26 ફેબ્રુઆરી, 2025એ સવારના 7 વાગ્યે લાગેલી આગ 27 ફેબ્રુઆરીના બપોરના 3 વાગ્યે માંડ કાબૂમાં આવી હતી. આમ આ આગ 32 કલાકે કાબૂમાં આવી હતી. ફાયર વિભાગની 40થી વધુ ગાડીઓએ સતત 40 લાખ લિટરથી વધુ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. 25 ફેબ્રુઆરી જ્યારે પહેલીવાર આગ લાગી ત્યારથી લઈ 27 ફેબ્રુઆરીના રોજ આગ કાબૂમાં આવવા સુધી વેપારીઓના કરોડો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો હતો. ત્યારે આ અસરગ્રસ્ત વેપારીઓને રાહત મળે તે માટે તેમને નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી સહાય કરવા શક્તિસિંહ ગોહિલે માગ કરી છે. આ અંગે તેમણે રાજ્યસભામાં નોટિસ આપી આ મુદ્દો ઉઠાવ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અધિકારીઓની ગુનાહિત બેદરકારીના કારણે વેપારીઓને ખૂબ મોટાપાયે નુકસાન થયું છે, સરકાર પડખે ઊભી રહે. વેપારીઓનો તમામ માલ બળીને ખાક
આ અંગે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે કે આજે (18/3/25) ઝીરો અવર્સમાં રાજ્યસભામાં મેં નોટિસ આપી છે કે સુરતમાં ટેક્સટાઈલ માર્કેટ એટલે કે કપડાંની દુકાનો આવેલી હોય એવી માર્કેટ શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં એક ભયંકર આગ લાગવાના કારણે લગભગ સંપૂર્ણપણે બિલ્ડિંગ ભસ્મીભૂત થયું છે. 900 વેપારીઓ એક અંદાજ મુજબ આ ટેક્સટાઈલ માર્કેટમાં દુકાનો ધરાવતા હતા. લગભગ તમામ વેપારીઓનો તમામ માલ બળીને ખાક થઈ ગયો છે. સંપૂર્ણ બરબાદ થઈ ગયું તેવા વેપારીઓની પડખે સરકાર ઊભી રહે
એકતરફ ટેક્સટાઈલ માર્કેટમાં મંદીનો માહોલ હોવાના કારણે વેપારીઓ પાસે ઘણો સ્ટોક ભરાયેલો પડ્યો હતો અને એવા સમયે આગથી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ નાના-નાના વેપારીઓ છે, બધા પાસે વીમો નહીં હોય અથવા પૂરતો વીમો નહીં હોય ત્યારે સરકાર આવા સમયે એ વેપારીઓ કે જેમનું સંપૂર્ણ બરબાદ થઈ ગયું છે તેવા વેપારીઓની પડખે ઊભી રહે. ખરા અર્થમાં પૂરતી કાળજી લીધી હોત તો આટલી મુશ્કેલી ન થઈ હોત
આપણા કાયદાઓમાં, જૂની પરંપરાઓમાં જોગવાઈઓ છે કે, જ્યારે આવી આકસ્મિક નુકસાની ગુજરાતીઓને થતી હોય છે ત્યારે ઉદાર હાથે સરકાર તેમને સહાય આપે છે. સૌથી વધારે દર્દનાક બાબત એ છે કે, શરૂઆતમાં 1-30 વાગ્યાના સમયે આગ લાગી, સાંજ સુધી ફાયરબ્રિગેડની મહેનત થઈ અને આગ કાબૂમાં આવી ગઈ એવું માની લેવામાં આવ્યું. ધુમાડો થોડો નીકળતો હતો, વેપારીઓ સાથે વાત મુજબ ખરા અર્થમાં પૂરતી કાળજી લીધી હોત તો આટલી મુશ્કેલી ન થઈ હોત. અધિકારીઓ આગ હવે કાબૂમાં આવી ગઈ છે એમ કહીને જતા રહ્યા
અધિકારીઓ આગ હવે કાબૂમાં આવી ગઈ છે તેમ કહીને જતા રહ્યા, નિષ્કાળજી રાખી અને પરિણામે જે ધૂંધવાયેલી આગ હતી એ ફરી પ્રબળ જ્વાળાઓમાં ફાટી નીકળી અને પરિણામે એક ગુનાહિત બેદરકારીના કારણે આ ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓને ખૂબ મોટાપાયે નુકસાન થયું છે. આ સુરતના વેપારીઓ સાથે વાર્તાલાપ કરજો અને નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ જે છે તેમાંથી પણ આ વેપારીઓને રાહત મળે તે માટેની વ્યવસ્થા કરવામાં આવે. કરોડોનો ટેક્સ ભરતા હોય ત્યારે સલામતી માટે જ વ્યવસ્થા બરાબર ન થાય એ યોગ્ય નથી
