ગોંડલના મૃતક યુુવક રાજકુમાર જાટની બોડી પર પરિવાર ઈજાનો દાવો કરે છે તે એક્સક્લુઝિવ વીડિયો ભાસ્કર પાસે છે. અગાઉ વધુ એક CCTV ફૂટેજ સામે આવ્યાં હતા. જેમાં રાજકુમાર 3 માર્ચે સવારના 8 વાગ્યાની આસપાસ નિર્વસ્ત્ર હાલતમાં રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર ચાલીને જતો જોવા મળ્યો હતો. હાલ આ CCTV ફૂટેજ વાઇરલ થયા છે. જોકે દિવ્ય ભાસ્કર આ CCTVની પુષ્ટિ કરતું નથી. જોકે એક તરફ મૃતક યુવકના પિતા રતનલાલ જાટ દીકરાને મારી નાખ્યાનો આક્ષેપ કરી રહ્યા છે તો બીજી તરફ ફોરેન્સિક PMના પ્રાથમિક રિપોર્ટમાં મૃતક યુવકની બોડી પર 42 ઈજા અને અકસ્માતથી મોતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મૃતક યુવક રાજકુમાર જ્યારે 3 માર્ચે રાત્રિના 2 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળે ત્યારના CCTVમાં તે અલગ કપડાંમાં જોવા મળે છે. અને હાલમાં જે CCTV વાઇરલ થયા છે કે જેમાં રાજકુમાર હોવાની ચર્ચા છે તે CCTV 3 માર્ચ સવારના 8 વાગ્યાની આસપાસના એટલે કે ઘરેથી નીકળ્યા ને 6 કલાક બાદ તે નગ્ન હાલતમાં જતો જોવા મળે છે. અને જ્યારે તે સાંજે રામધામ આશ્રમ ખાતે પહોંચે છે ત્યારે તે અલગ કપડાંમાં જોવા મળે છે. આ વાઇરલ CCTV મામલે ભાસ્કરે મૃતક યુવકના પિતા રતનલાલ જાટ સાથે વાતચીત કરી હતી. તેમાં તેમણે જણાવ્યું કે પોલીસે જાહેર કરેલા CCTV અધૂરા છે, એડિટ કરેલા છે. મને હવે CCTV ઉપર પણ ભરોસો નથી. મારા દીકરાને મારી નાખવામાં આવ્યો છે એની બોડી પર ઈજાનાં નિશાન પણ હતાં. મારે ન્યાય જોઈએ છે હું ન્યાય માટે સુપ્રીમ કોર્ટ સુધી લડવું પડશે તો લડીશ. જો કે આ મામલે પોલીસ સૂત્રો સાથે વાત કરતા જણાવ્યું હતું કે વાહન સાથે અકસ્માત સર્જાયો હોવાથી ઈજાનાં નિશાન થઈ શકે છે. કયા વાહનની અડફેટે અકસ્માત થયો તે અંગે હાલ કુવાડવા પોલીસ તપાસ કરી રહી છે. હજુ સુધી વાહન બાબતે કોઈ તથ્ય સામે આવી શક્યું નથી. તો આ મામલે હવે રાજસ્થાનના સૂરજગઢના ધારાસભ્ય શ્રવણ કુમારે રાજસ્થાન CMને પત્ર લખી CBI તપાસની માગ કરી છે. આ પત્રમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના નામનો પણ ઉલ્લેખ કર્યો છે. પોલીસે અધૂરા CCTV જાહેર કર્યા
મૃતક યુવાન રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મને ન્યાય મળ્યો નથી મારે ન્યાય જોઈએ છે. ન્યાય માટે કદાચ ભારતની સર્વોચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટ સુધી લડવું પડે તો પણ મારી તૈયારી છે. પોલીસ દ્વારા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરના જે CCTV જાહેર કરવામાં આવ્યા છે તે અધૂરા છે. અમે ત્યાં અંદર લગભગ 15થી 20 મિનિટ સુધી ઘરમાં રહ્યા હતા. પોલીસે જે જાહેર કર્યા તે અધૂરા CCTV છે એડિટ કરેલા CCTV છે. દીકરાને મારી નાખ્યો, બોડી પર ઈજાનાં નિશાન હતાં
મને હવે CCTV ઉપર પણ ભરોસો નથી આવતો. મારા દીકરાને મારી નાખવામાં આવ્યો છે. મારા દીકરાના શરીર ઉપર ઈજાનાં નિશાન પણ જોવા મળ્યાં છે. નિશાન કેટલાં છે એ ગણ્યાં નથી પરંતુ અનેક ઈજાનાં નિશાન જોવા મળ્યાં હતાં તે શંકા ઉપજાવી રહ્યાં છે. મારે ન્યાય જોઈએ છે હું ન્યાય માટે સુપ્રીમ કોર્ટ સુધી લડવું પડશે તો લડીશ મારી તૈયારી છે. ફોરેન્સિક PMના પ્રાથમિક રિપોર્ટમાં અક્સ્માતથી મોત
