નર્મદા જિલ્લાના રામપુરા ખાતે નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, પંજાબ અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો પરિક્રમા માટે આવી રહ્યા છે. રેવાના તીરે મિની કુંભ મેળા જેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. હજારો શ્રદ્ધાળુઓ માં નર્મદાના તટે 14 કિલોમીટરની પરિક્રમા કરી રહ્યા છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ વર્ષના આયોજનમાં સુરક્ષા, સ્વચ્છતા, આરોગ્ય સેવાઓ, પીવાનું પાણી અને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉનાળાની ગરમીમાં મફત છાશ વિતરણ અને સમાજસેવીઓ દ્વારા ભોજન સેવા પણ પૂરી પાડવામાં આવી રહી છે. એક મહિના સુધી ચાલનારી આ પરિક્રમાના માત્ર 8 દિવસમાં જ હજારો લોકોએ ભાગ લીધો છે. સિનિયર સિટિઝન, યુવાનો, મહિલાઓ, બાળકો, વિવિધ સંસ્થાઓ, હિંદુ ધર્મ સંપ્રદાય, કુટુંબો અને સંતો-મહંતો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. રાજસ્થાનના બુંદેલખંડથી આવેલા વિજય ઠાકુરે જણાવ્યું કે તેઓ સોશિયલ મીડિયા પરથી માહિતી મેળવીને પ્રથમ વખત પરિક્રમા કરવા આવ્યા છે. તેમણે અહીંની સુંદર વ્યવસ્થાની પ્રશંસા કરી અને માં નર્મદાના આશીર્વાદ મેળવ્યાનો આનંદ વ્યક્ત કર્યો.