હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક બાદ રાજ્યના તાપમાનમાં પારો ફરી ઉપર જવાનો છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થતા લોકોને કાળઝાળ ગરમી સહન કરવી પડશે. આગામી પાંચ દિવસ આ વધારો યથાવત્ રહેશે. જોકે, રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં 24 કલાક બાદ ગરમ ભેજયુક્ત પવનોને કારણે બફારો અનુભવવો પડશે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસોથી ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળી હતી. 24 કલાક બાદ તાપમાનમાં વધારો નોંધાશે
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાત ઉપર ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે, જે આગામી 24 કલાક યથાવત્ રહેશે. આગામી 24 માર્ચના રોજ ઉત્તર ભારતના વિસ્તારોમાં એક વેસ્ટન ડિસ્ટર્બન્સ ટકરાશે, જેથી ગુજરાતના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારાની શક્યતાઓ છે. અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન 37 ડિગ્રી આસપાસ રહેશે
ઉલ્લેખનીય છે કે, ગતરોજ અમદાવાદ શહેરના મહત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. પરંતુ 24 કલાક બાદથી 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. જો કે, આજે જ અમદાવાદ અને ગાંધીનગરનું વાતાવરણ શુષ્ક રહેવાની સાથે મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.