ગોંડલના રાજસ્થાની યુવાન રાજકુમાર જાટના મોતને લઈ ACP રાજેશ બારીયાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમને જણાવ્યું હતું કે, રાજકુમારના મોત મામલે ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં શરીર પર 42 ઈજાના નિશાનો જોવા મળ્યા છે. આ ઈજા પ્રાથમિક દ્રષ્ટ્રીએ અકસ્માતને કારણે હોય તેવું લાગી રહ્યું છે. યુવકને કપડાં આપનારની ઓળખ થઈ
શાપરથી અકસ્માત બન્યો તે જગ્યા સુધીના CCTV ફૂટેજ ચેક કરતા ગોંડલ-રાજકોટ હાઇવે પર નિ:વસ્ત્ર હાલતમાં યુવક રસ્તા પરથી પસાર થતો જોવા મળ્યો હતો. આ પછી યુવકને કપડાં આપનારની પણ ઓળખ કરવામાં આવી છે અને તેનું પણ નિવેદન લેવાયું છે. અકસ્માત સર્જનારની શોધખોળ
પોલીસ તપાસમાં અત્યાર સુધીમાં કોઈ શંકાસ્પદ ગતિવિધી જોવા મળી નથી. જો કે પરિવારજનોના ગંભીર આક્ષેપો વચ્ચે પોલીસનું સ્પષ્ટ નિવેદન સામે આવ્યું છે કે હાલમાં પોલીસ અકસ્માત સર્જનારની તપાસ કરી રહી છે. જેમાં રાજકોટથી ચોટીલા સુધીના CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. રાજસ્થાનના ધારાસભ્યએ CMને પત્ર લખી CBI તપાસની માગ કરી
રાજસ્થાનના સૂરજગઢના ધારાસભ્ય શ્રવણ કુમારે રાજસ્થાનના CMને પત્ર લખી CBI તપાસની માગ કરી છે. આ પત્રમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના નામનો પણ ઉલ્લેખ કર્યો છે. વધુમાં તેમણે રાજસ્થાન સરકાર ગુજરાત સરકારને CBI તપાસ કરવા ભલામણ કરે તેવી પણ માગ કરી છે. શું હતો સમગ્ર મામલો?
મૂળ રાજસ્થાનના અને આશરે 30 વર્ષથી ગોંડલમાં ત્રણ ખૂણિયા પાસે શ્રીજી પાંઉભાજી નામની દુકાન ધરાવતા રતનભાઈ ચૌધરી (જાટ)નો પુત્ર રાજકુમાર જાટ 3 માર્ચે ઘરેથી ભેદી રીતે ગુમ થયો હતો. બે દિવસ સુધી રાજકુમાર ઘરે પરત ન આવતા 5 માર્ચના રોજ પિતા રતનકુમારે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને અરજી પણ આપી હતી. આ સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. પિતાએ પોલીસમાં અરજી કરતા શહેરના બસ સ્ટેન્ડ સહિતનાં જાહેર સ્થળો ઉપર આ યુવક ગુમ થયો હોવાનાં પોસ્ટર લાગ્યાં હતાં. મૃતક રાજકુમાર UPSCની તૈયારી કરતો હતો. યુવક ગુમ થયાના 6 દિવસ બાદ એટલે કે, 9 માર્ચના રોજ રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા નજીકના તરઘડિયા ઓવરબ્રિજ ઉપર રાત્રિના સમયે ઈજાગ્રસ્ત હાલતમાં 108 રાજકુમારને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન 3:42 વાગ્યે તેનું મોત નીપજ્યું હતું. યુવકના મોતને પગલે પરિવારે આક્ષેપ કર્યો હતો કે, રાજકુમારનું અકસ્માતે મોત નહિ પણ હત્યા કરવામાં આવી છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના બંગલા પાસે 2 માર્ચના રોજ બાઈક ઊભું રાખતા પિતા-પુત્રને માર માર્યો હોવાનો આરોપ લગાવાયો હતો. ઉપરાંત તેના પુત્રની ગણેશ અને જયરાજસિંહે હત્યા કરાવી હોવાનો આક્ષેપ કરી તપાસની માગ કરી હતી. જાણો આ કેસ વિશે સંપૂર્ણ સમાચાર સિસ્ટમ સાચી કે મૃત પુત્રનો રોતો બાપ:PI-SPનાં નિવેદન અલગ, પિતાએ કહ્યું- ગણેશે બે લાફા માર્યા પછી ઓર્ડર આપ્યો ચાલુ પડી જાવ; પૂર્વ MLAનો રોલ નથીઃ પોલીસ ગોંડલથી રામધામ આશ્રમ પહોંચ્યો ત્યાં સુધીના CCTVની ટાઇમલાઇન CCTV-1 ઘરેથી નીકળ્યો CCTV-2 ભરૂડી ટોલનાકા પહોંચ્યો CCTV-3 રીબડા ચોકડી પહોંચ્યો CCTV-4 શાપર પહોંચ્યો CCTV-5 રાજકોટ-અમદાવાદ હાઈ-વે CCTV-6 આશ્રમમાં પહોંચ્યો CCTV-7 આશ્રમમાંથી બહાર નીકળ્યો અને 500 મીટર દૂર અક્સ્માત થયો