સુરતમાં વારંવાર આવી ઘટનાઓ બને છે. ફાયરબ્રિગેડની તૈયારીઓ અને સાધનો પૂરતાં હોતાં નથી. ભૂતકાળમાં આપણે જોયું હતું કે, તક્ષશિલા વખતે પણ સીડી એટલી નહોતી કે ઉપરના માળ સુધી પહોંચી શકાય. આપણી આર્થિક રાજધાની જેવું સુરત શહેર કે જ્યાં લોકો કરોડો રૂપિયાનો ટેક્સ ભરતા હોય ત્યારે તેમની સલામતી માટે જ વ્યવસ્થા બરાબર ન થાય તે યોગ્ય નથી. ટેક્સટાઈલ ઉદ્યોગ આપણને વિદેશી હૂંડિયામણ કમાવી આપે છે
ટેક્સટાઈલ ઉદ્યોગ આપણને વિદેશી હૂંડિયામણ કમાવી આપે છે અને અનેક લોકોને એમાંથી રોજગારી પ્રાપ્ત થાય છે. સુરતની પરિસ્થિતિ છે એમાં 29 મે, 2014માં પુણા-કુંભારિયા રોડ પર ઓર્ચિડ ટાવરમાં આ જ રીતે ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી અને ત્રણ દિવસ સુધી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને સંપૂર્ણ નુકસાન થયું હતું. ત્યારબાદ જાન્યુઆરી, 2020માં સારોલી રોડ ઉપર પુણા-કુંભારિયા ખાતે રઘુવીર સિલિયમ ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગી હતી અને આખું માર્કેટ બળીને ખાક થઈ ગયું હતું. આપણું આગોતરું આયોજન હોવું જોઈએ
આ પહેલી ઘટના નથી. જ્યાં-જ્યાં ટેક્સટાઈલની કે જ્વલનશીલ કાપડ કે બીજી વસ્તુઓ રહેતી હોય ત્યાં આગોતરું આયોજન આપણે કરવું જોઈએ. એક-બે ઘટના પછી આપણે તેમાંથી બોધપાઠ લેવો જોઈએ. આપણે વિકસિત ભારતની વાત કરીએ છીએ તો વિકાસશીલ દેશોમાં ફાયર કંટ્રોલ કરવા માટે કદાચ ક્યાંક આગ લાગી જાય તો એ આગ વિશાળ સ્વરૂપ ધારણ ન કરે તે માટે આગોતરું આયોજન થતું હોય છે તેવું આગોતરું આયોજન આપણે કેમ ન કરી શકીએ? આપણું આગોતરું આયોજન હોવું જોઈએ. ભવિષ્યમાં આવી ઘટના ન બને એ માટે પૂરતી તકેદારી રાખો
એક અધિકારીએ માહિતી આપી કે, આવા પ્રકારના જે સિન્થેટિક કાપડ હોય કે ઝડપથી સળગી ઊઠતું કાપડ હોય ત્યારે પાણીનો મારો કરતી વખતે એમાં એક કેમિકલ એડ કરવું જોઈએ, જેનાથી ફોમયુક્ત પાણી જાય તો આવા જ્વલનશીલ પદાર્થોની આગને ઝડપથી કાબૂમાં લઈ શકાય. ફોમયુક્ત પાણી છોડવા માટે પર્યાપ્ત માત્રામાં કેમિકલ પણ નહોતું અને એના કારણે ફાયરબ્રિગેડના અધિકારીઓ-કર્મચારીઓ જહેમત લેતા હતા તેમાં પૂરતી વ્યવસ્થા નહોતી. લિફ્ટ-ક્રેન દ્વારા પાણીનો પ્રવાહ ઉપર પહોંચાડવાની જે વ્યવસ્થા હોય તેમાં પણ ક્યાંક ને ક્યાંક પૂરતી વ્યવસ્થા નહોતી. ભવિષ્યમાં આવી કોઈ ઘટના આપણા ગુજરાતમાં ન બને તેના માટે પૂરતી તકેદારી રાખવામાં આવે. આ પણ વાંચો: સુરતની ટેક્સટાઇલ માર્કેટની આગના એ 32 કલાક:’નજર સામે જિંદગીભરની મૂડી ખાક’, 700 દુકાન બળી ગઈ, 850 કરોડનું નુકસાન, બિલ્ડર ભાડા વિના 500 દુકાન દેવા તૈયાર