‘જર, જમીન ને જોરુ એ ત્રણે કજિયાનાં છોરું’ આ કહેવત અવારનવાર આપણા કાને પડતી હોય છે. ત્યારે જે મુજબ મિલકત મુદ્દે પાલીતાણાની સર્વોદય સોસાયટી નજીક એક ચકચારી હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. અહીં TRB જવાન તરીકે ફરજ બજાવતા મયુરસિંહ ગોહિલે પોતાના નાના ભાઈ ભગીરથસિંહની હત્યા કરી નાખી છે. શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી
પાલીતાણા શહેરના સર્વોદય સોસાયટીના નાકા પાસે મંગળવારે એક શંકાસ્પદ ઘટનામાં 30 વર્ષીય ભગીરથસિંહ બટુકસિંહ ગોહિલનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. પોલીસ તપાસમાં ખુલ્યું કે ભગીરથસિંહનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી અને આ હત્યામાં તેમના સગા ભાઈ મયુરસિંહ બટુકસિંહ ગોહિલનો હાથ હોવાનું સામે આવ્યું છે. ગળું દબાવીને ભાઈની હત્યા
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ભગીરથસિંહનું મોત ગળું દબાવવાના કારણે થયું હોવાનું સ્પષ્ટ થયું. પોલીસ તપાસ દરમિયાન મયુરસિંહ, જે પાલીતાણામાં TRB (ટ્રાફિક રિઝર્વ બટાલિયન) જવાન તરીકે ફરજ બજાવે છે, તેની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન મયુરસિંહે ગુનો કબુલ્યો અને જણાવ્યું કે ભાઈ સાથેના ઝઘડાના કારણે તેણે આ કૃત્ય કર્યું હતું. મિલકતના વિવાદે લીધું ભયાનક સ્વરૂપ
પાલીતાણા ડીવાયએસપી મિહિર બારીયાએ જણાવ્યું કે, ભગીરથસિંહ અને મયુરસિંહ વચ્ચે તેમના પિતાના મરણ બાદ મિલકતના વિવાદને લઈને મનદુખ હતું. 18મી માર્ચના રોજ મયુરસિંહ TRBની ફરજ પર જવા માટે નીકળતા પહેલા ભાઈને ઠપકો આપવા તેમના ઘરે ગયા હતા. ત્યાં બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો, જે દરમિયાન મયુરસિંહે ભગીરથસિંહના માથાના ભાગે ઈજા પહોંચાડી અને છાતી પર બેસી ગળું દબાવીને તેની હત્યા કરી. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ
પાલીતાણા ટાઉન પોલીસે મયુરસિંહ બટુકસિંહ ગોહિલ સામે ગુનો નોંધી તેને હસ્તગત કર્યો છે. હાલ આ મામલે આગળની તપાસ ચાલી રહી છે. પરિવારના વિવાદે ભયાનક અંત
આ ઘટના પરિવારના આંતરિક વિવાદો કેવી રીતે ભયાનક સ્વરૂપ લઈ શકે છે તે દર્શાવે છે. મિલકતના વિવાદે બે ભાઈઓ વચ્ચેના સંબંધોને તોડી નાખ્યા અને એક ભાઈએ બીજા ભાઈની હત્યા કરી હતી. આ ઘટના પાલીતાણા શહેરમાં ભારે ચકચાર પેદા કરી છે અને લોકોમાં આઘાત અને શોકનું મોજું ફેલાયું છે. આ સાથે જ આ ઘટના પરિવારના વિવાદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની મહત્વતાને પણ રેખાંકિત કરે છે.