મુંબઈ હુમલા (26/11)ના દોષિત તહવ્વુર રાણાએ પ્રત્યાર્પણ વિરુદ્ધ યુએસ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. રાણાની અરજી પર સુનાવણીની તારીખ 4 એપ્રિલ, 2025 નક્કી કરવામાં આવી છે. તેણે ફરીથી પ્રત્યાર્પણ પર રોક લગાવવા અપીલ કરી છે. અગાઉ, જસ્ટિસ એલેના કેગને તેની સમીક્ષા અરજી ફગાવી દીધી હતી. રાણાએ દાવો કર્યો હતો કે જો ભારતને પ્રત્યાર્પણ કરવામાં આવે તો તેના જીવને જોખમ છે કારણ કે તે પાકિસ્તાની મૂળનો મુસ્લિમ છે અને મુંબઈ હુમલા સંબંધિત આરોપોને કારણે તેને ત્રાસનો સામનો કરવો પડી શકે છે. ઉપરાંત, તેની બગડતી તબિયતને ટાંકીને તેણે કહ્યું કે તે ટ્રાયલ સુધી જીવીત રહી શકશે નહીં. આ પહેલા ફેબ્રુઆરીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાણાના ભારત પ્રત્યાર્પણની જાહેરાત કરી હતી. રાણા પાકિસ્તાની-અમેરિકન આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીનો સહયોગી રહ્યો છે. 4 એપ્રિલે સુનાવણી થઈ શકે છે અમેરિકાના ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સ 4 એપ્રિલે તહવ્વુર રાણાની અપીલ પર સુનાવણી કરે તેવી શક્યતા છે. આ માહિતી યુએસ સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર આપવામાં આવી છે. તહવ્વુર રાણાએ પોતાની અપીલમાં ભારત પ્રત્યાર્પણ રોકવાની અપીલ કરી છે. ખરેખરમાં, તહવ્વુર રાણાને ભારત પ્રત્યાર્પણનો ડર છે. જ્યારે તેણે જસ્ટિસ એલેનાને અપીલ કરી હતી તેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતમાં તેના પર ત્રાસ ગુજારવામાં આવી શકે છે અને તેના કારણે તે વધુ સમય જીવીત રહી શકશે નહીં. 26 નવેમ્બર 2008એ મુંબઈ પર હુમલો થયો હતો, 166 લોકોનાં મોત થયાં હતાં રાણા-હેડલીએ મુંબઈ હુમલાની બ્લૂપ્રિન્ટ તૈયાર કરી હતી મુંબઈ પોલીસની ચાર્જશીટ મુજબ રાણા ભારત આવ્યા બાદ હુમલાની જગ્યા અને રહેવાની જગ્યાઓ જણાવવામાં આતંકવાદીઓને મદદ કરી રહ્યો હતો. રાણાએ જ બ્લૂપ્રિન્ટ તૈયાર કરી હતી, જેના આધારે આ હુમલો કરવામાં આવ્યો હતો. રાણા અને હેડલીએ આતંકવાદી ષડ્યંત્ર રચ્યું હતું. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈ હુમલાના ષડયંત્રની યોજનામાં રાણાની મોટી ભૂમિકા હતી.