રાજુલાના ધાતરવડી ડેમ 1માં નગરપાલિકા દ્વારા પાઇપ નાખવાનો વિરોધ ઉગ્ર બન્યો છે. અમરેલી અધિક કલેક્ટરનું જાહેરનામું હોવા છતાં ધારેશ્વર ગામે ખેડૂતોની સભાસ્થળે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા છે. સંમેલનમાં ખેડૂતોની સાથે સાથે ખેડૂત પરિવાર મહિલાઓ પણ જોડાઇ છે. અહીં ખેડૂત નેતા રાજુ કરપડા પણ ઉપસ્થિત છે. મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચ અને રાજુલા જાફરાબાદ સહિત આસપાસની પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. શું છે વિવાદ
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક આવેલ ધાતવરડી ડેમ(1) 1972માં ખેડૂતો માટે સિંચાઈ માટે બનાવવામાં આવ્યો હતો. અગાઉ રાજુલા અને જાફરાબાદ બંને નગરપાલિકાને પાણી આપવામાં અહીંથી આવ્યું હતું. ફરીવાર નગરપાલિકાને પાણી આપવા માટે પાણીની પાઇપ લાઇન નાખવા માટેની કામગીરી ચાલતી હોવાથી ખેડૂતોએ વિરોધનો વંટોળ શરૂ કર્યો છે. અહીં ડેમ નીચે આવતા 13 ગામડાના ખેડૂતોની પગલાં સિમિતી દ્વારા નગરપાલિકાની પાઇપ નહિ નાખવા દેવા વિરોધ શરૂ કર્યો છે. નગરપાલિકા પ્રાંત અધિકારીને અવાર નવાર રજૂઆતો કરવામાં આવી હતી, થોડા દિવસો પહેલા પ્રાંત અધિકારી અને ખેડૂતો વચ્ચે બેઠક મળી હતી, પરંતુ આ બેઠક નિષફળ નિવડી હતી. જેને લઇને આજે ખેડૂતો ભેગા થયા છે. ખેડૂત નેતા રાજુ કરપડાની આગેવાની સાથે વિશાળ સભા રેલી અને આવેદનપત્ર પ્રાંત અધિકારીને આપવામાં આવશે. તહેવારને લઈ અધિક કલેક્ટરનું જાહેરનામું શરૂ છે
હાલમાં અમરેલી અધિક કલેક્ટરનું જાહેરનામું શરૂ છે, જેમાં સરઘસ, સભા કે રેલી મંજૂરી વગર કરી શકાય નહીં. જેના માટે મોડી રાતે મામલતદારની ટીમ દ્વારા ધારેશ્વર ગામમાં પહોંચી માઇક મારફતે જાહેરનામા અંગે માહિતીઓ જાહેર કરી અને જાહેરનામાની કોપી પ્રસિદ્ધ કરવામાં આવી હતી, જેના કારણે ખેડૂતોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં મોડી રાતે વીડિયો વાયરલ કર્યા
ગઈકાલે બપોરે ધારેશ્વર ગામના ખેડૂત આગેવાન દિલીપ સોજીત્રાએ ચીંચાઈ કેનાલ પાસે ઉભા રહી વીડિયો જાહેર કરતા કહ્યું કે, ધાતવરડી ડેમ એક પગલાં સમિતિ આયોજિત 13 ગામડા બચાવવા અભિયાન 28 તારીખ ખેડૂતોનું સંમેલન રાખ્યું છે. નગરપાલિકા દ્વારા પાઇપ લાઇન ડેમમાં નાખવામાં આવે છે તો તેનો વિરોધમાં આંદોલન છે. રાજુભાઈ કરપડા પણ ઉપસ્થિત રહેવાના છે, આપણી જીવાદોરી બચાવવ માટે આપડે પ્રયાસ કરવો જોઈએ જેથી હું ખેડૂતોને અપીલ કરું છું. રાજુલા અને જાફરાબાદ બંને નગરપાલિકાનો ચાર્જ ધરાવતા ભાવનાબેન ગૌસ્વામીએ વીડિયો જાહેર કરતા કહ્યું કે, કેટલાક અસામાજિક ઈસમો દ્વારા રાજુલા તાલુકાના ખેડૂતોમાં ખોટી અફવાઓ ફેલાવી છે આવા ઈસમો દ્વારા એવી અફવા ફેલાવી છે નગરપાલિકાની પાઇપ લાઇન નાખવાના કારણે ચીંચાઈને મળતું પાણી બંધ થશે. આ તદ્દન વાત ખોટી છે ખેડૂતોમાં ભય ફેલાવવામાં આવી છે. ખેડૂતોને માંગણી મુજબ પાણી મળતું રહેશે અને નગરપાલિકાની નવી લાઇન નાખવાની છે. ખેડૂતોના હકનું પાણી છીનવાશે નહિ. શાંતિપૂર્ણ અમે સાચી હકીકત સમજાવવા અપીલ કર્યે છીએ. રાજુલા જાફરાબાદ બંને નગરપાલિકાને મંજૂરીઓ મળી છે. આમ છતાં આ કામગીરીમાં કોઈ ઈસમો દ્વારા આ કામગીરીમાં અડસણરૂપ બનશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે. ધાતવરડી ડેમ સતત વિવાદનું કેન્દ્ર
ધાતવરડી ડેમ-1 નીચે આવતા ખેડૂતો સતત ડેમને લઈ રજૂઆતો કરતા આવે છે. થોડા દિવસો પહેલા ડેમ આસપાસ આવેલ ભરડીયાઓમાં થતા બ્લાસ્ટિંગથી ડેમમાં તિરાડો પડતી હોવાની રજૂઆતો કર્યા બાદ પણ ફરી ભરડીયાઓમાં બ્લાસ્ટિંગ કરી ધમધમી રહ્યા છે. ભરડીયાઓ બંધ નહિ ને હજુ સુધી કોઈ નિરાકરણ માટે કાર્યવાહી કરવામાં આવી નથી તેવા સમયે નગરપાલિકા દ્વારા પાઇપ નાખવાનો વિવાદ વધુ મોટો બન્યો છે.