સુરત શહેરના ડાયમંડ ઉદ્યોગમાં જે પ્રકારે છેલ્લા બે વર્ષથી મંદીની સ્થિતિ જોવા મળી રહી છે, તેને લઈને હવે સરકારી તંત્ર પણ એક્શનમાં આવી રહ્યું છે. વૈશ્વિક મંદીના કારણે ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા રત્નકલાકારોની આર્થિક સ્થિતિ નબળી થઈ છે. છેલ્લા દોઢ બે વર્ષમાં રત્નકલાકારો દ્વારા જે આપઘાત કરવાના કિસ્સાઓ સામે આવ્યા છે, તેને લઈને હવે વહીવટી તંત્ર પણ આખી સ્થિતિને સમજવાનો પ્રયાસ કરી રહી છે. લેબર કમિશનર હીરા ઉદ્યોગને લઈને બેઠક કરશે
સુરત શહેરની અંદર ખૂબ મોટા પ્રમાણમાં હીરા ઉદ્યોગ ફેલાયેલો છે. ત્યારે ફેક્ટરીમાં કામ કરતા રત્નકલાકારોની સ્થિતિ અંગે લેબર કમિશનર અત્યાર સુધી ગંભીરતાથી કોઈ કામ કર્યું હોય તેવું જણાતું નથી. પરંતુ આખરે રાજ્ય સરકાર દ્વારા રત્નકલાકારોની સ્થિતિને ગંભીરતાથી લેતા જિલ્લા કલેકટર દ્વારા એક બેઠકનું આયોજન તાજેતરમાં કરવામાં આવ્યું હતું. હવે શ્રમ આયુક્તની કચેરી ખાતે 19 તારીખે 5:00 વાગે શ્રમ આયુક્તની કચેરીએ બેઠક રાખવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. જેમાં ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો, ડાયમંડ વર્કર યુનિયનના હોદ્દેદારો તેમજ અન્ય અગ્રણીઓ સાથે બેઠક કરીને અત્યારની સ્થિતિ અંગે માહિતી મેળવશે. રત્નકલાકારોને આર્થિક મદદ આપવાની તૈયારી
સુરતના અને રાજ્યભરના રત્નકલાકારો તેમજ અનેક એસોસિએશન હોદ્દેદારો દ્વારા મુખ્યમંત્રીને ડાયમંડ ઉદ્યોગની સ્થિતિ અંગે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી દ્વારા જિલ્લા કલેકટરને સૂચન કરવામાં આવ્યું કે જે તે શહેરમાં હીરા ઉદ્યોગ ની સ્થિતિ કેવી છે તે અંગે માહિતી એકત્રિત કરવામાં આવે. જેના ભાગરૂપે સુરત કલેકટર દ્વારા ડાયમંડ ઉદ્યોગ રિલેટેડ બેઠકમાં આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે લેબર કમિશનર દ્વારા હીરા ઉદ્યોગની રત્નકલાકારોની સ્થિતિ અંગે બેઠક બોલાવી છે. 19 માર્ચે મળનારી બેઠકમાં અગત્યના મુદ્દા ઉપર ચર્ચા
રાજ્ય સરકાર દ્વારા જે સમિતિની રચના કરવામાં આવી છે, તેમાં લેબર કમિશનર દ્વારા પણ એક રિપોર્ટ તૈયાર કરવામાં આવી શકે છે. જેમાં પ્રયત્ન કલાકારોની અત્યારની સ્થિતિ અંગેની વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવી શકે છે. 19મી તારીખે મળનારી બેઠકમાં ઘણા અગત્યના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવશે. જે રીતે રાજ્ય સરકાર હીરા ઉદ્યોગને લઈને સક્રિય થઈ છે તે જોતા એવી અપેક્ષા રત્ન કલાકારોને છે કે ટૂંક સમયમાં જ હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્નકલાકારો માટે કોઈ સારી યોજના જાહેર થશે.