કોંગ્રેસના દેશભરના 700 જિલ્લા અધ્યક્ષોને દિલ્હીનું તેડું આવ્યું છે. વર્ષો બાદ આ રીતે કોંગ્રેસ એક્શનમાં આવી છે. આગામી વિધાનસભા ચૂંટણીઓને લઈ કોંગ્રેસ હવે સંગઠન મુજબૂત કરવાની તૈયારીમાં લાગી ગઈ છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીએ દેશભરના 700 જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો સાથે 3 દિવસની બેઠકનું આયોજન કર્યું છે. 27, 28 માર્ચ અને 3 એપ્રિલના રોજ દેશભરના જિલ્લા પ્રમુખોને દિલ્હી બોલાવ્યા છે. આ 700 જિલ્લા પ્રમુખો કોગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી તેમજ AICCના સંગઠન મહામંત્રી કે. સી. વેણુગોપાલ સાથે બેઠક કરશે. આ બેઠક નવી દિલ્હીમાં ત્રણ બેચમાં યોજાશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય એક નવું સંગઠનાત્મક માળખું અમલમાં મૂકવાનો છે, જે પાયાના સ્તરે પાર્ટીને મજબૂત બનાવશે. ઉલ્લેખનીય છે કે, 7 અને 8 માર્ચ, 2025ના રોજ અમદાવાદ આવેલા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના અડધા નેતાઓ ભાજપ સાથે મળેલા છે. તેઓને અલગ નહીં કરીએ ત્યાં સુધી ગુજરાત આપણા પર ભરોસો નહીં કરે. આ મિટિંગ બાદ કોંગ્રેસમાં નવાજૂની થઈ શકે છે. આમ અધિવેશન પહેલાં કોંગ્રેસ ભાજપમાં ભળેલાનું ડિમોલિશન કરે તો નવાઈ નહીં. 64 વર્ષ પછી ગુજરાતમાં યોજાશે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન
64 વર્ષ પછી ગુજરાતના અમદાવાદમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તા. 8 અને 9 એપ્રિલ, 2025ના રોજ AICC અધિવેશન યોજશે. આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં દેશભરના AICC પ્રતિનિધિઓ એકત્રિત થશે, જ્યાં બંધારણ તેમજ તેનાં મૂલ્યો પર થતાં સતત હુમલાઓ અને ભાજપની જનવિરોધી નીતિઓ અંગે ચર્ચા થશે અને પક્ષના આગામી કામગીરી અંગે માર્ગદર્શન નિર્ધારિત કરવામાં આવશે. કોંગ્રેસ લગભગ 30 વર્ષથી ગુજરાત પર કબજો કરી શકી નથી અને પાર્ટીએ અનેક પ્રયાસ કર્યા, છતાં દર ચૂંટણીમાં તે સફળ થઈ શકી નથી. તાજેતરમાં જ ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, તેમાં પણ કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે. હવે કોંગ્રેસે મિશન-2027 હેઠળ અત્યારથી જ ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે. કોંગ્રેસ 1995થી ગુજરાતની સત્તાથી દૂર
રાજ્યમાં 1995, 1998, 2002, 2007, 2012 અને 2017, 2022 એમ 7 વિધાનસભા ચૂંટણી યોજાઈ ચૂકી છે અને આ તમામ ચૂંટણીમાં કોંગ્રેસને પછડાટ મળી છે. માત્ર એટલું જ નહીં, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં તો કોંગ્રેસનો તમામ 26 લોકસભા બેઠકો પર પરાજય થયો હતો. જો કે 2024ની લોકસભા ચૂંટણીમાં સમ ખાવા પૂરતી એક સીટ મળી હતી. કોંગ્રેસ માટે ગુજરાત કેમ મહત્ત્વનું?
ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગૃહરાજ્ય હોવાના કારણે અહીંની દરેક ચૂંટણી મહત્ત્વની હોય છે. આવી સ્થિતિમાં કોંગ્રેસને લાગે છે કે, જો આગળ વધવું હોય તો, ભાજપને ગુજરાતમાં હરાવવી પડશે. કોંગ્રેસ એક-બે મહિનામાં આગામી બે વર્ષનો કાર્યક્રમ તૈયાર કરી લેશે. ગુજરાતમાં ભાજપને હરાવવાનો રાહુલનો પડકાર
લોકસભા ચૂંટણી-2024 બાદ રાહુલ ગાંધી જુલાઈ, 2024માં ગુજરાત મુલાકાતે આવ્યા હતા. તેમણે કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે, આપણે જે રીતે ભાજપને અયોધ્યામાં હરાવ્યો તે રીતે ગુજરાતમાં પણ હરાવીશું. કોંગ્રેસના ટોચના નેતાઓની પણ ગુજરાત મુલાકાત વધી ગઈ છે. ગુજરાત કોંગ્રેસના નેતા કહેતા હોય છે કે, રાહુલ ગાંધીએ ગુજરાતમાં ભાજપને હરાવવાનો ગત વર્ષે જ પડકાર ફેંક્યો હતો. તે વખતે તેમણે સંસદમાં કહ્યું હતું કે, તમે લખીને રાખો, આ વખતે અમે તમને ગુજરાતમાં હરાવીશું. વિપક્ષ ઈન્ડિ ગઠબંધન ભાજપને ગુજરાતમાં હરાવશે. આ પણ વાંચો… રાહુલે કહ્યું- ગુજરાત કોંગ્રેસના અડધા નેતા ભાજપ સાથે મળેલા કોંગ્રેસ-અધ્યક્ષ બેઠકની અધ્યક્ષતા કરશે
રાષ્ટ્રીય અધિવેશન 8 એપ્રિલે વિસ્તૃત કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક સાથે શરૂ થશે, જે પછી 9 એપ્રિલેના રોજ AICC પ્રતિનિધિઓની બેઠક યોજાશે. આ બંને બેઠકમાં માનનીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અધ્યક્ષતા કરશે તેમજ કોંગ્રેસ સંસદીય પક્ષની અધ્યક્ષ સોનિયા ગાંધીજી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ, રાષ્ટ્રીય પદાધિકારીઓ, વરિષ્ઠ નેતાઓ અને અન્ય AICC પ્રતિનિધિઓ હાજર રહેશે. આ AICC અધિવેશન બેલગાવીમાં યોજાયેલી વિસ્તૃત CWC બેઠક (નવા સત્યાગ્રહ બેઠક)માં અપાયેલ ઠરાવની ચાલુ પ્રક્રિયા તરીકે યોજાઈ રહ્યું છે, જે 1924માં મહાત્મા ગાંધી દ્વારા અધ્યક્ષપદ સંભાળવામાં આવેલા કોંગ્રેસ અધિવેશનની 100મી વર્ષગાંઠની યાદમાં યોજાઈ હતી.