રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરના રહેવાસી અને મૂળ રાજસ્થાની યુવાન રાજકુમાર જાટના અકસ્માતે થયેલ મોત બાદ હજુ પણ પરિવારજનોને અનેક સવાલો ઉદભવી રહ્યા છે. કારણ કે રાજકુમારના શરીર પર 42 ઇજાના નિશાન હોવાનું સામે આવ્યું હતું અને આ પછી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવતા આ રિપોર્ટની અંદર પણ અનેક શંકાઓ ઉભી થઇ છે અને ફરી રાજકુમાર જાટના પરિવારજનો અને તેમના વકીલ દ્વારા સવાલો કરવામાં આવી રહ્યા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે. આ કેસમાં સડકથી લઇ સંસદ સુધી અને હાઈકોર્ટથી લઇ સુપ્રીમ કોર્ટ સુધી લડી ન્યાય લેવા તૈયારી દાખવવામાં આવી છે. એટલું જ નહિ પરંતુ તેઓ આ સાથે નામ લીધા વગર આક્ષેપો કરી ગોંડલને મિર્ઝાપુર તમેજ બનાવ્યું છે કહી આક્ષેપો જયરાજસિંહ જાડેજા ઉપર કર્યા છે અને ગોંડલને મીની પાકિસ્તાન બનાવ્યું હોવાનો આરોપ પણ રતનલાલ જાટના વકીલ જયંત મુંડ દ્વારા લગાવવામાં આવ્યો છે. વકીલ જયંત મુંડએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા રાજકુમાર જાટ મોત કેસને લઇ કેટલાક સવાલો ઉભા કર્યા છે. તેમને જણાવ્યું હતું કે, UPSCની તૈયારી કરતા યુવાનના મોત મામલે આજે 23 દિવસ પુરા થવા છતાં હજુ પણ આ મામલે ફરિયાદ નોંધવામાં નથી આવી કે ના તો CBIને આ કેસની તપાસ સોંપવામાં આવી. એટલું જ નહિ હજુ સુધી આ કેસને લઇ ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી કે ડીજીપી કોઈ પ્રતિક્રિયા આપી રહ્યા. સવાલ નંબર (1)
2 માર્ચના રોજ રતનલાલ જાટ અને તેના પુત્ર રાજકુમાર જાટ સાથે મારકૂટ કરવામાં આવી છે. આ મામલે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રતનલાલ જાટ ગયા હતા તો પોલીસે તેમની ફરિયાદ કેમ નોંધી નથી ? સવાલ નંબર (2)
5 માર્ચના રોજ પોલીસ દ્વારા ગુમનોંધ લેવામાં આવી છે પરંતુ 4 માર્ચના રોજ રાજકુમારનો મૃતદેહ સિવિલ હોસ્પિટલના પોસમોર્ટમ રૂમ ખાતે રાખવામાં આવ્યો હતો. જેને પ્રથમ લાવારિસ બોડી કહેવામાં આવી હતી અને 9 માર્ચના રોજ ઓળખ થતા તે રાજકુમારની હોવાનું સામે આવ્યું હતું. પિતા હાઇકોર્ટ સુધી પહોંચ્યા ત્યારે જ કેમ બોડી પરિવારને સોંપવામાં આવી. સવાલ નંબર (3)
રાજકુમાર ગોંડલથી નીકળી અને તરઘડીયા પહોંચે ત્યાં સુધીમાં 3 વખત કપડાં બદલી જાય છે. એક જગ્યાએ કપડાં વગરના સીસીટીવી સામે આવ્યા છે અને પોસમોર્ટમ રિપોર્ટ અને બોડીનું ઇન્કવેસ્ટ પંચનામું તેમજ સ્થળ પરના વીડિયો ફોટા કેમ આપવામાં આવતા નથી? સવાલ નંબર (4)
બસથી અકસ્માત થયો છે તો ગુદામાં સાત સેન્ટિમીટરનો ચીરો કેવી રીતે પડ્યો? સવાલ નંબર (5)
શરીર ઉપર 42 ઇજાના નિશાન કેવી રીતે થયા? સવાલ નંબર (6)
શરીરમાં હાથ, પગ, આંખ અને માથાના ભાગે અલગ અલગ ઇજાના નિશાન છે એ કેવી રીતે આવ્યા ? સવાલ નંબર (7)
