back to top
Homeગુજરાતકોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન, 2000 રૂમ કરાવ્યા બુક:8-9 એપ્રિલે ITC નર્મદા અને કોર્ટયાર્ડ...

કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન, 2000 રૂમ કરાવ્યા બુક:8-9 એપ્રિલે ITC નર્મદા અને કોર્ટયાર્ડ સહિત અમદાવાદની અનેક હોટલ હાઉસફુલ, કોંગ્રેસના કાર્યકરો કરશે ‘કાર સેવા’

આગામી 8 અને 9 એપ્રિલના રોજ 64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું 84મું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. મહાત્મા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યાને 100 વર્ષ અને સરદાર પટેલના 150મા જન્મજયંતી વર્ષને ધ્યાનમાં લઈ સાબરમતીના તટ પર યોજાનારા આ અધિવેશનની પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આ અધિવેશનમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કેસી વેણુગોપાલ સહિત 3000 જેટલા કોંગ્રેસના નેતાઓ સામેલ થશે. હાલ પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવનમાં કલરકામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ નેતાઓ અમદાવાદમાં બે દિવસ રોકાવાના હોવાથી અમદાવાદ શહેર અને આસપાસની હોટલના 2000 રૂમ બુક કરવામાં આવ્યા છે. એને કારણે આઇટીસી નર્મદા અને કોર્ટયાર્ડ સહિત કેટલીક હોટલ 8 અને 9 એપ્રિલે માટે હાઉસફુલ પણ થઈ ગઈ છે. કાર્યકરો ‘કાર સેવા’ કરશે
આ ઉપરાંત નેતાઓને લઈ જવા અને લાવવા માટે કાર અને બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એટલું જ નહીં, કોંગ્રેસના કાર્યકરોને કાર સાથે સેવામાં હાજર રહેવા માટે પણ જાણ કરવામાં આવશે. જેટલા કાર્યકરોની કાર મળશે તે કાર સિવાય ખૂટતી કાર કોંગ્રેસ દ્વારા બહારથી બુક કરવામાં આવશે. એમાં હોટલની કાર પણ બુક કરવામાં આવશે અને કેટલીક કાર ખાનગી ટ્રાવેલ્સ પાસેથી ભાડે લેવાશે. મુખ્યમંત્રીઓથી લઈ સાંસદો સુધીના નેતાઓ સામેલ થશે
અલગ અલગ રાજ્યોમાંથી આવનારા મુખ્યમંત્રીઓ રેવંત રેડ્ડી(તેલંગાણા) સુખવિંદર સુખ્ખુ(હિમાચલ પ્રદેશ), સિદ્ધારમૈયા(કર્ણાટક), પૂર્વ મુખ્યમંત્રીઓ, લોકસભા અને રાજ્યસભાના સાંસદો, ધારાસભ્યો, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો, સંગઠનના અન્ય આગેવાનો માટે રહેવાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. રિવરફ્રન્ટ તથા સરદાર પટેલ સ્મારક આસપાસની હોટલમાં થયું બુકિંગ
સામાન્ય રીતે અમદાવાદમાં આટલા બધા રૂમ ક્રિકેટ મેચ કે કોન્સર્ટ સમયે બુક થતા હોય છે, જોકે આ વખતે રાજકીય ઇવેન્ટમાં પણ આટલા મોટા પ્રમાણમાં રૂમ બુક કરાવવામાં આવ્યા છે. આ કાર્યક્રમ રિવરફ્રન્ટ અને સરદાર પટેલ સ્મારક યોજાવાનો હોવાથી રિવરફ્રન્ટની આસપાસ તથા સરદાર પટેલ સ્મારક(શાહીબાગ)ની આસપાસની તમામ હોટલ કોંગ્રેસ દ્વારા બુક કરવામાં આવી છે. ભાવનગરનો એ યોગાનુયોગ અને શક્તિસિંહ
આ પહેલાં 1961માં ભાવનગરમાં અધિવેશન યોજાયું હતું. આમ, 64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન યોજાશે. એમાં પણ યોગાનુયોગ 1961માં ભાવનગરમાં અધિવેશન મળ્યું હતું અને આ વખતે ભાવનગરના વતની એવા શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખપદે છે. એ અધિવેશન સમયે વર્તમાન પ્રદેશ પ્રમુખ માત્ર 1 વર્ષના હતા. ગુજરાતમાં ભાજપને હરાવવાનો રાહુલનો પડકાર
લોકસભા ચૂંટણી-2024 બાદ રાહુલ ગાંધી જુલાઈ, 2024માં ગુજરાત મુલાકાતે આવ્યા હતા. તેમણે કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધતાં કહ્યું હતું કે આપણે જે રીતે ભાજપને અયોધ્યામાં હરાવ્યો એ રીતે ગુજરાતમાં પણ હરાવીશું. કોંગ્રેસના ટોચના નેતાઓની પણ ગુજરાત મુલાકાત વધી ગઈ છે. ગુજરાત કોંગ્રેસના નેતા કહેતા હોય છે કે રાહુલ ગાંધીએ ગુજરાતમાં ભાજપને હરાવવાનો ગત વર્ષે જ પડકાર ફેંક્યો હતો. એ વખતે તેમણે સંસદમાં કહ્યું હતું કે તમે લખીને રાખો, આ વખતે અમે તમને ગુજરાતમાં હરાવીશું. વિપક્ષ ઈન્ડી ગઠબંધન ભાજપને ગુજરાતમાં હરાવશે. કોંગ્રેસ-અધ્યક્ષ બેઠકની અધ્યક્ષતા કરશે
અધિવેશન 8 એપ્રિલે વિસ્તૃત કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક સાથે શરૂ થશે, જે પછી 9 એપ્રિલેના રોજ AICC પ્રતિનિધિઓની બેઠક યોજાશે. આ બંને બેઠકમાં માનનીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અધ્યક્ષતા કરશે તેમજ કોંગ્રેસ સંસદીય પક્ષની અધ્યક્ષ સોનિયા ગાંધીજી, લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસશાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ, રાષ્ટ્રીય પદાધિકારીઓ, વરિષ્ઠ નેતાઓ અને અન્ય AICC પ્રતિનિધિઓ હાજર રહેશે. આ AICC અધિવેશન બેલગાવીમાં યોજાયેલી વિસ્તૃત CWC બેઠક (નવા સત્યાગ્રહ બેઠક)માં અપાયેલા ઠરાવની ચાલુ પ્રક્રિયા તરીકે યોજાઈ રહ્યું છે, જે 1924માં મહાત્મા ગાંધી દ્વારા અધ્યક્ષપદ સંભાળવામાં આવેલા કોંગ્રેસ અધિવેશનની 100મી વર્ષગાંઠની યાદમાં યોજાઈ હતી. કોંગ્રેસ માટે ગુજરાત કેમ મહત્ત્વનું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગૃહરાજ્ય ગુજરાત હોવાને કારણે અહીંની દરેક ચૂંટણી મહત્ત્વની હોય છે. આવી સ્થિતિમાં કોંગ્રેસને લાગે છે કે જો આગળ વધવું હોય તો ભાજપને ગુજરાતમાં જ હરાવવો પડશે. કોંગ્રેસ એક-બે મહિનામાં આગામી બે વર્ષનો કાર્યક્રમ તૈયાર કરી લેશે. ભાવનગરના અધિવેશનમાં નહેરુ સહિત ટોચના કોંગ્રેસના નેતાઓ આવ્યા હતા
1961માં ભાવનગરમાં યોજાયેલા કોંગ્રેસ અધિવેશનમાં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, વાય.બી. ચવ્હાણ, જ્ઞાની ઝૈલ સિંહ, શ્રવણ સિંહ વગેરે દેશના મોટા ગજાના આગેવાનો આવ્યા હતા. એ વખતે સરદારનગર વિસ્તારમાં ખુલ્લી જમીન હોવાથી આ અધિવેશનનો મંડપ ત્યાં બનાવાયો હતો. અધિવેશન પૂરુ થયા પછી સરદારનગરમાં જમીનના પ્લોટો પાડીને રહેણાકી વિસ્તાર બનાવાયો હતો અને રૂપાણી સર્કલથી ભરતનગર સુધીનો વિસ્તાર રહેણાકી બની ગયો હતો. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલે સ્વામિનારાયણ ગુરુકુળના સ્થાપક નારાયણ પ્રિયદાસજીને જમીન આપી હતી અને ત્યાં ધીમે ધીમે સેંકડો વિદ્યાર્થીઓનું એક મોટું સંકુલ ઊભું કર્યું હતું અને એનો વહીવટ તેના શષ્ય કે.પી. સ્વામીને સોંપ્યો હતો. નારાયણ પ્રિયદાસજીએ આ સંકુલમાં એક મોટો હોલ, જેમાં વચમાં એક પણ થાંભલો ન હોય એવો બનાવ્યો હતો. કોંગ્રેસ 1995થી ગુજરાતની સત્તાથી દૂર
રાજ્યમાં 1995, 1998, 2002, 2007, 2012 અને 2017, 2022 એમ 7 વિધાનસભા ચૂંટણી યોજાઈ ચૂકી છે અને આ તમામ ચૂંટણીમાં કોંગ્રેસને પછડાટ મળી છે. માત્ર એટલું જ નહીં, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં તો કોંગ્રેસનો તમામ 26 લોકસભા બેઠકો પર પરાજય થયો હતો, જોકે 2024ની લોકસભા ચૂંટણીમાં સમ ખાવા પૂરતી એક સીટ મળી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments