પાકિસ્તાનના બલુચિસ્તાનમાં રવિવારે મોડી સાંજે ગ્વાદર કોસ્ટ ગાર્ડ પર હુમલો થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અહીં સુરક્ષા દળો અને હુમલો કરનારા લડવૈયાઓએ એકબીજા પર ગોળીબાર કર્યો. કેટલાક લડવૈયાઓ હથિયારો સાથે કોસ્ટ ગાર્ડમાં ઘૂસી ગયા અને ત્યાંથી હુમલો કર્યો. હજુ સુધી એ જાણી શકાયું નથી કે આ લડવૈયાઓ BLA સાથે સંકળાયેલા છે કે કોઈ અન્ય સંગઠનના સભ્યો છે. રવિવારે સવારે બલૂચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાની સેના પર આત્મઘાતી હુમલો કરવાનો દાવો કર્યો હતો. આમાં 90 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા. ક્વેટાથી તફ્તાન જઈ રહેલા 8 લશ્કરી વાહનો પર નોશકી ખાતે હાઇવે નજીક હુમલો કરવામાં આવ્યો. BLA અનુસાર તેના મજીદ અને ફતેહ બ્રિગેડે સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો કર્યો. સવારે થયેલા આત્મઘાતી હુમલા પછીના બે ફોટા… આત્મઘાતી લડવૈયાએ વિસ્ફોટકો ભરેલા વાહનથી હુમલો કર્યો
અહેવાલો અનુસાર સવારે BLAનો એક આત્મઘાતી બોમ્બર વિસ્ફોટકોથી ભરેલા વાહન સાથે સેનાના કાફલા સાથે અથડાયો હતો. આ પછી, ફતેહ સ્ક્વોડ સેનાના કાફલામાં ઘૂસી ગયું અને હુમલો કર્યો. જે વાહન પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો તે સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. ઘાયલોને નોશકીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિસ્તારમાં કટોકટી લાદવામાં આવી હતી. પાકિસ્તાની પોલીસે કહ્યું – ફક્ત 5 સૈનિકો માર્યા ગયા
બલૂચ આર્મીના દાવાથી વિપરીત, પાકિસ્તાની પોલીસે કહ્યું છે કે રસ્તાની નજીક પડેલો બોમ્બ ફૂટ્યો હતો. ત્યાંથી પસાર થતી સૈનિકોને લઈ જતી એક બસ તેની સાથે અથડાઈ. આ હુમલામાં પાંચ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને 10 ઘાયલ થયા. મૃતકો અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. છ દિવસ પહેલાં BLAએ ટ્રેનને હાઇજેક કરી હતી આ પહેલાં 11 માર્ચે, BLAએ ક્વેટાથી પેશાવર જતી જાફર પેસેન્જર ટ્રેનને હાઇજેક કરી હતી. મંગળવારે સવારે 9 વાગ્યે જાફર એક્સપ્રેસ ક્વેટાથી પેશાવર જવા રવાના થઈ હતી. સિબી પહોંચવાનો સમય બપોરે 1:30 વાગ્યાનો હતો. આ પહેલાં બપોરે લગભગ 1 વાગ્યે, બલૂચ લિબરેશન આર્મીએ બલૂચિસ્તાનના બોલાન જિલ્લાના મશ્કાફ વિસ્તારમાં આ હુમલો કર્યો હતો. આ એક પહાડી વિસ્તાર છે, જ્યાં 17 ટનલ છે, એના કારણે ટ્રેન ધીમી ગતિએ ચલાવવી પડે છે. આનો ફાયદો ઉઠાવીને BLAએ ટ્રેન પર હુમલો કર્યો. સૌપ્રથમ બલૂચ આર્મીએ મશ્કાફમાં ટનલ નંબર-8માં રેલવે ટ્રેક ઉડાવી દીધો. આ કારણે જાફર એક્સપ્રેસ પાટા પરથી ઊતરી ગઈ. આ પછી BLAએ ગોળીબાર શરૂ કર્યો. ગોળીબારમાં ટ્રેન ડ્રાઈવર પણ ઘાયલ થયો હતો. આ ટ્રેનમાં સુરક્ષા દળો, પોલીસ અને ISI એજન્ટો મુસાફરી કરી રહ્યા હતા. બધા પંજાબ જઈ રહ્યા હતા. તેમણે BLA હુમલાનો જવાબ આપ્યો, પરંતુ BLAએ ટ્રેન કબજે કરી લીધી. આ દરમિયાન ઘણા સુરક્ષાકર્મચારીઓ માર્યા ગયા. ઘટનાની માહિતી મળતાં પાકિસ્તાની સેનાએ જમીન પરથી BLA પર ગોળીબાર કર્યો અને હવામાંથી બોમ્બ પણ છોડ્યા, પરંતુ BLA લડવૈયાઓએ કોઈક રીતે સેનાના ભૂમિ ઓપરેશનને અટકાવી દીધું. ગયા વર્ષે 25 અને 26 ઑગસ્ટ 2024ની રાત્રે BLAએ આ ટ્રેનના રૂટ પર કોલપુર અને માખ વચ્ચેનો પુલ ઉડાવી દીધો હતો. એના કારણે ટ્રેન સેવા બંધ થઈ ગઈ હતી. 11 ઓક્ટોબર 2024થી ટ્રેન સેવા ફરી શરૂ કરી હતી. બલૂચિસ્તાન લિબરેશન આર્મી શું છે? બલૂચિસ્તાનના ઘણા લોકો માને છે કે ભારત-પાકિસ્તાનના ભાગલા પછી તેઓ એક સ્વતંત્ર દેશ તરીકે રહેવા માગતા હતા, પરંતુ તેમની સંમતિ વિના તેમને પાકિસ્તાનમાં સામેલ કરવામાં આવ્યા. સ્વતંત્ર દેશ બન્યો નહીં અને તેથી બલૂચિસ્તાનમાં સેના અને લોકો વચ્ચેનો સંઘર્ષ આજે પણ ચાલુ છે. BBCના મતે બલૂચિસ્તાનમાં આઝાદીની માગણી કરતાં ઘણાં સંગઠનો છે, પરંતુ બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) સૌથી શક્તિશાળી સંગઠન છે. આ સંગઠન 70ના દાયકામાં અસ્તિત્વમાં આવ્યું હતું, પરંતુ 21મી સદીમાં તેનો પ્રભાવ વધ્યો છે. BLA બલૂચિસ્તાનને પાકિસ્તાની સરકાર અને ચીનથી મુક્ત કરાવવા માગે છે. તેઓ માને છે કે બલૂચિસ્તાનનાં સંસાધનો પર તેમનો અધિકાર છે. પાકિસ્તાન સરકારે 2007માં બલૂચિસ્તાન લિબરેશન આર્મીને આતંકવાદી સંગઠન તરીકે સૂચિબદ્ધ કર્યું હતું.