યુટ્યૂબર રણવીર અલ્લાહબાદિયાએ ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં માતા-પિતા વિશે ખરાબ કોમેન્ટ કરી ત્યારથી તે મુશ્કેલીમાં મુકાયો છે. તેની સામે ઘણા રાજ્યોમાં કેસ નોંધાયા છે. આ કેસો રદ્દ કરાવવા માટે, યુટ્યૂબરે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અંગે કોર્ટમાં આજે સુનાવણી થશે. રણવીરે પોતાની સામે નોંધાયેલી તમામ અલગ અલગ FIRની સુનાવણી એક જ જગ્યાએ કરવા માટે અપીલ કરી હતી. રણવીરની અરજી પર ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ એન. કોટીશ્વર સિંહની બેન્ચ સુનાવણી કરશે. અલ્લાહબાદિયા વતી એડવોકેટ અભિનવ ચંદ્રચુડ દલીલ કરશે. 14 ફેબ્રુઆરીએ રણવીરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી
સમય રૈનાના શો ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’માં રણવીરે માતા-પિતા પર અશ્લીલ કોમેન્ટ કરી હતી. આ પછી, મહારાષ્ટ્ર અને આસામ સહિત ઘણી જગ્યાએ તેમની વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. યુટ્યૂબરે 14 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં આની વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. રણવીરે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં 3 વાતો કહી હતી. 1. દેશભરમાં નોંધાયેલી FIRની સુનાવણી એક જ જગ્યાએ કરવી. 2. ધરપકડમાંથી રાહત મેળવવા 3. તેને મળતી ધમકીઓના કારણે અરજી પર વહેલી સુનાવણીની માગ કરી. 17 ફેબ્રુઆરીએ ધરપકડમાંથી રાહત આપવામાં આવી હતી
સુપ્રીમ કોર્ટે અલ્લાહબાદિયાને ધરપકડમાંથી રાહત આપી હતી પરંતુ તેમને સખત ઠપકો પણ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે તેમના મગજમાં જ ગંદવાડ છે. આવા વ્યક્તિની અમે શા માટે દયા ખાઇએ? લોકપ્રિય હોવાનો અર્થ એ નથી કે તમે કંઈપણ કોમેન્ટ કરો. તમે લોકોનાં માતા-પિતાનું અપમાન કરી રહ્યાં છો. એવું લાગે છે કે તમારા મનમાં કોઈ ખૂણે ગંદકી ભરેલી છે. જે વિકૃત માનસિકતાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, તેનાથી આખો સમાજ શરમ અનુભવશે.’ કોર્ટે રણવીરને આદેશ આપ્યો હતો કે તે પરવાનગી વિના દેશની બહાર જઈ શકશે નહીં. યુટ્યૂબરને પોલીસ સ્ટેશનમાં પોતાનો પાસપોર્ટ જમા કરાવવાનું કહેવામાં આવ્યું હતું. 3 માર્ચે શો શરૂ કરવાની પરવાનગી મળી
સુપ્રીમ કોર્ટે યુટ્યૂબર રણવીર અલ્લાહબાદિયાને તેમનો પોડકાસ્ટ ‘ધ રણવીર શો’ ફરી શરૂ કરવાની પરવાનગી આપી હતી. કોર્ટે એક શરત મૂકી કે- શોમાં એક પણ પ્રકારનું અશ્લીલ કન્ટેન્ટ ન બતાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પ્રધાનમંત્રી મોદીએ ભારતના કેટલાક ડિજિટલ ક્રિએટર્સને ‘નેશનલ ક્રિએટર્સ એવોર્ડ’ આપીને સન્માનિત કર્યા હતા. તેમાં રણવીર અલ્લાહબાદિયાનો પણ સમાવેશ થતો હતો. શું છે આખો મામલો?
‘બિયર બાઇસેપ્સ’ તરીકે જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને પોડકાસ્ટર રણવીર અલ્લાહબાદિયા તાજેતરમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં દેખાયો હતો. આ શો તેના વિવાદાસ્પદ અને બોલ્ડ કોમેડી કન્ટેન્ટ માટે જાણીતો છે, પરંતુ આ વખતે શોમાં કંઈક એવું બન્યું, જેનાથી સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સે થયા. રણવીરે શોમાં એક કન્ટેસ્ટન્ટને વાંધાજનક પ્રશ્નો પૂછ્યા હતા. રણવીરે એક સ્પર્ધકને એવો ગંદો સવાલ પૂછી નાખ્યો, જેનો અર્થ એવો થતો હતો કે ‘શું તમે તમારાં માતા-પિતા સાથે અંગત પળો માણશો?’ આ અને આ સિવાય પણ શોમાં ભરપૂર ગંદી કમેન્ટ્સ હતી. એને લીધે ખાસ કરીને યંગસ્ટર્સમાં આ સુપરહિટ શો અત્યારે વિવાદમાં આવ્યો છે. આ શો સામે હવે મુંબઈ હાઇકોર્ટના એડવોકેટ આશિષ રાય અને પંકજ રાયે મહિલા આયોગને પણ ફરિયાદ મોકલી હતી.