ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકની ભરતી પ્રક્રિયામાં મોટું કૌભાંડ થયું હોવાનો આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે. જેમણે આજે ભાવનગર બહુમાળી ભવન ખાતે જિલ્લા રજિસ્ટ્રારને આવેદનપત્ર પાઠવ્યું હતું. યુવરાજસિંહ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે, બેંકમાં ભરતી પ્રક્રિયા દરમિયાન સગાવાદ (ભાઈ-ભત્રીજા-ભાણીયા) અને લાગતા-વળગતાના આધારે નોકરીઓ આપવામાં આવી છે. યુવરાજસિંહે આ વિષયમાં બેંકના ડિરેક્ટરો અને અમલદારોની સંડોવણીના પુરાવાઓ પણ રજૂ કર્યા છે. ભલામણ અને લાગવગથી નોકરી મેળવનાર ઉમેદવારો (યુવરાજસિંહે આપેલી યાદી) યુવરાજસિંહે કાનૂની કાર્યવાહીની માંગ કરી
યુવરાજસિંહે આરોપ મૂક્યો છે કે, ભરતી પરીક્ષા પદ્ધતિમાં ગંભીર ગેરરીતિઓ અનુસરવામાં આવી છે, જેમાં પારદર્શકતા અને નિષ્પક્ષતાનો અભાવ રહ્યો છે. આ બાબતે યુવરાજસિંહે જિલ્લા રજિસ્ટ્રારને લેખિત પુરાવાઓ સાથે અરજી સબમિટ કરી છે અને યોગ્ય તપાસ તથા કાનૂની કાર્યવાહીની માંગ કરી છે. આ કેસમાં વધુ કાર્યવાહી માટે, યુવરાજસિંહે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક (SP) સમક્ષ પણ આ મામલો રજૂ કરવાની જાણ કરી છે. આ કૌભાંડના આરોપો જો સાબિત થાય, તો ભાવનગર જિલ્લા બેંકની ભરતી પ્રક્રિયા પર ગંભીર પ્રશ્ન ઊભો થઈ શકે છે. ’80 જેટલી નિમણૂકોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો’
બે દિવસ અગાઉ યુવરાજસિંહે ગાંધીનગરથી જણાવ્યું હતું કે, બેંકમાં થયેલી 80 જેટલી નિમણૂકોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે. અગાઉ જે નામો આપ્યા હતા તેઓને જ નિમણૂક આપવામાં આવી હોવાનો યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો હતો. યુવરાજસિંહે આરોપ મૂક્યો હતો કે, આ ભરતીમાં બે ડિરેક્ટરના પુત્રો, એક જનરલ મેનેજરનો ભત્રીજો, એક ડિરેક્ટરનો ભત્રીજો અને વર્તમાન ધારાસભ્યના ભાણિયાને નોકરી આપવામાં આવી છે. વિશેષમાં, સ્ટાફ નર્સની ભરતી પ્રક્રિયામાં પણ ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે. આન્સર-કીમાં એક જ સિક્વન્સના ABCD, ABCD જવાબો હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ‘તમામ સહકારી સંસ્થાઓની ભરતી સેન્ટ્રલાઈઝ્ડ કરવામાં આવે’
બે મહિના પહેલા લેવાયેલી સ્ટાફ નર્સની પરીક્ષામાં પણ અનિયમિતતા જોવા મળી હતી. આરોગ્ય મંત્રીએ તપાસ કમિટી બનાવી હોવાનું જણાવ્યું હતું, પરંતુ અત્યાર સુધી કોઈ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી. યુવરાજસિંહે માગ કરી હતી કે, તમામ સહકારી સંસ્થાઓની ભરતી સેન્ટ્રલાઈઝ્ડ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે નિમણૂક પામેલા લોકોની તપાસ કરવામાં આવે. આ ઉપરાંત યુવરાજસિંહે જણાવ્યું હતું કે, GSRTCમાં પણ ગેરરીતિઓ થઈ રહી હોવાની ફરિયાદો છે, જેની નોંધ વટવા અને ખોખરા પોલીસ સ્ટેશનમાં લેવાતી નથી. મુખ્યમંત્રીએ રોજગાર મેળામાં પારદર્શિતાની વાત કરી હતી, પરંતુ આ ભરતીમાં માત્ર ઓળખાણવાળા અને પરિવારવાદને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે.