રાજકોટમાં વધુ એક નમકીન બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે. નાકરાવાડી નજીક વેફર-નમકીન બનાવતી KBZ કંપનીમાં સવારે 9 વાગ્યે આગ લાગતા દોડધામ મચી છે. ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા શરૂઆતમાં એક અને બાદમાં આગ વિકરાળ હોવાથી વધુ ચાર ગાડી સ્થળે બોલાવામાં આવી છે. હાલમાં 50થી વધુ ફાયર ફાઈટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રાયસ ચાલી રહ્યો છે. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પણ આગને કારણે મોટું નુકસાન થવા પામ્યું છે. આગ એટલી વિકરાળ છે કે, તેના ધુમાડાના ગોટેગોટા પાંચ કિલોમીટર સુધી દેખાઇ રહ્યા છે. પાંચ જેટલી ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે, બે ઓન વેઃ ફાયર અધિકારી
આ મામલે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અશોકસિંહ ઝાલાએ જણાવ્યુ હતું કે, પીપણિયાની બાજુમાં KBZ ફૂડ લિમિટેડ નામની કંપનીમાં સવારે 9:25 મિનિટે અમને આગ લાગવાનો કોલ મળ્યો હતો. જેને પગલે તરત જ એક ટીમ રવાના કરવામાં આવી હતી. આગ મોટી હોવાની જાણ થતાં થોડીવાર બાદ અન્ય ચાર મળીને કુલ ચાર-પાંચ ટીમો બોલાવવામાં આવી છે અને આગ પર કાબૂ મેળવવા કવાયત હાથ ધરવામાં આવી છે. વાંકાનેર મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા છે. હાલ ફાયરની ત્રણ ટીમો દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. થોડીવારમાં બીજી બે ટીમો પહોંચી જશે. જેના કારણે આગ પર ઝડપથી કાબૂ મળી જવાની શક્યતા છે. જોકે આગ લાગવાનું કારણ હજુ પણ જાણવા મળ્યું નહીં હોવાનું તેમણે જણાવ્યું હતું. અંદર કોઈ ફસાયેલું નથીઃ આર. એ. જોબન
રાજકોટ મનપાનાં ફાયર ઓફિસર આર. એ. જોબને જણાવ્યું હતું કે, હાલ 50 જેટલા ફાયરના જવાનોની ટીમો આગ પર કાબુ મેળવવા કામ કરી રહી છે. આગ ઓઇલ ટેન્કમાં ફેલાઈ હતી, જેના ઉપર મિકેનિકલ ફોર્મનો મારો ચલાવીને કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નુક્સાનીનો હજુ કોઈ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. પરંતુ આગ લાગી ત્યારે અંદર કોઈ નહીં હોવાની ખાતરી અગાઉ જ કરી લેવામાં આવી છે. જેથી જાનહાનિ થવાની કોઈ શક્યતા નથી. હાલ ચાર ગાડીની મદદથી આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને પાંચમી ગાડી ટૂંક સમયમાં જ આવી રહી છે. પાણી માટે ફેકટરીમાં આવેલા મોટા ટાંકામાંથી પાણી લેવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં આગ કાબુમાં આવી જાય તેવી શક્યતા છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યા છીએ…