અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે આવેલી જ્ઞાનદા સોસાયટીમાં 24 નંબરના વનસ્થલી નામના બંગલામાં 6 એપ્રિલના રોજ સાંજના સમયે આગ લાગવાની ઘટના બની હતી. આ આગ એટલી ભયંકર હતી કે, ACના નાના બાટલા ફૂટીને દૂર-દૂર સુધી ફેલાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ડિવિઝનલ ફાયર ઓફિસર પંકજ રાવલ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, ઘરમાં ઉપરના માળે આની બાળક અને તેની માતા છે, જેથી પંકજ રાવલ તરત જ ઉપર દોડી ગયા હતા. જીવના જોખમે તેઓ ઘરમાં ગયા અને તુરંત જ એક બાળકને જીવ બચાવવા માટે તેને તેડી નીચે લાવી હોસ્પિટલ પહોંચાડવા માટે રોડ પર દોડ્યા હતા. જોકે, બાળકનો જીવ બચી શક્યો ન હતો. મેસેજ મળતાની સાથે ફાયર સ્ટેશનથી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
ડિવિઝનલ ફાયર ઓફિસર પંકજ રાવલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જીવરાજ પાર્ક વિસ્તારમાં સોસાયટીમાં આગ લાગવાની ઘટનાનો મેસેજ મળતાની સાથે જ ફાયર સ્ટેશનથી ગાડીઓ રવાના થઈ અને ફાયરકર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા. એસી રીપેરીંગ માટે જે નાના ગેસના બાટલા રાખવામાં આવ્યા હતા તે ફૂટી રહ્યા હતા. આગને બુઝાવવાની શરૂઆત કરવામાં આવી હતી. પાણીનો મારો ચલાવી અને આગળના ભાગે તરત જ આગની જવાળાઓ બુજાવી દેવામાં આવી હતી. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ કહ્યું હતું કે, ઉપરના માળે પરિવારના સભ્યોમાં નાની બાળક અને તેની માતા હાજર છે. બાળકને બેડરુમમાંથી ઊંચકવીને દોડીને 108 સુધી પહોંચાડી
જેથી, તરત જ તેઓ પોતાના સ્ટાફ સાથે આગ ચાલુ હોવા છતાં પણ ઉપરના માળે દોડી ગયા હતા અને જ્યારે જોયું ત્યારે એક બાળક બેડરૂમમાં હતું. જેથી, તેઓએ તરત જ બાળકને પોતાના હાથમાં ઉપાડી લીધી હતી. તેનો જીવ બચાવવા માટે તરત જ તેને તેડીને નીચે લઈને આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સમાં તેને લઈ જવાની હતી પરંતુ, રોડ ઉપર લોકોની ભીડ અને ટ્રાફિક થયો હોવાના કારણે 108 એમ્બ્યુલન્સ અંદર આવી શકી નહોતી, જેના કારણે તેને પંકજ રાવલ દોડીને 108 એમ્બ્યુલન્સ સુધી દોડીને તેઓ લઈ ગયા હતા અને તેને સૌપ્રથમ તેનો જીવ બચે તેના માટેના પ્રયત્ન કર્યા હતા અને તેને હોસ્પિટલ રવાના કરી હતી. બંનેના જીવને બચાવવા અથાગ પ્રયાસ કર્યો પણ ન બચાવી શક્યા
જે ઘર આખું આગની ઝપેટમાં આવી ગયું હતું તેમાં જીવના જોખમે ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઉપરના માળે પહોંચી અને જ્યારે સર્ચ ચાલુ કર્યું ત્યારે પહેલા બેડરુમમમાં તો કઈ જ દેખાયુ નહોતુ પરંતુ, બાજુના રૂમમાં માતા અને બાળકી પડ્યા હતા. આ રુમમાં તરત જ બાળકને લઈને પંકજ રાવલ દોડી ગયા હતા અને ફાયર બ્રિગેડના અન્ય સ્ટાફ દ્વારા નીચેથી એક ચાદર મંગાવી હતી. તેનાથી તેઓને નીચે ઉતારીને ફાયર બ્રિગેડની ગાડીમાં જ તાત્કાલિક હોસ્પિટલ રવાના કર્યા હતા. જોકે, આગની ગંભીર ઘટનામાં બંનેના મૃત્યુ થઈ ગયા હતા. ફાયર બ્રિગેડના સ્ટાફ આગ વચ્ચે બંનેના જીવને બચાવવા અથાગ પ્રયાસ કર્યો પણ તેઓના જીવ બચી શક્યા નહોતા. લોકો વાહનો બહાર પાર્ક કરી ટ્રાફિક થાય તે રીતે ઊભા રહી ગયા
જીવરાજ પાર્ક ખાતે આગની ઘટનામાં ફાયર બ્રિગેડના જવાનોને કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આગ લાગવાની ઘટનામાં મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા સોસાયટીની બહાર ભેગા થઈ ગયા હતા. ફાયર બ્રિગેડના વાહનો ત્યાં પહોંચી ગયા હતા. લોકોની ભીડ હોવાના કારણે કામગીરીમાં કેટલીક અડચણરૂપ આવી હતી લોકો ત્યાં ઉભા રહી અને મોબાઇલમાં વીડિયો બનાવતા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ, પોલીસ આવા ભેગા થયેલા લોકોને ત્યાંથી દૂર કરી શકી નહોતી. જે રોડ રસ્તા પહેલાથી બંધ કરવાની જરૂરિયાત હતી, તે રોડ-રસ્તા પર અવર-જવર બંધ કરી શક્યા નહોતા. લોકો ત્યાં વાહનો બહાર પાર્ક કરી અને ટ્રાફિક થાય તે રીતે રોડ ઉપર ઉભા રહી ગયા હતા. આવી અનેક વખત ઘટનાઓ બનતી હોય ત્યારે લોકો ટોળાં વળી અને ત્યાં પહોંચી જતા હોય છે ત્યારે તેને પોલીસ દૂર કરવામાં ઢીલાશ બતાવે છે.