સુરેન્દ્રનગર જિલ્લો ગેરકાયદેસર હથિયારના વેપલા માટે પંકાયેલો છે ત્યારે એસઓજીની ટીમે કરેલી તપાસમાં સુરેન્દ્રનગરમાં નાગાલેન્ડ અને મણીપુર રાજય માંથી હથિયારના પરવાના મેળવીને હથિયાર સાથે ફરતા લોકોનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં હથિયારનો પરવાનો મેળવવો તે સાતો કોઠા વિધવા સમાન બની ગયો છે.મોટા ભાગના પરવાના માટેની અરજીઓ રદ કરી દેવામાં આવે છે.તેમાં પણ ખાસ કરીને ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોને તો પરવાનો આપવામાં જ નથી આવતો.આવા સમયે જિલ્લાના લોકો હથિયારના પરવાના માટે હવે છેક નાગાલેન્ડ અને મણીપુર સુધી પહોચ્યા છે.એસઓજી પોલીસે કરેલી તપાસમાં હાલના સમયે કુલ 12 લોકો પાસે બીજા રાજયના હથિયારના પરવાના મળી આવ્યા હતા.જેમાં પરવાનો ધરાવનાર સામે ખુન અને મારા મારી જેવા ગંભીર ગુના દાખલ થયા હતા તેવા 5 આરોપીઓના હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે.જયારે 7 લોકો પાસે પરવાના છે પરંતુ હથિયારની ખરીદી કરી નથી. જિલ્લામાં આવા 100 થી વધુ પરવાના હોવાની પોલીસને આશંકા છે.આટલુ જ નહી પરંતુ એસઓજીની તપાસમાં સમગ્ર ગુજરાતમાં આવા અનેક પરવાના લીધા હોવાની પણ વિગતો બહાર આવી શકે છે.