મહારાષ્ટ્રના નાગપુરના મહલ વિસ્તારમાં સોમવારે સાંજે ઔરંગઝેબ કબરના વિવાદને લઈને બે જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી. વિશ્વ હિન્દુ પરિષદે ઔરંગઝેબના પુતળાનું દહન કર્યું હતું, ત્યાર બાદ હિંસા ફાટી નીકળી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, અફવાઓ ફેલાઈ હતી કે વિરોધીઓએ પૂતળાની સાથે ધાર્મિક પુસ્તક પણ બાળ્યું હતું. જેના કારણે બંને પક્ષો વચ્ચે પથ્થરમારો થયો. ઘણા વાહનોમાં તોડફોડ અને આગ ચાંપી દેવામાં આવી હતી. હોબાળો મચાવનારા લોકોને રોકવા માટે પોલીસે ટીયર ગેસના શેલ પણ છોડ્યા છે. આ ઘટનામાં ડીસીપી અને એક પોલીસકર્મી સહિત ચાર લોકો ઘાયલ થયા હતા. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લોકોને વહીવટીતંત્રને સંપૂર્ણ સહયોગ આપવા અપીલ કરી છે. તેમણે કહ્યું- અમે સતત પોલીસ પ્રશાસનના સંપર્કમાં છીએ. નાગપુર એક શાંતિપ્રિય શહેર છે. કોઈપણ અફવાઓ પર વિશ્વાસ ન કરો. નાગપુરના ડીસીપી અર્ચિત ચાંડકે કહ્યું- આ ઘટના ગેરસમજને કારણે બની. પરિસ્થિતિ નિયંત્રણમાં છે. બધાને બહાર ન નીકળવાની અપીલ છે. પથ્થરમારો ના કરો. કેટલાક પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. મારા પગમાં પણ નાની ઈજા થઈ છે. હિંસા સંબંધિત તસવીરો… પોલીસે કહ્યું- હજારો લોકોનું ટોળું આવ્યું, ઘરો પર પથ્થરમારો કરવામાં આવ્યો
આ ઘટના ચિટનીસ પાર્ક અને મહેલ વિસ્તારમાં બની. પ્રાથમિક માહિતી અનુસાર, ચિટનીસ પાર્કથી શુક્રાવરી તલાઓ રોડ બેલ્ટ હિંસાથી સૌથી વધુ પ્રભાવિત થયો હતો, જ્યાં તોફાનીઓએ કેટલાક ફોર-વ્હીલર વાહનોને આગ ચાંપી દીધી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. રહેવાસીઓના ઘરો પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસ હજારો લોકોની ભીડને છૂટી પાડવાનો પ્રયાસ કરી રહી છે. VHP બજરંગ દળે ઔરંગઝેબની કબર હટાવવાની માગ કરી હતી મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર (પહેલાં ઔરંગાબાદ)માં આવેલી ઔરંગઝેબની કબરને દૂર કરવાનો મુદ્દો જોર પકડી રહ્યો છે. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ મહારાષ્ટ્ર સરકારને એને દૂર કરવાની માગ કરી છે. વિવાદ વચ્ચે કબર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના મહારાષ્ટ્ર અને ગોવાના પ્રાદેશિક મંત્રી ગોવિંદ શેંડેએ ઔરંગઝેબની કબરને ગુલામીનું પ્રતીક ગણાવ્યું. તેમણે સોમવારે કહ્યું- ઔરંગઝેબે છત્રપતિ સંભાજી મહારાજને મારતાં પહેલાં 40 દિવસ સુધી ત્રાસ આપ્યો. આવા ક્રૂર શાસકની છાપ શા માટે રહે. બીજી તરફ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ક્રૂર ઔરંગઝેબના બર્બર વિચારોને મહિમા આપનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. એ વિચાર ત્યાં જ કચડી નાખવામાં આવશે. મહારાષ્ટ્રભરમાં હિન્દુ સંગઠનો વિરોધ કરી રહ્યાં છે
સોમવારે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ઔરંગઝેબની કબરને દૂર કરવાની માગણી સાથે સમગ્ર મહારાષ્ટ્રમાં વિરોધપ્રદર્શન કરી રહ્યાં છે. આ સમય દરમિયાન મુઘલ આક્રમણકારોનાં પૂતળાંનું પણ દહન કરવામાં આવી રહ્યું છે. ટી રાજાએ પણ કબર હટાવવાની માગ કરી
