ગાંધીનગરમાં 17 માર્ચથી ચાલી રહેલી આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ આજે સમેટાઈ ગઈ છે. મહાસંઘે તમામ કર્મચારીઓને તાત્કાલિક નોકરી પર પરત ફરવા આદેશ આપ્યો છે. મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ જણાવ્યું કે, 33 જિલ્લાના પ્રમુખ, મહામંત્રી અને મુખ્ય કન્વીનરની સંયુક્ત કારોબારી મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. હડતાળને ત્રણ મહિના માટે સ્થગિત કરવામાં આવી છે. આ સમયગાળામાં સરકાર કર્મચારીઓની માંગણીઓ અંગે નિર્ણય લેશે. આંદોલન દરમિયાન સરકારે એસ્મા લાગુ કરીને 2100થી વધુ કર્મચારીઓને છૂટા કરવાના હુકમો કર્યા હતા. મોરીના જણાવ્યા અનુસાર, સરકાર એસ્મા હેઠળની કાર્યવાહીમાં હકારાત્મક અભિગમ અપનાવશે. ગ્રેડ પે અંગે પણ સરકાર વિચારણા કરવા તૈયાર છે. જો ત્રણ મહિનામાં સરકાર તરફથી માંગણીઓ અંગે કોઈ જી.આર., ઠરાવ કે નિકાલ નહીં આવે તો ફરી હડતાળ શરૂ કરવામાં આવશે. આ અંગે 33 જિલ્લાના પ્રતિનિધિઓ અને રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના હોદ્દેદારોની સંયુક્ત બેઠક બોલાવવામાં આવશે. મહાસંઘે તમામ કર્મચારીઓને ઓફિસ સમય દરમિયાન પોતાની કચેરીમાં ફરજિયાત હાજર થવા આદેશ આપ્યો છે. હાજરી રિપોર્ટ સંબંધિત અધિકારીઓને આપવાનો રહેશે. આ આદેશનું પાલન ન કરનાર કર્મચારીઓની જવાબદારી મહાસંઘ લેશે નહીં.