6 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને લખનઉ સુપરજાયન્ટ્સ (LSG) વચ્ચે યોજાનારી IPL મેચ હવે કોલકાતાના ઈડન ગાર્ડન્સને બદલે ગુવાહાટીના બારસાપારા ખાતે રમાશે. પશ્ચિમ બંગાળ પોલીસે કહ્યું- રામ નવમી 6 એપ્રિલે છે. રામ નવમી પર, વિવિધ મંદિરો કાર્યક્રમો અને શોભાયાત્રાઓનું આયોજન કરે છે. આવી સ્થિતિમાં, અમે મેચ માટે સુરક્ષા પૂરી પાડી શકીશું નહીં. બંગાળ ક્રિકેટ એસોસિયેશન (CAB)એ આ માહિતી આપી છે. જોકે, BCCIએ સ્થળ પરિવર્તન અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. ગયા વર્ષે પણ રામ નવમીને કારણે મેચ ઇડન ગાર્ડન્સથી ખસેડવામાં આવી હતી. 65,000 દર્શકોને સંભાળવા મુશ્કેલ છે: CAB પ્રમુખ
ક્રિકેટ એસોસિયેશન ઓફ બંગાળ (CAB)ના પ્રમુખ સ્નેહાશિષ ગાંગુલીએ જણાવ્યું હતું કે, અમે પોલીસ સાથે બે બેઠકો યોજી હતી પરંતુ મેચ માટે લીલી ઝંડી મળી શકી ન હતી. સુરક્ષાના અભાવે મેચમાં 65,000 દર્શકોની ભીડને સંભાળવી મુશ્કેલ બનશે. તેથી મેચ હવે ગુવાહાટી ખસેડવામાં આવશે. ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું હતું કે રામ નવમી પર પશ્ચિમ બંગાળમાં 20 હજારથી વધુ શોભાયાત્રા કાઢવામાં આવશે. તેથી, સમગ્ર રાજ્યમાં કડક સુરક્ષા વ્યવસ્થા જાળવવાની જરૂર રહેશે. ગયા સિઝનમાં પણ KKRની મેચની તારીખને લંબાવવામાં આવી હતી
રામ નવમીના કારણે સતત બીજી સીઝનમાં KKRના ઘરેલુ મેચમાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. ગયા વર્ષે, રાજસ્થાન રોયલ્સ સામે ટીમનો મેચ 17 એપ્રિલ, રામ નવમીના દિવસે યોજાવાનો હતો. ત્યારે પણ પોલીસે સુરક્ષા પૂરી પાડવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે મેચની તારીખ મુલતવી રાખવામાં આવી હતી. ગુવાહાટી રાજસ્થાન રોયલ્સનું બીજું હોમ ગ્રાઉન્ડ
આ સીઝનની IPLની 2 મેચ ગુવાહાટીમાં પહેલાથી જ સુનિશ્ચિત થયેલ છે. અહીંનું બારસાપારા સ્ટેડિયમ રાજસ્થાન રોયલ્સ ટીમનું બીજું હોમ ગ્રાઉન્ડ છે. ટીમ અહીં 26 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ અને 30 માર્ચે ચેન્નઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. આ મેચના માત્ર 6 દિવસ પછી, ગુવાહાટીમાં કોલકાતા અને લખનઉ વચ્ચે ફરીથી નિર્ધારિત મેચ રમાશે. રહાણેની કેપ્ટનશીપમાં રમશે KKR
આ સિઝનમાં KKR તેના નવા કેપ્ટન અજિંક્ય રહાણે સાથે મેદાનમાં ઉતરશે. ગયા વર્ષે ટીમે શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં ટાઇટલ જીત્યું હતું. આ વર્ષે તેને મેગા ઓક્શનમાં પંજાબ કિંગ્સે ખરીદ્યો હતો. આ સીઝનની ઓપનિંગ મેચ KKR અને RCB વચ્ચે ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે. સિંગર શ્રેયા ઘોષાલ અને અભિનેત્રી દિશા પટણી ઓપનિંગ સેરેમનીમાં હાજરી આપશે. 18મી સીઝનમાં કોલકાતાને 9 મેચના યજમાની અધિકાર મળ્યા. KKRના 7 ઘરેલું મેચો ઉપરાંત, 2 પ્લેઓફ મેચ પણ અહીં યોજાવાની હતી. હવે અહીં ફક્ત 8 મેચ રમાશે. આમાં KKRના 6 ઘરઆંગણે રમાયેલા મેચ અને 2 પ્લેઓફ મેચનો સમાવેશ થાય છે. IPLની ફાઈનલ પણ 25 મેના રોજ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાશે.