ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની બાયોપિકનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. 26 માર્ચના રોજ સમ્રાટ સિનેમેટિક્સે ‘અજેય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી’નો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો. આ મોશન પોસ્ટર યોગી આદિત્યનાથના બદલાતા જીવનની ઝલક બતાવે છે. ફિલ્મમાં તેમના સાંસારિક, આધ્યાત્મિક અને રાજકીય માર્ગને આકાર આપનારા નિર્ણયો બતાવવામાં આવશે. આ ફિલ્મ યોગી આદિત્યનાથના શરૂઆતનાં વર્ષો, નાથપંથી યોગી બનવાના તેમના નિર્ણય અને ઉત્તરપ્રદેશના સામાજિક-રાજકીય પરિદૃશ્યને બદલી નાખનાર નેતા તરીકેની તેમની જર્ની બતાવશે. આ બાયોપિકનું શૂટિંગ મોટે ભાગે ઉત્તરપ્રદેશમાં કરવામાં આવ્યું છે, જેમાં આદિત્યનાથની આધ્યાત્મિક અને રાજકીય યાત્રાનું કેન્દ્ર ગોરખપુરનો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મનું નિર્માણ સમ્રાટ સિનેમેટિક્સના બેનર હેઠળ રિતુ મેંગી દ્વારા કરવામાં આવી રહ્યું છે, જ્યારે તેનું ડિરેક્શન રવીન્દ્ર ગૌતમ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ શાંતનુ ગુપ્તાના બેસ્ટ સેલિંગ પુસ્તક ‘ધ મોન્ક હૂ બિકેમ ચીફ મિનિસ્ટર’ પરથી પ્રેરિત છે. ફિલ્મમાં ડ્રામા, ઇમોશન, એક્શન અને બલિદાનનું અદ્ભુત મિશ્રણ જોવા મળશે. યોગી આદિત્યનાથની ભૂમિકા કોણ ભજવશે?
ફિલ્મમાં યોગી આદિત્યનાથની ભૂમિકા અનંત જોશી ભજવી રહ્યા છે, જ્યારે પરેશ રાવલ, દિનેશ લાલ યાદવ ‘નિરહુઆ’, અજય મેંગી, પવન મલ્હોત્રા, રાજેશ ખટ્ટર અને ગરિમા સિંહ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે. પરેશ રાવલને આદિત્યનાથના આધ્યાત્મિક માર્ગદર્શક અવૈદ્યનાથ તરીકે કાસ્ટ કરવામાં આવ્યા છે, જેમના ઉપદેશોએ તેમના જીવન પર ઊંડો પ્રભાવ પાડ્યો હતો. ફિલ્મના ટીઝરમાં ગુરુ-શિષ્ય વચ્ચેનો સંવાદ એટલે કે પરેશ રાવલ (યોગી આદિત્યનાથના ગુરુની ભૂમિકામાં)નો અને અનંત જોશી (યોગી આદિત્યનાથની ભૂમિકામાં)નો વોઈસ ઓવર સાંભળવા મળે છે, જેમાં કેટલાક દમદાર ડાયલોગ લોકાનું ધ્યાન ખેંચી રહ્યા છે. એક વોઈસ ઓવરમાં પરેશ રાવલ (અવૈદ્યનાથ) કહી રહ્યા છે કે ‘વો શિષ્ય બનને આયા થા, પર જનતાને ઉસે સરકાર બના દિયા’. ડાયલોગ સાંભળ્યા બાદ લોકો હવે ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ ક્યારે રિલીઝ થશે?
આ ફિલ્મ આ વર્ષે હિન્દી, તેલુગુ, તમિળ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે, જોકે એની રિલીઝ ડેટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. કોણ છે અનંત જોશી?
અનંત જોશીનો જન્મ ઉત્તરપ્રદેશના આગ્રામાં થયો છે. આ એક્ટર અગાઉ 12th ફેલ (2023), યે કાલી કાલી આંખેં (2022) અને વર્જિન ભાસ્કર (2019)માં જોવા મળ્યો છે. અજય સિંહ બિષ્ટથી યોગી આદિત્યનાથ સુધીની સફર
આ ફિલ્મમાં ઉત્તરાખંડમાં અજય સિંહ બિષ્ટ (યોગી આદિત્યનાથનું સાંસારિક નામ) તરીકે જન્મેલા એક છોકરાએ ભારતીય જનતા પાર્ટીની સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં કેવી રીતે સ્થાન મેળવ્યું એ દર્શાવવામાં આવશે. આ પહેલીવાર નથી કે કોઈ રાજકારણીના જીવન પર બાયોપિક બની રહી હોય. આ પહેલાં પણ ઘણા નેતાઓની જીવનકથાઓ સ્ક્રીન પર બતાવવામાં આવી છે, જેમાં ઇન્દિરા ગાંધીથી લઈને અટલ બિહારી વાજપેયી સુધીનાં નામો સામેલ છે. નેતાઓનાં જીવન પર બનેલી બાયોપિક 1. ઈમર્જન્સી- તાજેતરમાં જ ફિલ્મ ઈમર્જન્સી રિલીઝ થઈ હતી, જેમાં કંગના રનૌતે પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી હતી. ખાસ વાત એ છે કે કંગનાએ આ ફિલ્મ દ્વારા ડિરેક્ટર તરીકેની કારકિર્દીની શરૂઆત પણ કરી હતી. કંગના ઉપરાંત ફિલ્મમાં અનુપમ ખેર, શ્રેયસ તલપડે, વિશાલ નાયર, મિલિંદ સોમન અને દિવંગત એક્ટર સતીશ કૌશિક પણ હતાં. 2. ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર- 2019ની ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’માં અનુપમ ખેરે મનમોહન સિંહની ભૂમિકા ભજવી હતી, જ્યારે સુઝાન બર્નર્ટે સોનિયા ગાંધીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં રાહુલ ગાંધીની ભૂમિકામાં અર્જુન માથુર અને પ્રિયંકા ગાંધીની ભૂમિકામાં આહના કુમારા હતાં. આ ફિલ્મ સંજય બારુના પુસ્તક પર આધારિત હતી. 3. પીએમ નરેન્દ્ર મોદી- પીએમ મોદીના જીવન પર આધારિત આ ફિલ્મ વર્ષ 2019માં રિલીઝ થઈ હતી. આમાં પીએમ મોદીની ચા વેચવાથી લઈને વડાપ્રધાન બનવા સુધીની સફર બતાવવામાં આવી છે. તેમાં વિવેક ઓબેરોયે નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવી હતી. તેનું ડિરેક્શન ઓમંગ કુમારે કર્યું હતું. 4. થલાઈવી- થલાઈવી સાઉથ એક્ટ્રેસ અને પૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતાના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં કંગના રનૌત લીડ રોલમાં જોવા મળી હતી. 5. મૈં અટલ હૂં- ફિલ્મ ‘મૈં અટલ હૂં’ દેશના મહાન નેતા અટલ બિહારી વાજપેયીના જીવન પર આધારિત છે. આમાં તેમની રાજકીય સફર બતાવવામાં આવી છે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠીએ અટલનું પાત્ર ભજવ્યું છે.