ઇરાકી સેનાએ લશ્કરી કાર્યવાહીમાં ISISના સીરિયા ચીફ અબુ ખદીજાને ઠાર માર્યો. શુક્રવારે ઇરાકી વડાપ્રધાન મોહમ્મદ શિયા અલ-સુદાનીએ આ વાતની પુષ્ટિ કરી હતી. આ સમગ્ર કામગીરીમાં અમેરિકાના નેતૃત્વ હેઠળના ગઠબંધને પણ સહયોગ આપ્યો હતો. પ્રધાનમંત્રી સુદાનીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, ‘અબુ ખદીજા ઇરાક અને વિશ્વનો સૌથી ખતરનાક આતંકવાદીઓમાંનો એક હતો.’ એક સમયે ઇરાક અને સીરિયાના મોટા ભાગો પર કબજો જમાવનાર ISIS હવે ફરીથી સંગઠિત થવાનો પ્રયાસ કરી રહ્યું છે. 2014માં, અબુ બકર અલ-બગદાદીએ ઇરાક અને સીરિયાના મોટા ભાગમાં ખિલાફતની ઘોષણા કરી હતી, પરંતુ 2019માં યુએસ લશ્કરી કાર્યવાહીમાં તે માર્યો ગયો. આ પછી સંગઠનનો પતન શરૂ થયો. ISIS હુમલાઓની સંખ્યા બમણી કરવાની યોજના યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) અનુસાર, ISISએ 2024ના પહેલા ભાગમાં ઇરાક અને સીરિયામાં 153 હુમલા કર્યા હતા. આ આંકડો ગયા વર્ષ કરતા બમણો હોઈ શકે છે, જે સ્પષ્ટ કરે છે કે આતંકવાદી સંગઠન ફરીથી મજબૂત બનવાનો પ્રયાસ કરી રહ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો જોકે, બગદાદીના મૃત્યુ પછી ISISનું નેતૃત્વ અસ્થિર રહ્યું છે, કારણ કે તેના અનુગામીઓ લાંબા સમય સુધી ટકી શક્યા નથી. આમ છતાં, આ સંગઠન મધ્ય પૂર્વ, પશ્ચિમ અને એશિયામાં તેની શાખાઓ અને જોડાણો દ્વારા એક મોટો ખતરો રહે છે. ઇરાકી સેનાની કાર્યવાહી ચાલુ રહેશે ઇરાકી સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં બાકી રહેલા ISIS આતંકવાદીઓ સામે ઝુંબેશ ચાલુ રહેશે અને રાષ્ટ્રીય સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવશે.