીં. હું કે સરકાર આવી કોઈ પ્રતિક્રિયા આપી શકીએ નહીં.” કર્ણાટકના મંત્રી એમબી પાટીલે ભાજપના આરોપોનો જવાબ આપતા કહ્યું કે, પાછલી ભાજપ સરકાર દરમિયાન રાન્યા રાવ સાથે જોડાયેલી કંપનીને 12 એકર જમીન ફાળવવામાં આવી હતી. તે 15 દિવસમાં 4 વખત દુબઈ ગઈ હતી છેલ્લા 15 દિવસમાં તે ચાર વખત દુબઈ ગઈ હોવાથી સુરક્ષા એજન્સીઓ પહેલાથી જ તેની હલચલ પર નજર રાખી રહી હતી. ડીઆરઆઈની દિલ્હી ટીમને પહેલાથી જ સોનાની દાણચોરીમાં રાન્યાની સંડોવણીની જાણ હતી. તેથી, 3 માર્ચે, અધિકારીઓ તેમની ફ્લાઇટ લેન્ડ થાય તેના બે કલાક પહેલા એરપોર્ટ પર પહોંચી ગયા હતા.