ભારતે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે પાકિસ્તાને PoK ખાલી કરવો પડશે. પાકિસ્તાને PoK પર ગેરકાયદે રીતે કબજો કર્યો છે. મંગળવારે ભારતે શાંતિ જાળવણી સુધારાઓ પર સંયુક્ત રાષ્ટ્રની ચર્ચામાં જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો વારંવાર ઉઠાવવા બદલ પાકિસ્તાનની ટીકા કરી હતી. ભારતીય રાજદૂત હરીશે કહ્યું હતું કે વારંવાર ખોટી ટિપ્પણીઓ કરવાથી પાકિસ્તાનના ગેરકાયદે દાવા સાચા નહીં થાય. પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત સરહદ પારના આતંકવાદને પણ વાજબી ઠેરવી શકાય નહીં. અમે પાકિસ્તાનને સલાહ આપીશું કે તે પોતાના એજન્ડાને આગળ વધારવા માટે યુએન જેવા પ્લેટફોર્મનો ઉપયોગ ન કરે. હરીશે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશાં રહેશે. પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીર પર ગેરકાયદે રીતે કબજો કર્યો છે, જેને તેણે ખાલી કરવો પડશે. ભારત વૈશ્વિક મંચો પર તેની સાર્વભૌમત્વ પર પ્રશ્ન ઉઠાવવા દેશે નહીં. ‘PoKનો ગેરકાયદે કબજો ખાલી કરાવવો જ જોઈએ’ રાજદૂત પાર્વથાનેની હરીશે કહ્યું, ‘પાકિસ્તાનના પ્રતિનિધિએ ફરી એકવાર ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર પર અયોગ્ય ટિપ્પણી કરી છે.’ આ રીતે વારંવારના ઉલ્લેખો કરવાથી તેના ગેરકાયદે દાવાઓ કાયદેસર ઠરાવી શકાય નથી અને ન તો તેના રાજ્ય-પ્રાયોજિત સરહદ પારના આતંકવાદને ન્યાયી ઠરાવી શકાય. તેમણે પાકિસ્તાનને સલાહ આપી કે તે તેના “સંકુચિત અને વિભાજનકારી એજન્ડા” ને આગળ વધારવા માટે મંચનું ધ્યાન “વિચલિત” કરવાનો પ્રયાસ ન કરે. તેમણે એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં “ગેરકાયદે રીતે કબજો” કરી રહ્યું છે અને તેણે “આ વિસ્તાર ખાલી કરવો” જોઈએ. ભારત સારા સંબંધો ઇચ્છે છે, પણ… સુરક્ષા પરિષદમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષાના ભવિષ્ય પર ચર્ચા દરમિયાન પાકિસ્તાની વડાપ્રધાનના ખાસ સહાયક સૈયદ તારિક ફાતમી દ્વારા જમ્મુ અને કાશ્મીર પર આપેલા નિવેદન બાદ હરીશનો આ પ્રતિભાવ આવ્યો છે. ભારતે કહ્યું હતું કે તે પાકિસ્તાન સાથે સામાન્ય પાડોશી સંબંધો ઇચ્છે છે, પરંતુ આ વાતને ભારપૂર્વક કહેવામાં આવે છે કે આવા સંબંધો માટે આતંક અને દુશ્મનાવટમુક્ત વાતાવરણ બનાવવાની જવાબદારી ઇસ્લામાબાદની છે. પીએમ મોદીએ પણ પાકિસ્તાનને ઠપકો આપ્યો હતો… હાલમાં જ એક પોડકાસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે પાકિસ્તાન સાથે શાંતિ સ્થાપિત કરવાના દરેક પ્રયાસનો સામનો દુશ્મનાવટ અને વિશ્વાસઘાત સાથે કરવામાં આવ્યો હતો. અમેરિકાસ્થિત પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથેની વાતચીતમાં તેમણે યાદ કર્યું કે તેમણે 2014માં તેમના શપથગ્રહણ સમારોહ માટે તેમના પાકિસ્તાની સમકક્ષ નવાઝ શરીફને ખાસ આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું, ‘એ [આમંત્રણ] સદ્ભાવનાનો સંકેત હતો.’ આ એક એવો રાજદ્વારી સંકેત હતો, જે દાયકાઓમાં ક્યારેય જોવા મળ્યો નથી. તેમણે આતંકવાદને પ્રોત્સાહન આપવામાં પાકિસ્તાનની લાંબા સમયથી ચાલતી ભૂમિકા પર પણ પ્રશ્ન ઉઠાવ્યો અને ભાર મૂક્યો કે વિશ્વને હવે કોઈ શંકા નથી કે આતંકવાદનાં મૂળ ક્યાં છે. આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે