રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સુરત વિભાગના શિવાજી ભાગ દ્વારા હિન્દુઓનું નવું વર્ષ એવો વર્ષપ્રતિપદા ઉત્સવ ઉજવવામાં આવ્યો. જેમાં “સંઘ શતાબ્દી શાખા કુંભ” કાર્યક્રમનું આયોજન કરી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પર્વતપાટીયા વિસ્તારના 2500થી વધુ સ્વયંસેવકો એ એકજ મેદાનમાં 119 શાખાઓ લગાવી નવો વિક્રમ સ્થાપ્યો છે. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડોક્ટર અખિલેશજી પાંડે સહપ્રાંત કાર્યવાહ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. ઘર ઘર સુધી શાખા લઈ જવાનો સંકલ્પ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનને 100 વર્ષ પૂર્ણ થવા આવ્યો છે ત્યારે હિન્દુઓના નવા વર્ષ એવા વર્ષપ્રતિપદા એટલે કે, ચૈત્રી સુદ એકમના દિવસે સુરતના શિવાજી ભાગના સ્વયંસેવકો દ્વારા શક્તિ પ્રદર્શન કરાયું. પર્વતપાટિયા વિસ્તારના મરુંધર મેદાનમાં સવારે સાત વાગ્યે RSSના 2524 સ્વયંસેવકો દ્વારા 119 શાખાઓ લગાવવામાં આવી. જેમાં વિવિધ શારીરિક તેમજ બૌદ્ધિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આજે વટ વૃક્ષની જેમ ખૂબ આગળ વધી રહ્યું છે. સતત સ્વયંસેવકોની સંખ્યામાં વધારો થાય અને વધુમાં વધુ શાખા લાગે તેવો પ્રયાસ શહેરભરમાં કરવામાં આવી રહ્યો છે. સમાજની સજ્જન શક્તિને સાથે લઈને કાર્ય કરવા અંગે આહ્વાન કર્યું
આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે આરએસએસ ના ગુજરાત પ્રાંતના સહકાર્યવાહ ડોક્ટર અખિલેશજી પાંડે કહ્યું કે, દેશમાં હિન્દુઓની એકતા માટે 1925માં ડોક્ટર કેશવરાવ બલરામ હેડગેવાર દ્વારા શરૂ કરાયેલી એક શાખા પદ્ધતિ વર્તમાનમાં સમગ્ર ભારતમાં વટ વૃક્ષ સમાન થઈ ગયું છે. આજથી શરૂ થતું હિંદુનવ એટલેકે વર્ષપ્રતિપદાના દિવસે તેમણે સ્વયંસેવકોને સમાજની સજ્જન શક્તિને સાથે લઈને કાર્ય કરવા અંગે આહ્વાન કર્યું. જે માટે તેમણે પંચપ્રણની વાત કરી હતી. જેમાં દરેક નાગરિકે પોતાના કર્તવ્યનું પાલન કરી ફરજો અદા કરવા અંગે વાત કરી હતી. તો પર્યાવરણની જાળવણી અને તેના દ્વારા સમગ્ર સૃષ્ટિનું કલ્યાણની વાત કરી હતી. આ ઉપરાંત દરેક ભારતીયએ પોતાના સ્વ એટલે કે ભવ્ય ભૂતકાળને ધ્યાનમાં રાખી તે અંગે સતત જાગૃત રહેવાની વાત કરી હતી. દરેક સમાજની સાથે લઈને જાતી, જ્ઞાતિ કે રંગ ભેદભાવથી ઉપર ઉઠી સમાજમાં સમરસતા લાવવા અને તેની શરૂઆત પોતાના કુટુંબના પ્રબોધનથી કરવા અંગે પણ જણાવ્યું હતુ. આ કાર્યક્રમમાં જાહેર જનતા સહિત કુલ 3000થી વધુ લોકો ઉપથિત રહ્યા હતા.