સપાના રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમનનો એક કથિત વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ એવું કહેતા સાંભળવા મળી રહ્યા છે કે, રાણા સાંગા ગદ્દાર હતા અને ઈબ્રાહિમ લોદીને હરાવવા માટે રાણા સાંગા જ બાબરને ભારતમાં લાવ્યા હતા. જેને લઇને આજે (1 એપ્રિલ) રાજકોટ બહુમાળી ભવન ચોક ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો એકત્ર થયા હતા અને રાજપૂત કરણી સેના દ્વારા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતુ. અહીં ક્ષત્રિય આગેવાનોએ કહ્યું કે, જેમણે 80 ઘા સહન કર્યા હતા, એક આંખ અને પગ નહોંતા છતાં પણ તે વીર યોદ્ધા દેશ માટે લડ્યો હતો. તેમના માટે અભદ્ર શબ્દનો ઉપયોગ કરવો તે તમારી ગરિમાને લજવે છે. હાલ જિલ્લાકક્ષાએ આવેદન બાદ સમિતિ દ્વારા આગળની રણનીતિ નક્કી કરશે અને કોઇપણ સમાજ અંગે ટિપ્પણી કરનારા સામે કડક કાયદો ઘડવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. સમિતિ આગળની રણનીતિ નક્કી કરશેઃ પી. ટી. જાડેજા
ક્ષત્રિય સમાજના આગેવાન પી. ટી. જાડેજાએ જણાવ્યું હતુ કે, રાણા સાંગા વિશે સંસદમાં ટીપણી કરનાર સમાજવાદી પાર્ટીના સાંસદને ઇતિહાસનુ જ્ઞાન નથી. જો જ્ઞાન હોય તો આ પ્રકારની ટિપ્પણી કરે નહીં. ભારત સરકારમાં પણ અમે રજૂઆત કરશું કે કોઈ પણ સમાજ વિશે ટિપ્પણી કરનારા સામે પગલાં લઈ શકાય તે પ્રકારનો કાયદો બનાવવો જોઈએ. અમે આ બાબતે આજે રાજકોટ કલેકટરને આવેદન આપ્યું છે. રાજકોટ અને ગુજરાતથી શરૂ થયેલ આંદોલન ભારતભરમાં ચાલશે. હાલ અમે જિલ્લા કક્ષાએ આવેદન આપી રહ્યા છીએ અને ત્યારબાદ જો ન્યાય નહીં મળે તો અમારી સમિતિ આગળની રણનીતિ નક્કી કરશે. સંસદમાં લોક પ્રશ્નોના બદલે ટિપ્પણીઓ થઈ રહી છેઃ નયનાબા
જ્યારે નયનાબા જાડેજાએ જણાવ્યું હતું કે, જેમને ઇતિહાસની ખબર ન હોય તેમને સંસદમાં બેસીને કોઈપણ પ્રકારની ટિપ્પણી ન કરવી જોઈએ. સંસદમાં લોક પ્રશ્નોના બદલે આ પ્રકારની ટિપ્પણીઓ થઈ રહી છે તે યોગ્ય નથી. જેમને 80 ઘા સહન કર્યા હતા. એક આંખ અને પગ ન હતી છતાં પણ તે વીર યોદ્ધા દેશ માટે લડ્યો હતો. તેમના માટે અભદ્ર શબ્દનો ઉપયોગ કરવો તે તમારી ગરિમાને લજવે છે. હાલ હિન્દુ-મુસ્લિમનો મુદ્દો પૂર્ણ થઈ ગયો છે, ત્યારે સમાજવાદી પાર્ટીના સાંસદ ભાજપ સાથે મળીને નિવેદન આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. રાજપૂત કરણી સેનાનું ન્યાયની માગ સાથે કલેક્ટરને આવેદન
રાજકોટ જિલ્લા કલેકટરને આપેલા આવેદનમાં રાજકોટ રાજપૂત કરણી સેનાએ જણાવ્યું હતું કે, ગત તા.21 માર્ચ, 2025ના રોજ ભારત દેશની રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ તથા રાજયસભાના સાંસદ રામજીલાલ સુમન દ્વારા ક્ષત્રિય વીરશિરોમણી રાણા સાંગા વિશે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરેલ છે તે દુઃખદાયક છે. સત્યથી વેગળી અને પાયાવિહોણી હોય તેમજ આ રાજ્યસભાના સાંસદ દ્વારા રાજ્યસભાની ગરીમાને લાંછન લગાડેલ છે, તેના કારણે રાષ્ટ્રવાદી દેશભકતો તથા નાગરીકોની લાગણીને ઠેસ પહોચી છે. જેથી અભદ્ર ટિપ્પણીને રાજકોટ રાજપૂત કરણીસેના વખોડી કાઢે છે. સરકાર દ્વારા સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રામજીલાલ સુમન દ્વારા રાણા સાંગા વિશે કરેલ અભદ્ર ટિપ્પણી બાબતે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. આવા રાજકીય નેતાઓ દેશના નાગરિકો જ્યારે ભાઈચારાથી રહેતા હોય ત્યારે આવા સત્તા ભુખ્યા રાજકીય આગેવાનો દ્વારા અભદ્ર ટિપ્પણી કરીને સમાજો વચ્ચે વર્ગવિગ્રહ કરવાની કોશીશ કરી રહ્યાં છે. કેન્દ્ર સરકારએ આવા લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવા રાજકીય આગેવાનો દ્વારા આવી અભદ્ર ટિપ્પણીઓ કરતા અટકાવી શકાય.