બસ ચાલકને 13 માર્ચના રોજ ધરપકડ કરવામાં આવેલ છે. 42 ઇજાના નિશાન છે એવું કહેવામાં આવી રહ્યું છે તો આ મામલે ફરિયાદ કેમ કરવામાં નથી આવી? સિવિલ હોસ્પિટલના ચોપડામાં છેડછાડ કોને કરી.? સવાલ નંબર (8)
રાજકોટ જિલ્લા પોલીસ વડા 7 માર્ચના રોજ એવું કહે છે કે, તમારો દીકરો ટ્રેસ થઇ ગયો છે એની માનસિક સ્થિતિ સારી નથી. નશેડી છે અમે એને લઇ આવીએ છીએ આગળ તમે એનું ખ્યાલ રાખજો અને એના બે દિવસ સુધી કોઈ યુવાનનો પત્તો કેમ ન લાગ્યો? સવાલ નંબર (9)
શું રાજકોટ પોલીસ NGO મારફત યુવકના અંતિમ સંસ્કાર કરાવવા માંગતી હતી ? સવાલ નંબર (10)
4 માર્ચના રોજ મૃતદેહ સિવિલ હોસ્પિટલ રાજકોટમાં પહોંચી ગયો હતો તો પછી રાજકોટ શહેર જિલ્લા અને ગુજરાતના મિસિંગ પોર્ટલમાં કેમ આપવામાં ન આવ્યું? સવાલ નંબર (11)
જયરાજસિંહ જાડેજાના ઘરના સીસીટીવી પોલીસે જાહેર કર્યા પરંતુ અધૂરા કર્યા છે. પુરા સીસીટીવી કેમ જાહેર નથી કરી રહ્યા? સવાલ નંબર (12)
ફોરેન્સિક પોસમોર્ટમ રિપોર્ટ આવ્યો તેમાં ઇજાના નિશાન તાજા છે અને શરીરમાં અલગ અલગ ઇજાના નિશાન છે તે 4-4 સેન્ટિમીટરના ઇજાના નિશાન છે જે કોઈ દિવસ અકસ્માતમાં શક્ય નથી. સવાલ નંબર (13)
શરીરમાં જે ઇજાના નિશાન છે તે ઘણી શંકા ઉપજાવી રહ્યા છે અકસ્માતથી આ ઇજાના નિશાન થવા શક્ય નથી. સવાલ નંબર (14)
રામધામ આશ્રમથી ઓવરબ્રિજ સુધી અંતરમાં શું થયું એ પણ એક સવાલ છે. આ વિસ્તારમાં રાજકુમારના શરીર ઉપરથી કપડાં ગાયબ કેમ થયા એ મોટો સવાલ છે. સવાલ નંબર (15)
રાજસ્થાન વિધાનસભા અને લોકસભામાં સવાલો ઉદભવ્યા છે. ચાર ચાર સાંસદ, ધારાસભ્ય અને 50 જેટલા સંગઠનો દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું આમ છતાં પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, ગુજરાત સરકાર કે રાજસ્થાન સરકાર આ મામલે ફરિયાદ દાખલ કરાવવા કેમ કોઈ નિર્ણય નથી કરી રહી? સવાલ નંબર (16)
રાજકોટ કુવાડવા પોલીસ અને ડીસીપી સજ્જનસિંહ પરમાર પંચનામાન ઈ કોપી, પ્રથમ પોસમોર્ટમ રિપોર્ટ ની કોપી કેમ નથી આપી રહ્યા આની અંદર એવું શું છે કે જે પોલીસ છુપાવી રહી છે? ગુજરાતની સરકાર ગુજરાતના ગૃહમંત્રીને પૂછવા માંગુ છું કે, ગુજરાત પોલીસ ગુંડા તત્વો સામે કડક કાર્યવાહી કરી રહી છે. તમે સોશિયલ મીડિયામાં રીલ બનાવીને મૂકી રહ્યા છો તો રાજકોટ પોલીસને શું થયું એ કેમ આ કેસમાં કડક કાર્યવાહી નથી કરી રહી.? રાજકુમાર જાટને ગુજરાત પોલીસ ગુજરાત સરકાર ન્યાય કેમ નથી અપાવી શકતી? આ ઉપરાંત એડવોકેટ દ્વારા નામ લીધા વગર પણ આક્ષેપો કર્યા હતા અને આ આક્ષેપો સાથે નિવેદન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના ભાજપના નેતાને એવી શું લોલીપોપ ગોંડલના બાહુબલીએ આપી છે કે કોઇભી એના વિરુદ્ધ રાજકુમારના સપોર્ટમાં નિવેદન નથી કરી રહ્યા.? અમે લોકો સડકથી લઇ સદન સુધી હાઈકોર્ટથી લઇ સુપ્રીમ કોર્ટ સુધી લડીશું. ગોંડલને મિર્ઝાપુર નહિ તો મીની પાકિસ્તાન કહેવું પડશે.