તેલંગાણાના ગોશામહલના ભાજપ ધારાસભ્ય અને હિન્દુ નેતા ટી રાજા સિંહે પણ કબરને દૂર કરવાની માગ કરી છે. તેમણે કહ્યું- હું VHP અને બજરંગ દળની માગણીઓનું સમર્થન કરું છું. આ પહેલાં ટી રાજા સિંહે 15 માર્ચે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતને પત્ર લખ્યો હતો. તેમણે છત્રપતિ સંભાજીનગર ખાતેની મુઘલ સમ્રાટ ઔરંગઝેબના મકબરાના જાળવણી માટે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા ફાળવવામાં આવેલા અને ખર્ચવામાં આવેલા ભંડોળની વિગતો માગી છે. તેમણે કહ્યું હતું કે હિન્દુ રાજાઓને મારનારા, મંદિરોનો નાશ કરનારા અને આપણી સંસ્કૃતિ પર દમન કરનારા ઔરંગઝેબની કબર પર સરકારી ખર્ચનું શું વાજબીપણું છે? આપણા પૂર્વજોને આટલી બધી તકલીફો આપનારા સરમુખત્યારની કબરની જાળવણી માટે લોકોના રૂપિયાનો એકપણ પૈસો ખર્ચવો જોઈએ નહીં. આ તાત્કાલિક બંધ થવું જોઈએ. રાઉતે કહ્યું- આ મરાઠાઓની બહાદુરીનું સ્મારક
શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે ગંભીર વિવાદ પર ભાજપના નેતાઓ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું- ઔરંગઝેબની કબર મરાઠાઓની બહાદુરીનું સ્મારક છે. આ આવનારી પેઢીઓને કહેશે કે શિવાજી મહારાજ અને મરાઠા સૈનિકોએ આક્રમણકારો સામે કેવી રીતે લડ્યા. બજરંગ દળના નેતાએ કહ્યું- બાબરી મસ્જિદ જેવા જ હાલ થશે
શનિવારે બજરંગ દળના નેતા નીતિન મહાજને સંભાજીનગરમાં ઔરંગઝેબની કબરને હટાવવાની માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે જો સરકાર આમ કરવામાં નિષ્ફળ જાય તો ઔરંગઝેબની કબરની હાલત પણ બાબરી મસ્જિદ જેવી જ થશે. મહાજને કહ્યું – ઔરંગઝેબની કબર પર નમાજ અદા થઈ રહી છે. સંભાજીના હત્યારાની કબર છે. જ્યારે આવી કબરોની ઇબાદત કરવામાં આવે છે ત્યારે સમાજનો પણ એ જ રીતે વિકાસ થાય છે. એ સમયે આપણે લાચાર હતા, પરંતુ હવે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ માગ કરી રહ્યાં છે કે કબરને હટાવવામાં આવે. અમે જાણીએ છીએ કે જ્યારે હિન્દુ સમુદાય પોતાના અસ્તિત્વ માટે વિરોધ કરે છે ત્યારે શું થાય છે. આપણે બધાએ જોયું કે અયોધ્યામાં બાબરી ઢાંચાને હટાવવા માટે શું થયું. જો સરકાર કબર નહીં હટાવે તો અમે એને હટાવીશું. પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી
ઔરંગઝેબની કબરના વિસ્તારમાં પોલીસે સઘન સુરક્ષા વ્યવસ્થા કરી છે. વિવિધ સ્થળોએ બેરિકેડ્સ લગાવવામાં આવ્યાં છે. એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે ત્યાં ફક્ત એક જ વ્યક્તિ પ્રવેશ કરી શકે. પોલીસે ઔરંગઝેબની કબરનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો છે. ઔરંગઝેબની કબર પાસે જવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોંગ્રેસે કહ્યું- કબર હટાવીને શું મળશે?
મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ધારાસભ્ય વિજય વાડેટ્ટીવારે કહ્યું – બજરંગ દળ અને વીએચપી પાસે કરવા માટે કંઈ બાકી રહ્યું નથી. તેઓ નથી ઇચ્છતા કે મહારાષ્ટ્રના લોકો શાંતિથી રહે. તેઓ રાજ્યના વિકાસની ગતિ ધીમી કરવા માગે છે. હું તેમને કહેવા માગું છું કે ઔરંગઝેબ અહીં 27 વર્ષ રહ્યો, હવે તેની કબર હટાવીને તેમને શું મળશે? 1707માં ઔરંગઝેબની કબર બની હતી
મુઘલ સમ્રાટ ઔરંગઝેબની કબર મહારાષ્ટ્રના ખુલદાબાદમાં છે. ઇતિહાસકારોના મતે, 1707માં જ્યારે ઔરંગઝેબનું નિધન થયું ત્યારે તેની ઇચ્છા મુજબ તેને ખુલદાબાદમાં તેના આધ્યાત્મિક ગુરુ શેખ ઝૈનુદ્દીનની દરગાહ પાસે દફનાવવામાં આવ્યો. આ સ્થળ સંભાજીનગરથી લગભગ 25 કિમી દૂર આવેલું છે. ઔરંગઝેબની કબર એક સાદો માટીનો મકબરો હતો, જેને પાછળથી બ્રિટિશ અધિકારી લોર્ડ કર્ઝન દ્વારા આરસપહાણથી સજાવાયો હતો. આ સ્થળ ઐતિહાસિક અને ધાર્મિક રીતે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, જ્યાં આજે પણ લોકો શ્રદ્ધાંજલિ આપવા આવે છે.